કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડીઆરડીઓની નવી દવા 2DG (2-deoxy-D-glucose)ના 10 હજાર ડોઝ આજે સોમવારે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને લોન્ચ કર્યા છે. ત્રણ ટ્રાયલ પછી પહેલી મે, 2021ના રોજ ડીસીજીઆઈ તરફથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. પાવડરના રૂપમા આ ડ્રગ એક બોટલમાં અપાશે, જે પાણીમાં મેળવીને લેવાનું છે. આ દવા કોરોના સંક્રમિત કોશિકાઓ સુધી જઈને વાયરસની વૃદ્ધિને રોકવામાં સક્ષમ છે.
ડીઆરડીઓના પ્રમુખ જી. સતીશ રેડ્ડીએ આ દવા લેવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. આ દવા કોરોના વાયરસથી સંક્રમિત કોશિકાઓ પર સીધુ કામ કરશે. શરીરની ઈમ્યૂન સીસ્ટમ કામ કરશે અને દર્દી ઝડપથી સારો થઈ જશે. દર્દીના વજન અને ડૉકટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે પર ઓછામાં ઓછા 5-7 દિવસ સવારે અને સાંજે મળીને 2 ડૉઝ લેવાના રહેશે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ સપ્તાહે 10,000 ડોઝની આસપાસ ઉત્પાદન થશે. આજે એઈમ્સ(AIIMS), AFMS અને DRDO હોસ્પિટલોમાં આપી રહ્યા છીએ. બાકીના રાજ્યોને આગામી તબક્કામાં અપાશે, તેના માટે થોડીક વાર લાગશે. જૂનના પ્રથમ સપ્તાહથી તમામ જગ્યાઓ પર 2DG દવા ઉપલબ્ધ થશે.
આ દવાના લોન્ચ સમયે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે આ દવાને લઈને આશાનું કિરણ દર્શાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે હાલ નિશ્રિંત થવાની જરૂર નથી, અને થાકવાની કે રોકાવાના જરૂર નથી. કારણ કે આ બીજી લહેર આવી છે અને આગળ શું થશે તેના માટે કાંઈ કહેવું તે નિશ્રિત નથી. આપણે પુરી સતર્કતા સાથે આગળ પગલા ભરવા પડશે. સંરક્ષણપ્રધાને કહ્યું કે આ દવાને તૈયાર કરવા માટે જે વૈજ્ઞાનિકોએ મુખ્ય ભૂમિકા ભજવી છે તેમને હું મારા હાથે સમ્માનિત કરવા ઈચ્છું છું. આ દવા આશા અને ઉમ્મીદની નવી કિરણ લઈને આવી છે. આ દવા આપણા દેશના વૈજ્ઞાનિકોની ક્ષમતાનું જીવતું જાગતું ઉદાહરણ છે.
રાજનાથસિંહે કહ્યું હતું કે અત્યાર સુધી આપણે રક્ષા ક્ષેત્રમાં ડીઆરડીઓ અને ખાનગી પાર્ટનરશિપની વાત કરતાં હતા. આજે હેલ્થ સેકટરમાં પણ ડીઆરડીઓ અને ખાનગી પાર્ટનરશીપથી કેટલું સારુ પરિણામ મળ્યું છે, તેની મને ખૂબ ખુશી થઈ રહી છે.
આ નવી દવા માટે સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે મને કહેવાયું છે કે ડીઆરડીઓ આ દવાથી સામાન્ય ઉપચારની સરખામણીએ અઢી દિવસમાં દર્દી સાજા થયા છે. સાથે ઓક્સિજન પર નિર્ભરતામાં અંદાજે 40 ટકા દર્દીઓ ઘટ્યા છે. પાવડરના રૂપમાં વિકસિત આ દવાનો ઉપયોગ ઓઆરએસ ઘોળની જેમ છે. તેનો ઉપયોગ ખૂબ સરળતાથી કરાય છે. તમારા બધાના સંયુકત પ્રયાસોથી આ દેશ મોટામાં મોટા સંકટોનો સામનો કરી શકશે. અને વિજયી થશે, તેનો મને પુરો વિશ્વાસ છે.
આ દવાને ડીઆરડીઓની ન્યૂક્લિયર મેડિસીન ઈન્સ્ટીટ્યૂટ એન્ડ એલાઈડ સાયન્સ(INMAS)એ ડૉ. રેડ્ડી લેબ સાથે મળીને વિક્સીત કરી છે.