ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ઝારખંડ મુક્તિ મોરચો(જેએમએમ), કોંગ્રેસ અને આરજેડીને 46 બેઠકો મળી છે, ભાજપને 25 બેઠકો, એજેએસયુને 03 બેઠક, જેવીએમને 03 બેઠક અને અપક્ષને 04 બેઠક મળી છે. ઝારખંડમાં કુલ 81 બેઠકોમાંથી સ્પષ્ટ બહુમતી માટે 41 બેઠકો જોઈએ છે, ત્યારે જેએમએમ મહાગઠબંધનને 44 બેઠકો મળી છે, જેથી હવે જેએમએમ મહાગઠબંધનની સરકાર રચાવા જઈ રહી છે. ઝારખંડમાં ભાજપને 10 બેઠકોનું નુકસાન થયું છે. મહારાષ્ટ્ર પછી ઝારખંડ પણ ભાજપના હાથમાં જતું રહ્યું છે. શા માટે ભાજપને પછડાટ મળી છે, તેના કારણોની ચર્ચા કરવી તે ખુબ જરૂરી છે. ભાજપ મોવડીમંડળે પણ ચિંતન કરવાની જરૂર છે. ભારતના મેપમાંથી ભાજપ શાસિત રાજ્યોની સંખ્યા સતત ઘટી રહી છે, તેના પરથી એમ કહી શકાય કે ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે. જો કે હાલ તો ઝારખંડમાં ભાજપને કેમ પછડાટ મળી તેની ચર્ચા કરીશું…
ઝારખંડમાં ભાજપ વધુ પડતા વિશ્વાસમાં હતી. એકલા હાથે ચૂંટણી લડી અને કૌવત બતાવવાનું નક્કી કર્યું હતું. ભાજપને એમ હતું કે ભાજપનો જ વેવ છે, એટલે ભાજપ એકલાહાથે ચૂંટણી લડીને સરકાર બનાવી દેશે, પણ આ ધારણા ખોટી પડી છે. 2014માં ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન(એજેએસયુ) સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. ત્યારે ભાજપને 37 બેઠકો અને એજેએસયુને 5 બેઠક પર જીત મળી હતી. પણ આ વખતે ભાજપે એજેએસયુને નજરઅંદાજ કરી અને ચૂંટણીના મેદાનમાં એકલાહાથે ઉતરવાનું નક્કી કર્યું. ભાજપનો આ નિર્ણય તેમને ભારે પડ્યો છે.
ઝારખંડમાં ભાજપે તેના સહયોગી પાર્ટી એજેએસયુ સાથે છેડો ફાડી નાંખ્યો, તો બીજીતરફ વિપક્ષ એક થઈને ભાજપને હરાવવા માટે મક્કમ નિર્ધાર કર્યો, અને તેમાં તેઓ સફળ રહ્યા છે. ભાજપના ગઢમાં તેમણે ગાબડુ પાડી દીધું છે. ઝારખંડ મુક્તિ મોરચો, આરજેડી અને કોંગ્રેસનું મહાગઠબંધન બેઠકોની ફાળવણી કરીને ચૂંટણી લડ્યા, અને ભાજપને એકલા હાથે સરકાર રચવાના સ્વપ્ન પર પાણી ફેરવી નાંખ્યું છે. 2014ની ચૂંટણીમાં આ ત્રણેય પક્ષો અલગઅલગ ચૂંટણી લડ્યા હતા. પણ આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણીમાંથી પાઠ શીખીને જેએમએમ અને આરજેડીની સાથે મહાગઠબંધન કર્યું, અને સફળતા હાંસલ કરી છે.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની અદર બખેડો થયો હતો. ભાજપના જ નેતાઓમાં જ અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. સૌથી મોટા નેતા રાધાકૃષ્ણ કિશોર ભાજપ છોડીને એજેએસયુ સાથે હાથ મિલાવી દીધા. કિશોરના જવાથી ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. ટિકીટની ફાળવણીમાં ભાજપે તેમના વરિષ્ઠ નેતા સરયૂ રાયને ટિકીટ ન આપી, તો સરયૂ રાય મુખ્યપ્રધાન રઘુબર દાસની સામે જમસેદપુર ઈસ્ટ બેઠક પર ચૂંટણીમાં ઉભા રહ્યા. સરયૂ રાયના જવાથી ભાજપને બહુ મોટું નુકસાન પડયું.
મહારાષ્ટ્રમાં ભાજપના હાથમાં આવેલી સત્તા જતી રહી છે. એટલે ભાજપ હાલ ડરેલી છે, જેથી તેણે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ફૂંકીફૂંકીને પગલું ભર્યું હતું. ભાજપને આશા હતી કે તે કુલ 81 બેઠકોમાંથી 65 બેઠકો જીતી લેશે. ‘અબકીબાર 65’નું સ્લોગન પણ આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીના ચહેરાને કારણે તેઓ એકલાહાથે ચૂંટણી જીતી જશે, અને યુપીની સીએમ આદિત્યનાથને પણ ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા. પણ ભાજપની રણનીતિ ફલોપ ગઈ છે.
ઝારખંડમાં 26 ટકા વસતી આદિવાસીઓની છે, અને 28 બેઠકો આદિવાસીઓની અનામત છે. વિપક્ષના મહાગઠબંધનના જેએમએમના આદિવાસી નેતા હેમંત સોરેનને સીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા. ત્યારે ભાજપ તરફથી બિનઆદિવાસી સમુદાયમાંથી આવતાં રઘુબર દાસ બીજી વખત સીએમ પદના ઉમેદવાર રહ્યા, ઝારખંડના આદિવાસીઓમાં રઘુબર દાસની નીતિઓને કારણે આદિવાસી સમુદાયમાં ગુસ્સાનું વાતાવરણ હતું. રઘુબર દાસે આદિવાસી વિરોધી નીતિઓને કારણે તેઓ ઝારખંડમાં સફળ ન થઈ શકયા. ખૂંટીની યાત્રા દરમિયાન રઘુબર દાસની ઉપર કેટલાક આદિવાસીઓએ જૂતા અને ચપ્પલ ફેંક્યા હતા. ઝારખંડમાં ચૂંટણી પહેલા માંગ હતી કે અર્જુન મુંડાને આ વખતે સીએમ પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ. પણ ભાજપના મોવડીમંડળે રઘુબર દાસ પર પસંદગીના કળશ ઢળ્યો હતો. અને તે ભાજપનો દાવ ઉલટો પડ્યો હતો.
ઝારખંડ ચૂંટણી વખતે નાગરિકતા એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસીનો મુદ્દો આવ્યો હતો, જેને કારણે પણ ક્રોસ વોટિંગ થયું હતું. સીએએ અને એનઆરસીનો મામલો તેની ચરમસીમાએ હતો. આ બન્ને બાબતનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, દેશભરમાં હિંસા ફેલાઈ અને ભાજપ સીએએ અને એનઆરસી મુદ્દે બહુ અડગ રહ્યો અને મોદી સરકાર સ્પષ્ટીકરણ કરવામાં ખુબ મોડી પડી હતી.
ઝારખંડના ગોડ્ડામાં અદાણી પાવર પ્લાન્ટની શરૂઆત વિવાદોમાં રહ્યો હતો. પાવર પ્લાન્ટ માટે કેટલાય ગામડામાં જમીન અધિગ્રહણ કરાઈ, તેમાં આદિવાસીઓ અને ખેડૂતોએ આ પ્લાન્ટની વિરુદ્ધમાં આંદોલન કર્યું હતું. ખેડૂતોનો આક્ષેપ હતો કે સરકારે જબરજસ્તીથી તેમની જમીનો છીનવી લીધી હતી, અને વિરોધ કરનારા સામે મારપીટ કરી હતી. રાજ્યમાં આ મુદ્દાને લઈને વધારે ગુસ્સો હતો. આ વિવાદ ભાજપ માટે એન્ટી આદિવાસી ઈમેજનું કારણ બન્યો છે.
ખૂંટીની આસપાસના ગામડામાં હજારો આદિવાસી યુવા ભારતીય દંડ સંહિતાની કલમ 124 એ અનુસાર આરોપી છે. મીડિયાના રીપોર્ટ અનુસાર ખૂંટીમાં 11,200 લોકો સામે રાજદ્રોહના કેસ નોંધાયા છે, જેમાંથી 10 હજાર લાકો પર દેશદ્રોહના આરોપ છે. આદિવાસીઓ તેમના પર લગાવેલ આરોપોને ખોટા બતાવી રહ્યો છે. આ કારણે આદિવાસીઓમાં ભાજપ પ્રત્યે નારાજગી વ્યાપી હતી.
ઝારખંડમાં ચૂંટણી પ્રચાર વખતે કેન્દ્રના મોટામોટા નેતાઓ આવ્યા, જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ જેવા મોટા ચહેરા આવ્યા, તેમણે પ્રચાર દરમિયાન રાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરી, પણ સ્થાનિક મુદ્દાની અવગણના કરી હતી. જ્યારે ભાજપની સામે વિપક્ષના દળ જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીના મજબૂત મહાગઠબંધને સ્થાનિક મુદ્દા ઉઠાવ્યા હતા, આદિવાસીઓને લઈને તેમને ફાયદો થયા તેવા વાયદા કર્યા હતા. જે સ્થાનિક મુદ્દાને કારણે મતદાતાએ ભાજપ તરફથી મ્હો ફેરવી લીધું છે.
તો આ તો રાજકારણ છે. પણ ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે, તે સ્પષ્ટ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં હાર પછી ભાજપના મોવડીમંડળે 100 ટકા ચિંતન કરીને લોકપ્રિય પગલા લેવા જોઈએ. આમ જનતાના મનની વાત સાંભળવી જરૂરી છે.