ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે, કોરોના ફેબ્રુઆરી 2021 સુધી કાબુમાં આવી જશે. શું આ સમાચાર સાચા છે? તેવો પ્રશ્ન થાય. બીજી તરફ કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને કહ્યું છે દિવાળીના તહેવાર અને શિયાળો આવતો હોવાથી કોરોનાના કેસ વધી શકે છે. શું ખરેખર કોરોનાના કેસ વધશે? આમાં સાચું શું? આવો આપણી હકીકત જાણવાનો પ્રયત્ન કરીએ.
કોરોના સંક્રમિતની સંખ્યામાં દુનિયાભરમાં બીજા નંબરે પહોંચનાર ભારત માટે હાલ આનંદના સમાચાર છે. કેન્દ્ર સરકાર તરફથી બનાવેલી વૈજ્ઞાનિકોની એક પેનલનું કહેવું છે કે ભારતમાં કોરોના વાયરસ મહામારી ચરમસીમાથી પસાર થઈ ચુક્યો છે અને હવે તે હળવો થવા પર છે એટલે કે કોરોના જવાની તૈયારીઓ કરી રહ્યો છે. કોરોના વાયરસ મહામારીના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ ચુક્યો છે. સરકારી વૈજ્ઞાનિકોની પેનલના કહેવા મુજબ ફેબ્રુઆરી-2021 સુધીમાં એટલે કે આગામી સવા ચાર મહિનામાં આ મહામારી પર કાબુ મેળવી લેવાશે. સરકારી પેનલનુંકહેવું છે કે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 6 લાખથી વધુ નહી થાય. હાલ ભારતમાં કોરોનાના અંદાજે 75 લાખ કેસ છે. પેનલનું કહેવું છે કે વાયરસથી બચવા માટે હાલ કરાઈ રહેલા ઉપાયો ચાલુ રાખવા જોઈએ. પેનલે મહામારીની રૂખ જાણવા માટે કોમ્પ્યુટર મૉડલ્સનો ઉપયોગ કર્યો છે.
આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગરની અધ્યક્ષતામાં બનેલી પેનલનું કહેવું છે કે વાયરસથી બચવા માટે કરાઈ રહેલા ઉપાયો ચાલુ રાખવા જોઈએ. દેશવાસીઓએ તમામ પ્રકારની સાવધાની રાખવી જોઈએ. જેમ કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, કવોરંટિનનું પાલન કરવું જોઈએ. ફેબ્રુઆરી સુધી આ મહામારી પર કાબુ મેળવી લેવાય તેવી આશા છે. પણ તે કયારે સંભવ છે કે લોકો કોરોનાથી બચવાના તમામ નિયમોનું પાલન કરે અને તેને ચાલુ રાખે.
કોરોના મહામારી નિયંત્રણમાં આવી છે, તેમ ત્યારે મનાશે કે એક્ટિવ કેસની સંખ્યા ખૂબ ઘટી ગઈ હોય. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળે. જો કે હાલ સારા સંકેત એ મળે છે કે 17 સપ્ટેમ્બરે 10.7 લાખ એક્ટિવ કેસ પીક પર હતા, તે પછી 26-27 સપ્ટેમ્બરના રોજ થોડોક વધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ ખૂબ જ ઝડપથી એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે. 18 ઓકટોબર સુધીમાં દેશમાં 7.83 લાખ કેસ એક્ટિવ હતા. ટોટલ કેસમાં એક્ટિવ કેસનો હિસ્સો હવે માત્ર 10.45 ટકા રહી ગયો છે. તેને હવે આપણે એક ટકાથી નીચે લાવવો પડશે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તે સરકારી પેનલનું અનુમાન સાચુ પુરવાર થશે.
સરકારી પેનલનું કહેવું છે કે દેશમાં હવે બીજીવાર લોકડાઉનની જરૂરિયાત નથી. પેનલનું કહેવું છે કે કોરોના ગાઈડલાઈન્સનું જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો આગામી વર્ષની શરૂઆત સુધીમાં કોરોના વાયરસ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવાશે.
ભારતમાં ચોમાસાનો અંત આવ્યો છે અને હવે શિયાળાનો પ્રારંભ થશે. શિયાળામાં શરદી-ખાંસી અને શ્વાસ ચઢવા(દમ) જેવા રોગો વધુ થતાં હોય છે. 65 વર્ષથી ઉપરના લોકોનો મૃત્યુદરનો રેશિયો શિયાળામાં વધુ હોય છે. દક્ષિણ ભારતમાં અને મહારાષ્ટ્રમાં ચોમાસાની વિદાય થયા પછી ભારે વરસાદ આવ્યો છે, જેને કારણે પાણી ભરવાને કારણે રોગચાળાનો ભય છે. એક બાજુ કોરોના વાયરસનો હાહાકાર તો છે જ અને બીજી તરફ પાણીજન્ય રોગ ફેલાશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
સરકારી વૈજ્ઞાનિક પેનલે દાવો કર્યો છે, તે મુજબ ફેબ્રુઆરી-2021 સુધીમાં કોરોના પર કાબુ મેળવી લેવાશે, પણ તેમાંય કેટલીક સાવધાની તો આપણે જ વર્તાવાની છે. આપણે કામ સિવાય બહાર ન નીકળીયે. માસ્ક પહેરીએ, અને બીજાને માસ્ક પહેરાવીએ, ભીડભાડવાળો વિસ્તાર હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવીએ. બહાર જઈને આવ્યા પછી સાબુથી હાથ ધોઈએ અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ. આગામી દિવસોમાં શિયાળો આવી રહ્યો છે, શરદી ન થાય તે માટે માથે ગરમ ટોપી પહેરીએ, ગરમ સ્વેટર પહેરીએ. તમે તમારુ ધ્યાન રાખશો તો તમે સ્વસ્થ રહેશો. દરેક વ્યક્તિ માસ્ક પહેરશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશે તો કોરોના વાયરસને ભારતમાંથી ભાગવું જ પડશે.