વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે એઈમ્સમાં પહોંચીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વેક્સિન લગાવતી વખતે પીએમ મોદીએ નર્સને કહ્યું હતું કે નેતા જાડી ચામડીના હોય છે માટે મોટી સોય લગાવજો. પુડુચેરીની નર્સ પી નિવેદાએ પીએમ નરેન્દ્ર મોદીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો હતો.
આજે પહેલી માર્ચેને સોમવારે સવારે 6 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી એઈમ્સ પહોંચ્યા ત્યારે મેડિકલ સ્ટાફ નર્વસ હતો. માહોલને હળવો કરવા માટે પીએમ મોદીએ નર્સને પહેલા એમ પુછ્યું કે તમારુ શું નામ છે? અને તમે કયાંના છો? ત્યાર પછી નરેન્દ્ર મોદીએ હસી મજાક કરતાં નર્સને કહ્યું હતું કે તમે પશુને ઉપયોગમાં લેવાતી સોયનો ઉપયોગ કરશો? ત્યારે પીએમ મોદીની વાતને નર્સ સમજી શક્યા ન હતા.
પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજનેતાઓની ચામડી બહુ જાડી હોય છે. તેમના માટે કોઈ વિશેષ મોટી સોયનો ઉપયોગ તો નથી કરાવાના ને? ત્યારે ત્યાંની નર્સો હસી પડી હતી. અને માહોલ સાવ હળવો થઈ ગયો હતો અને ત્યાર પછી પીએમ મોદીનું રસીકરણ થયું, જ્યારે ટીકાકરણ થયું ત્યારે મોદીએ કહ્યું કે મને તો ખબર જ ના નડી. વેક્સિનેશન દરમિયાન પીએમ મોદી હસતા હતા.
અત્રે નોંધનીય છે કે આજે પહેલી માર્ચના દિવસે કોરોના વેક્સિનનો બીજો તબક્કો શરૂ થયો છે. જ્યારે જનતાનો વારો આવ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ આવીને સૌથી પહેલી રસી મુકાવી છે. અને દેશમાં કોરોના વેક્સિન સલામત છે, તેનો સંદેશ આપ્યો છે. વહેલી સવારે તેઓ એઈમ્સ પહોંચી ગયા. ત્યારે કોઈ જ ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો ન હતો. ન તો કોઈને રોકવામાં આવ્યા હતા. સવારે ખાલી રસ્તાઓ પર પીએમની ગાડી દોડી રહી હતી.
કોઈ વિચારી જ ન શકે તે પીએમ નરેન્દ્ર મોદી આવી રીતે એઈમ્સ પહોંચી જશે. પીએમ મોદીનું સ્વાગત એઈમ્સના ડાયરેક્ટર ડૉકટર રણદીપ ગુલેરિયાએ કર્યું હતું અને ત્યાંથી સીધા તેઓ વેક્સિન લેવાની હતી, તે રૂમમાં પહોંચી ગયા હતા. પુડુચેરીની નર્સ પી નિવેદાએ પીએમ મોદીને વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો હતો. તેની સાથે કેરળની નર્સ રોસ્સ્મા અનિલ પણ હતી.
વેક્સિન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલનું પાલન કર્યું. અડધા કલાક રાહ જોઈ, તે દરમિયાન એઈમ્સના ડિરેક્ટર ગુલેરિયા તેમને વેક્સિન પછીની માહિતી આપી રહ્યા હતા. વડાપ્રધાનને હવે વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ પછી લાગશે.
સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 ટકા દેશી વેક્સિન કોવેક્સિન લીધી છે, જેના પર કેટલાય સવાલો ઉભા થયા હતા અને શંકાઓ સર્જાઈ હતી. આજે પીએમ મોદીએ કોવેક્સિનનો ડોઝ લઈને તમામ શંકાઓને દૂર કરી દીધી છે.