શાનમાં સમજો તો ઈશારો કાફી… આત્મનિર્ભર ભારત અભિયાન

by Investing A2Z

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેને મંગળવારે સાંજે 8 વાગ્યે દેશને સંબોધન કરતાં 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ આર્થિક પેકેજ ભારતના જીડીપીના 10 ટકા જેટલું થવા જાય છે. ભારત કોરોના વાયરસની મહામારીને પગલે છેલ્લાં 50 દિવસથી લૉક ડાઉનની સ્થિતિમાં છે. ત્યારે તમામ વર્ગના લોકો પર આર્થિક રીતે ગંભીર અસર પડી છે. હવે લોકોની ધીરજ અને પૈસા બન્ને ખૂટી ગયાં છે. તમામની આવક બંધ થઈ ગઈ છે, અને ખર્ચા ચાલુ છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરીને આશાની ઉમ્મીદ જગાવી છે કે ચાલો હવે કેન્દ્ર સરકાર રાહત પેકેજ આપીને થોડું ઘણું સરભર તો કરી આપશે. રાહત પેકેજની સાથે સાથે પીએમ મોદીએ દેશવાસીઓને બહુ મોટો સંદેશ આપ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાનની હાકલ કરી છે. મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનું કહ્યું છે. હા આત્મનિર્ભરતા જ દેશને ભવિષ્યમાં આવનારી ક્રાઈસીસમાંથી ઉગારી લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા પર વધુ ભાર આપ્યો છે. કોરોના વાયરસ મહામારીએ ઘણાં બધાં પાઠ ભણાવ્યાં છે, તેમાંનો આ એક પાઠ છે. કોરોનાથી ભારતમાં 50 દિવસનું લૉક ડાઉન સફળ રહ્યું છે. લોકો ઘરમાં પુરાઈ રહ્યાં, અને સાચા અર્થમાં દેશની સેવા કરી છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ ઓછી રહી છે. આ વાત તો તમામ વિરોધીઓએ પણ સ્વીકારવી જોઈએ. વિશ્વના વેલ ડેવલપ કન્ટ્રી છે, કે જેની પાસે મેડિકલને લગતી લેટેસ્ટ સુવિધાઓ છે, તે દેશોએ કોરોના સામે નતમસ્તક થઈને હાર સ્વીકારી લીધી છે. લાખો લોકોના મોત બતાવે છે, તે લોકો કોરોના સામેના જંગમાં પ્લાનિંગ ન કરી શક્યાં. તેની સામે ભારત 135 કરોડની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કોરોના સામે લૉક ડાઉનનું ચુસ્ત પાલન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન્સનું પાલન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ‘જાન હે તો જહાન હૈ…’  આ સંજોગોમાં વિશ્વના દેશોએ ભારતના કોરોના સામેના પગલાંના ભરપુર વખાણ કર્યાં હતાં. અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નામ સંબોધનમાં આત્મનિર્ભરતાની વાત કરીને દેશ નહી વિશ્વને સૌથી મોટો સંદેશ આપ્યો છે. મહામારી જેવા ક્રાઈસીસ ઉભી થાય ત્યારે આત્મનિર્ભરતા જ કામ આવે છે. જેથી દરેક લોકોએ આત્મનિર્ભર બનવું પડશે.

લૉક ડાઉનના સમયમાં તમે બધાં ઘરના કામ કરતાં થઈ ગયાં, રસોઈ બનાવતાં શીખી ગયાં હશો. પત્નીને ઘરકામમાં મદદ કરી હશે. આવી જ રીતે દેશ માટે હવે તમારે આત્મનિર્ભર બનવાનું છે. બીજા દેશોમાંથી આયત થતી ચીજવસ્તુઓનું ઉત્પાદન ભારતમાં જ કરવાનું. ભારત ચીનથી જે આયાત કરે છે, તે બંધ કરીને તેનું ઉત્પાદન ભારતમાં કરવું જોઈએ, તો જ ભારત આત્મનિર્ભર બન્યું કહેવાશે. આ દિશામાં વિચારવા માટે જ પીએમ મોદીએ દેશવાસીઓને સંદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને દેશની જનતાને સ્વદેશી અપનાવવાની અપીલ કરી હતી.

પીએમ મોદીએ જે કહ્યું છે તેને હું લખી રહ્યો છુઃં આપણી પાસે સાધન છે. આપણી પાસે સામર્થ્ય છે, આપણી પાસે વિશ્વની શ્રેષ્ઠ ટેલેન્ટ છે. આપણે બેસ્ટ પ્રોડક્ટસ બનાવીશું, આપણી કવૉલિટી સુધારીશું, સપ્લાય ચેઈન આધુનિક બનાવીશું, આપણે આ કરી શકીએ છીએ અને જરૂર કરીશું. તેના ઉપર જઈને પીએમ મોદીએ જે વાત કરી છે તે કોઈ દેશ સાથે બદલો લેવાની ભાવનાથી તો નથી. તેમણે કહ્યું છે કે ભારતનું આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન મૂડીવાદ આધારિત વિશ્વ પર કેન્દ્રિત નથી, પરંતુ માનવતાના કલ્યાણ અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના પર આધારિત છે.

આત્મનિર્ભરતા કેવી રીતે આવશે તેના માટે પીએમ મોદીએ પાંચ પિલરની વાત કરી છે. (1) ઈકોનોમી (2) ઈન્ફ્રાસ્ટ્રકચર (3) સિસ્ટમ (4) ડેમોગ્રાફી અને (5) ડિમાન્ડ. આ પાંચ પિલર પર ભારત આત્મનિર્ભર બની શકે છે. વિશ્વની અત્યારની કટોકટીભરી સ્થિતિ આપણને શીખવે છે કે આ સંકટમાંથી બહાર આવવાનો એક જ માર્ગ છે તે છે આત્મનિર્ભર ભારત. કોરોના વાયરસની મહામારી આપણા માટે અવસર લઈને આવ્યું છે. આ આપદાને આપણે અવસરમાં બદલી નાંખીશું. આપણે નક્કી કરીશું તો કશું જ અશક્ય નથી. વડાપ્રધાન મોદીએ કચ્છના ભૂકંપનો દાખલો આપીને કહ્યું હતું કે ભૂકંપ આવ્યો ત્યારે કચ્છ-ભૂજ સાવ બરબાદ થઈ ગયું હતું. કોઈ કલ્પના જ ન કરી શકે કે કચ્છ બેઠું થશે, પણ સંકલ્પશક્તિથી કચ્છ આજે પહેલાં કરતાં વધુ વિકસિત થયું છે. આ રીતે જ આપણે જો સંકલ્પ કરીશું તો ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળીને વધુ વિકસિત થઈ જશે.

પીએમ મોદીએ એ વાતને ફરીથી કહી કે 21મી સદી ભારતની જ છે. કોરોના વાયરસ જેવી મહામારીએ ભારત પર ભરડો લીધો હોય, હજી તો આપણે તેમાંથી બહાર પણ નથી નીકળ્યાં, અને દેશનો વડાપ્રધાન છાતી ઠોકીને કહે છે કે 21મી સદી ભારતની છે. વિશ્વ ભારત પાસેથી શીખશે. આપદાને અવસરમાં કેવી રીતે પલટી શકાય. આજથી ભારતીયોએ સ્થાનિક ઉત્પાદનો જ અપનાવવા જોઈએ. આ વાત શાનમાં સમજાવી જાય છે. સમજો તો ઈશારો કાફી છે. લોકલ માટે વોકલ બનો.

દેશ કોરોનાની મહામારીમાં છે, ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને પોરો ચઢાવવાનું કામ કર્યું છે. લોકોનું ડીપ્રેશન દૂર કરવાનું કામ કર્યું છે અને તેની સાથે દેશવાસીઓની ક્ષમતાનું ભાન કરાવ્યું છે, આપણી પાસે બધું જ છે, આપણે બધું જ કરી શકીએ છીએ, થાકવું, હારવું, તૂટવું, વિખેરાઈ જવું એ માનવજાતના સ્વભાવમાં નથી. આપણે નિયમોનું પાલન કરીને આગળ વધવાનું છે. જે દર્શાવે છે કે લૉક ડાઉન 4 નવા રંગરૂપ સાથે આવશે, પણ તેમાં આપણે આ નિયમોને જીવનનો એક ભાગ બનાવી દેવાનો છે અને પછી મહેનત કરીને આગળ વધવાનું છે.

 

Related Posts

Leave a Comment