અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બિડેને રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા છે. પેન્સિલવેનિયા રાજ્યમાં જીત નોંધાવ્યા પછી 77 વર્ષના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા છે. આ રાજ્યમાં જીત મેળવ્યા પછી બિડેન 270થી વધુ ઈલેક્ટ્રોલ કોલેજ વોટ મળી ગયા છે, જે જીત માટે જરૂરી હતા.
ભારત વંશના સીનેટર કમલા હૈરિસ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ મહિલા છે. 56 વર્ષીય કમલા દેશની પહેલી ભારતવંશી, અશ્વેત અને આફ્રીકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ થશે. બિડેન અને હૈરિસ આગામી વર્ષ 2021માં 20 જાન્યુઆરીના રોજ શપથ લેશે. જો બિડેન અને કમલા હૈરિસના આવ્યા પછી શું ભારતને ફાયદો થશે? તે સવાલ હાલ ચર્ચાસ્પદ બન્યો છે. કારણ કે ચીન અને પાકિસ્તાન સરહદ સળગતી છે, તે વચ્ચે અમેરિકામાં સત્તા પરિવર્તન થયું છે, તે ભારત સાથે કેવો વ્યવહાર કરશે. ખાસ કરીને ચીનની દાદાગીરી અને પાકિસ્તાનના આતંકવાદ સામે અમેરિકા કેવો અને કેટલો સાથે આપશે તે અતિમહત્વનું બની રહ્યું છે.
જો બિડેને ટ્વીટ કરી કહ્યું છે કે અમેરિકા, આપે આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે મને ચૂંટ્યો છે, તેને હું સમ્માનનો અનુભવ કરી રહ્યો છું. આગામી કામ મુશ્કેલ જરૂર છે, પણ હું તમને વચન આપું છું કે હું તમામ અમેરિકનોનો રાષ્ટ્રપતિ બનીશ, ભલે તમે મને વોટ આપ્યો હોય કે ન આપ્યો. તમે મારામાં જે વિશ્વાસ મુક્યો છે, તેને હું કાયમ રાખીશ.
જો બિડેન અને કમલા હૈરિસ જીતી જતાં અને અમેરિકામાં સત્તા પરિવર્તન પછી નિષ્ણાતો અને વિશ્લેષકારો ગણિત માંડી રહ્યા છે, કે ભારત અને ભારતીયોને કેટલો ફાયદો થશે? નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પાસે બધાને બહુ આશાઓ છે. જો બિડેન એચવનબી વીઝા અને ગ્રીન કાર્ડ યોજનામાં છૂટ આપશે, અને તેનાથી દરેક ભારતીયને ફાયદો થશે. ટ્રમ્પની સરકાર વખતે એચવનબી વીઝાધારકોના પતિ અથવા પત્નીને વર્ક પરમિટ પર લાગેલો પ્રતિબંધ સમાપ્ત કરી દેશે. બિડેનની યોજના એચવનબી વીઝા સહિત હાઈ સ્કીલવાળા વીઝાનો કવૉટા વધારવાની છે. બિડેન આવા વીઝામાં દરેક દેશ માટે નિર્ધારિત કવૉટા પણ ખતમ કરી શકે છે.
ટ્રમ્પ શાસનમાં એચવનબી વીઝાધારકોના પતિ અથવા પત્નીના વર્ક પરમીટ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેનાથી હજારો ભારતીય વ્યવસાયકારો પર અસર પડી હતી. બિડેન આ મુદ્દે કોઈ યોજના લાવશે, અને હાઈ સ્કીલ ધરાવતાં લોકોને અમેરિકામાં એન્ટ્રી આપશે, પણ તેનાથી અમેરિકી ઈનોવેશન અને પ્રતિસ્પર્ધાને કોઈ અવળી અસર ન પડે તે જોશે. તેમજ ગ્રીન કાર્ડ અનુસાર લાંબા સમય સુધી વિદેશી લોકો અમેરિકામાં કાયદાકીય રીતે રોકાણ કરે તેની પરવાનગી આપવામાં આવે છે. પણ અરજીઓની સંખ્યા અને બેકલોગને પુરો કરવા માટે ઓછામાં ઓછા 20થી 25 વર્ષનો સમય લાગી જશે. દર વર્ષે અંદાજે 1 લાખ 40 હજાર એચવનબી વીઝા અમેરિકા ઈસ્યૂ કરે છે.
જો બિડેન ભારત સાથે કામ કરી ચુક્યા છે. જ્યારે બરાક ઓબામાની સરકાર હતી, ત્યારે ઓબામા સરકારમાં તેઓ ઉપરાષ્ટ્રપતિપદ પર હતા. તે ઉપરાંત સેનેટરના રૂપમાં પણ તેઓ ભારતના સીધા સંપર્કમાં રહી ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની જેમ તેઓ બિલકુલ નવા નહી હોય. તેઓ ભારતને જાણે છે, અને ઓળખે છે.
વીતેલા કેટલાક દિવસોમાં ચૂંટણીપ્રચાર દરમિયાન જો બિડેને જમ્મુ કશ્મીરને લઈને જે નિવેદન આપ્યા હતા, તે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. જમ્મુ કશ્મીરમાં ધારા 370 પછી માનવાધિકારના મુદ્દા પર સાથે નાગરિકતા સંશોધન એક્ટને લઈને ભારતમાં પ્રદર્શન થયા હતા, તેના પર જો બિડેન અને કમલા હૈરિસે ટીકા કરી હતી. બન્ને જણાએ ભારતની નિતીની ટીકા કરી હતી. જો કે એક્સપર્ટનું માનવું છે કે ચૂંટણીપ્રચારમાં ટીકા કરવી અને નિવેદન કરવા તેનાથી વિદેશ નીતિ નક્કી કરી શકાતી નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ભારત સાથે દોસ્તીની વાતો કરતાં હોય, પણ તેમણે એવા કેટલાય નિર્ણયો લીધા છે કે જે ભારત વિરોધી રહ્યા છે. H1B વીઝાને લઈને નિર્ણય, ભારતમાં ટ્રેડને લઈને નિવેદનો, કશ્મીરના મુદ્દા પર મધ્યસ્થી કરવાની વાત, પેરિસ સમજૂતિ માટે ભારત પર આરોપ લગાવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પે કેટલીય વાર ભારતને ઝાટકો આપ્યો છે. પરંતુ ડો બિડેન આ તમામ મુદ્દાને લઈને અલગથી અભિપ્રાય ધરાવી રહ્યા છે.
જો બિડેન તેમના વિઝન ડોક્યુમેન્ટમાં એચવનબી વીઝા મુદ્દે નરમ વલણ અપનાવવાનો વાયદો કર્યો છે. જેનાથી ભારતીય મુળના યુવાનોને રોજગારી મળી શખે. સાથે ભારતીય મુળના સ્ટુડન્ટને રાહત મળશે. તે ઉપરાંત જો બિડેને ફરીથી પેરિસ એગ્રીમેન્ટ પર સહી કરવાની વાત કરી રહ્યા છે. ભારત માટે તેમના સંદેશમાં જો બિડેને કહ્યું હતું કે તેઓ ઈચ્છી રહ્યા છે કે ભારત અને અમેરિકા ટ્રેડ મુદ્દે પર કોઈપણ વિવાદ વગર આગળ વધીશું. એવામાં જે ટ્રેડ ડીલને લઈને લાંબા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, તેના પર ભારતને રાહત મળી શકે છે.
તો ઉપરાંત જો બિડેન આતંકવાદના મુદ્દાને લઈને સખત રૂખ અપનાવી રહ્યા છે, તેઓ ચીનની નીતિઓની આલોચના કરી ચુક્યા છે.
તેમજ જો બિડેનને આ પહેલા ભારત અને અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર ડીલ અને બરાક ઓબામા વખતે ઈન્વેસ્ટમેન્ટ સમિટ સહિત અન્ય કેટલાક મુદ્દા ઓ પર અતિમહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે.
એટલે કે જો બિડેન માટે ભારતની ઓળખ નવી નથી, તેઓ ભારતની લોકશાહી અને તેની નીતિઓથી સારી રીતે વાકેફ છે. જેથી ભારત અમેરિકાના સંબધોને કોઈ નેગેટિવ અસર નહી પડે. અને અમેરિકા ભારતને તમામ સહાય કરશે. અમેરિકાની વિદેશી નીતિ ભારત માટે ફાયદાકારક હશે. પીએમ મોદી ઓબામાના સારા મિત્ર છે, અને ઓબામા રાષ્ટ્રપતિ હતા, ત્યારે જો બિડેન ઉપરાષ્ટ્રપતિ હતા, જેથી મોદીની નીતિથી જો બિડેન સારી રાતે વાકેફ છે, અને તેઓ ભારતીયોની સ્કીલને સારી રીતે ઓળખે છે. તેમને ભારતવંશી કમલા હૈરિસનો સાથ પણ મળ્યો છે. જેથી ભારતીયો માટે બધી આંગળીઓ ઘીમાં રેહશે. ચીન અને પાકિસ્તાન મુદ્દે અમેરિકાના વલણ પર નજર રાખવી પડશે.