કોરોના કાળમાં બિહાર ચૂંટણીમાં તાજ કોના શિરે?

by Investing A2Z

કોરોના કાળમાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો અને મતગણતરીની તારીખની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, બસ ત્યારથી હવે રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય દાવપેચ શરૂ થયા છે. બિહારમાં અનેક પાર્ટીઓ છે, ગઠબંધન માટે બેઠકોની ખેંચતાણ વચ્ચે સહયોગી પાર્ટીઓ સાથે બેઠકોનો દોર શરૂ થયો છે. બિહારના રાજકારણને સમજીએ તો બિહારની પ્રજાએ સુધારાને આવકાર્યા છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્ય પર મ્હોર મારી છે, પણ હવે 2020ની ચૂંટણીના પરિણામો ઘણું બધુ કહી જશે. આમ જોવા જઈએ તો મોદી સરકાર માટે લિટમેસ ટેસ્ટ જ હશે.

કોરોના કાળ વચ્ચે યોજાતી ચૂંટણીમાં ચૂંટણી પચે તો બહુ સરસ નિયમો બનાવ્યા છે, પણ આ નિયમોનું કેટલું પાલન થશે, તે તો ચૂંટણી સમયે ખબર પડશે. ચૂંટણી અને પ્રચાર વખતે કોરોના ગાઈડલાઈન્સનું પાલન નથી કર્યું તેવી અનેક ફરિયાદો નોંધાશે. આક્ષેપો પણ થશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય છે કે કેમ? તે માટે રાજકીય આગેવાનોએ ધ્યાન રાખવું પડશે. કોરોના કાળમાં ચૂંટણી દરમિયાન જો કોરોના વધુ વકરશે તો ચૂંટણી પંચ અને સરકારને માથે માછલા ધોવાશે, તે નક્કી છે. અને જો ચૂંટણી શાંતિથી અને કોરોના ન ફેલાય તે રીતે થશે, તો ચૂંટણી પંચની વાહવાહ થશે. ચૂંટણી પંચે તમામ તકેદારીના પગલા લીધા છે, પણ રાજકીય આગેવાનોએ તેનું જો પાલન કરાવશે તો 100 ટકા ચૂંટણી નિર્વિધ્ને થઈ જશે. દરેક પક્ષના લીડરે ધ્યાન રાખવાની જરૂર છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 243 બેઠકો છે. 2015માં ચૂંટણી યોજાઈ ત્યારે પાંચ તબક્કામાં મતદાન થયું હતું, આ વખતે 2020માં માત્ર ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થશે. 2015માં કુલ સરેરાશ 56.9 ટકા મતદાન થયું હતું. 2000ની સાલમાં 62.6 ટકા મતદાન થયું હતું. હવે 2020માં મતદાનની ટકાવારી વધશે કે પછી કોરોના વાયરસના ડરથી મતદાતા મત આપવા આવશે કે નહી? તે સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.

2015ની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો એનડીના વિવિધ પક્ષોમાં જનતાદળ(યુ)ને 71 બેઠક, ભાજપને 53 બેઠક, લોક જન શક્તિ પાર્ટીને 2 અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને 2 અને હિન્દુસ્તાન અવામ મોરચાને 1 બેઠક મળી હતી.

તેમની વિરોધમાં આરજેડીને 80 બેઠક, કોંગ્રેસને 27 બેઠક મળી હતી.

મુખ્યપ્રધાન નિતીશકુમારની આગેવાની સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. હવે 2020માં પણ એનડીએના સાથી પક્ષો ભેગા મળીને ચૂંટણી લડશે. બિહારના રાજકારણની પરિસ્થિતિ બદલાઈ નથી. હજી ત્યાં સ્થાનિક વિવિધ પાર્ટીઓનું વર્ચસ્વ રહ્યું છે. નિતીશકુમારની સુધારાવાદી અને વિકાસના કામોને પરિણામે બિહારની જનતા ફરીથી તેમને રીપીટ કરે તેવી શકયતા વધારે છે. કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના વિકાસના કામ અને કોરોના સમયના કામ, અયોધ્યા વિવાદ ઉકલી ગયો, રામજન્મ ભૂમિનું પૂજન, કશ્મીરમાં 370 કલમ હટાવી, પાકિસ્તાન અને ચીન સરહદ પર દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપ્યો છે, જે મુદ્દે બિહારની જનતા મોદી સરકારની સાથે રહે તેવું પણ બની શકે છે. જો કે તાજેતરમાં કેન્દ્રના કૃષિ બિલનો વિરોધ થયો છે, તેમાં બિહારના ખેડૂતો પણ જોડાયા છે. મોદી સરકારે ખેડૂતોના મનમાં રહેલ વિરોધને દૂર કરવા માટે યોગ્ય પગલા ભરવા પડશે, નહી તો મતદારોનો ચૂકાદો વિરુદ્ધ જઈ શકે છે. બીજી તરફ સામે આરજેડી અને કોંગ્રેસે બિહારમાં છેલ્લા ત્રણ વર્ષમાં સારુ એવું કાર્ય કર્યું છે. નિતીઓને સરકાર વિરોધી ગણાવીને બિહારની જનતાને અવગત કરી છે. બિહારમાં કોગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલ છે, તેમના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ ચૂંટણી લડશે.

ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ એનડીએ ગઠબંધન અને આરજેડીના નેતૃત્વવાળું મહાગઠબંધન પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. એબીપી ન્યૂઝ- સીવોટર સર્વેમાં અંદાજે 57 ટકા લોકો સીએમ નિતીશકુમારના કામથી ખુશ નથી, અને આ સરકારને બદલાવના પક્ષમાં જોવા મળ્યા છે, તેમ છતાં એનડીએ ગઠબંધન બહુમતીથી આવશે, તેમ દેખાઈ રહ્યું છે. સર્વે અનુસાર ભાજપ, જેડીયુ, હમ અને એલજેપીવાળુ એનડીએ ગઠબંધન સરળતાથી બહુમતી હાંસલ કરશે. અને 141-161 બેઠકો મળી શકે છે, આરજેડીને 64-84 બેઠક મળશે. અન્ય પક્ષોને 12-23 બેઠકો મળશે.

એનડીએ તરફથી નિતીશકુમાર સીએમનો ચહેરો છે, તેમજ મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવ સીએમને ચહેરો છે. વોટ ટકાવારીની વાત કરીએ એનડીએ ગઠબંધનને 44.8 ટકા વોટ મળશે. જ્યારે મહાગઠબંધનને 33.4 ટકા વોટ મળશે. આમ જોવા જઈએ તો વોટ શેરમાં ઝાઝો તફાવત નથી. ચૂંટણી પ્રચાર અને બેઠકોની ફાળવણી ખૂબ મહત્વનો ભાગ ભજવશે. જો કે આ તો પ્રાથમિક સર્વે છે, હજી ઘણુ બધુ ચિત્ર બદલાઈ શકે છે.

ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. બિહારમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. 28 ઓકટોબરે પ્રથમ તબક્કો, 3 નવેમ્બરે બીજો અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં મતદાન થશે. 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખૂબ જ તૈયારી કરવામાં આવી છે. અને કેટલાય પગલા લેવામાં આવ્યા છે. મતદાન મથક પર મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. આ વખતે એક બુથ પર એક હજાર મતદાતા હશે. તમામ મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફલોર પર જ રહેશે. કોરોનાકાળની આ સૌથી મોટી ચૂંટણી છે. જેમાં 6 લાખ પીપીઈ કિટ, 46 લાખ માસ્કનો ઉપયોગ કરાશે. 6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લોવઝ અને 47 લાખ હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પીડિત મતદાતા મતદાનના આખરી સમયમાં મત આપી શકશે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે મતદાનનો સમય વધારવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. કોરોનાકાળમાં નવા સુરક્ષાના માપદંડો સાથે ચૂંટમી યોજાશે. બિહારમાં કુલ 7.79 કરોડ મતદાતા છે. તેમાં મહિલા 3.39 કરોડ મહિલા મતદાતા છે.

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે રાજકીય પક્ષો ઘરેઘરે જઈને ચૂંટણી પ્રચાર કરી શકશે, જેમાં તેમની સંખ્યા પાંચથી વધારે ન હોવી જોઈએ. ઉમેદવારો ઉમેદવારી નોંધાવા જાય ત્યારે માત્ર બે વાહનો લઈને જઈ શકશે. ઉમેદવારી પત્ર ઑનલાઈન પણ ભરી શકાશે. ચૂંટણી પ્રચાર માત્ર વર્ચ્યુલ માધ્યમથી જ થશે.

બિહાર વિધાનસભાની ચૂંટણી કોરોનાકાળમાં એક દાખલારૂપ ચૂંટણી હશે. 70 દેશોએ ચૂંટણીને ટાળી છે, ત્યારે ભારત માટે હવે બિહાર વિધાનસભાની ચૂંટણી ન્યૂ નોર્મલ છે. કોરાના કાળમાં બિહારની જનતા તાજ કોના શિરે મુકે છે, તે તો 10 નવેમ્બરે જ ખબર પડશે.

Related Posts

Leave a Comment