દેશભરમાં કોરોના વેક્સિનેશનનું ડ્રાય રન ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્રિય સ્વાસ્થ્યપ્રધાન હર્ષવર્ધને આજે મોટી જાહેરાત કરી છે, તેમણે કહ્યું છે કે દેશભરમાં પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને કોરોના વેક્સિન મફતમાં આપવામાં આવશે. દિલ્હીમાં કોરોના વેક્સિનેશનના ડ્રાય રનને જોવા ગયેલા સ્વાસ્થ્યપ્રધાન હર્ષવર્ધને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં એક કરોડ સ્વાસ્થ્યકર્મી અને બે કરોડ ફ્રન્ટલાઈન વર્કરને કોરોનાની વેક્સિન મફતમાં લગાવવામાં આવશે. ત્યાર બાદ પ્રાથમિકતા યાદીમાં સામેલ 27 કરોડ લોકોને જુલાઈ સુધીમાં વેક્સિન આપવામાં આવશે, તે અંગે હજી હવે નિર્ણય લેવાશે.
અહીં એ વાત મહત્વપૂર્ણ છે કે તમામ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે નહી. સરકાર પહેલેથી સ્પષ્ટ કરી ચુકી છે કે તમામ ભારતીયોને રસી આપવાની જરૂરિયાત નથી. ફકત એટલી વસ્તીને જ રસી આપવામાં આવશે જેનાથી કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરી શકાય અને કોરોના સંક્રમણની ચેન તૂટી જાય. સ્વાસ્થ્યપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે જેને પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે તેની પાસેથી એકપણ પૈસો લેવામાં આવશે નહી. રસી કોને આપવી તે સરકાર નક્કી કરશે. પ્રથમ તબક્કામાં 51 લાખ લોકોને રસી આપવામાં આવશે, કે જેઓ હેલ્થવર્કર, કોરોના વોરિયર, 50 વર્ષથી વધુની ઉંમરના લાકો અથવા કોઈપણ ગંભીર રોગથી પીડાતા હોય તેવા લોકોને પ્રાયોરિટીના ધોરણે રસી આપવામાં આવશે.
રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં સૌથી વધુ જોખમવાળા લોકોને રસી આપવામાં આવશે, જેમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકો, પહેલેથી કોઈ અન્ય ગંભીર રોગ હોય તેવા લોકો, સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયરને સામેલ કરાશે. સ્વાસ્થ્યપ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે રસીકરણના પ્રથમ તબક્કામાં દેશભરમાં સર્વોચ્ચ પ્રાથમિકતાવાળા લાભાર્થીઓને મફત વેક્સિન આપવામાં આવશે. જેમાં 1 કરોડ હેલ્થવર્કર અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર પણ સામેલ થશે. બાકીના 27 કરોડો લોકોને જુલાઈ સુધીમાં રસી આપી દેવામાં આવશે, તે માટે તેનું અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે.
સ્વાસ્થ્યપ્રધાને લોકોને અફવાઓ પર ધ્યાન નહી આપવા અપીલ કરી છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વેક્સિન લેનાર લોકોએ અફવાઓથી બચવા જણાવ્યું હતું. હર્ષવર્ધનના કહેવા પ્રમાણે હું લોકોને અપીલ કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપે. વેક્સિનની સુરક્ષા અને તેની સફળતા સુનિશ્ચિત કરવી અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ વેક્સિન જનતાની સુરક્ષા માટે છે. પોલિયો માટે રસીકરણ સમયે પણ જાતજાતની અફવાનો ઉડી હતી, પણ લોકોએ પોલિયોની રસી લીધી અને હવે ભારત પોલિયો મુક્ત છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન હર્ષવર્ધને 2 જાન્યુઆરી, 2021ને શનિવારે દિલ્હીના ગુરુ તેગબહાદુર હોસ્પિટલ પહોંચીને કોરોના વેક્સિનના ડ્રાય રનને નિહાળ્યો હતો, અને તેની સમીક્ષા કરી હતી. અત્રે નોંધનીય છે કે તમામ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 116 જિલ્લામાં કોરોના વેક્સિનનો ડ્રાય રન ચાલી રહ્યો છે. તેના માટે કુલ 259 વેક્સિનેશન બુથ બનાવવામાં આવ્યા છે. ખરેખર જોવા જઈએ તો ડ્રાય રનમાં વેક્સિનનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ તેની ફકત તપાસ કરાઈ રહી છે, કે વેક્સિનેશનની પ્રક્રિયા કેટલી સરળ થઈ શકે તેમ છે. કોરોના વેક્સિન આપવા માટે બુથ પર કર્મચારીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જે રીતે ચૂંટણીમાં પ્રત્યેક બુથ પર હાજર કર્મીઓ પ્રશિક્ષણ અપાય છે, તેવી જ રીતે હેલ્થવર્કરને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. વેક્સિનેશન માટે વિસ્તૃત ગાઈડલાઈન્સ પણ તૈયાર કરાઈ છે. અમે અંદાજે બે હજાર માસ્ટર ટ્રેઈનર તૈયાર કર્યા છે, તેઓ તમામ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જઈને હેલ્થ વર્કરોને ટ્રેનિંગ આપી છે.