દૂધની શુદ્ધતા અને ગુણવત્તાના બેહાલ, FSSAI રીપોર્ટ આપી છટકી જશે કે ?

by Investing A2Z

દૂધની શુદ્ધતા જળવાઈ રહે અને તેની ગુણવત્તા વધુ સારી કરવા માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ કમર કસી છે. પહેલી જાન્યુઆરી, 2020થી સંગઠિત ક્ષેત્રના દૂધ ઉત્પાદકો જેમ કે અમૂલ, મધર ડેરી, સાબર ડેરી જેવી અનેક ડેરીઓએ પોતાના દૂધના સેમ્પલની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની લેબોરેટરીમાં તપાસ કરાવવી પડશે.

દૂધની શુદ્ધતા અને ગુણવત્તા કેટલી ખરી હોય છે, તે તો દૂધનો ઉપયોગ કરનારા જાણે જ છે. અને દૂધમાં પાણીની મિલાવટ કેટલી હોય છે, તે પણ સૌ જાણે છે. તાજેતરમાં જ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક સર્વે જાહેર કર્યો છે. જે સર્વેના અહેવાલ અનુસાર 41 ટકા પ્રોસેસ્ડ અને કાચા દૂધની ગુણવત્તા જે હોવી જોઈએ તેના કરતાં ઓછી છે. 41 ટકા દૂધમાં ફેટ અને એસએનએફ એટલે કે સોલિડ્સ નોટ ફેટની માત્રા નક્કી કરેલ માપદંડોથી ઓછી જોવા મળી છે.

આ સર્વે પરથી એટલું ફલિત થાય છે કે 47 ટકા દૂધ ઉત્પાદકો યોગ્ય ગુણવત્તાનું દૂધ આપતા નથી. પેકેજ્ડ દૂધના 37.7 ટકા સેમ્પલ કવૉલિટી સ્ટાન્ડર્ડ અનુસાર નથી. આપણને એમ છે કે પેકેજ્ડ દૂધ આવે છે, તે સૌથી સલામત અને ગુણવત્તામાં નંબર વન હશે. ભારતના તમામ શહેરોમાં પેકેજ્ડ દૂધનું ચલણ વધારે છે. પણ તમારી સામે ફૂડ સેફટીવાળાનો રીપોર્ટ આવ્યો છે તે આંખો ખોલનારો છે. પેકેજ્ડ દૂધના 37.7 ટકા સેમ્પલ  કવૉલિટી સ્ટાન્ડર્ડ અનુસાર નથી. તેના બે કારણ સામે આવ્યાં છે કે એક તો ગાયને યોગ્ય પ્રોટીનવાળો ખોરાક મળતો નથી અથવા તો દૂધમાં પાણી મેળવીને વેચાઈ રહ્યું છે.

આપણે બધાં વર્ષોથી જાણીએ છીએ કે દૂધમાં પાણીની મિલાવટ થઈ રહી છે. પણ આપણે કે સરકાર કશું કરી શકી નથી. સહકારી ડેરીઓ હોય કે ખાનગી ડેરીઓ અને દૂધ ઉત્પાદક તમામ સામે કોઈ કાર્યવાહી થતી જ નથી. અરે કાયદો હશે ખરો, પણ કાયદાનું યોગ્ય પાલન થતું નથી. ફૂડ સેફટીવાળા જાગ્યાં છે, તે તો ખૂબ સારી વાત કહેવાય. રાતનો ભૂલ્યો સવારે ઘેર આયો…  આશા રાખીએ કે પહેલી જાન્યુઆરી, 2020 પછી આપણને યોગ્ય ગુણવત્તાવાળું દૂધ મળશે.

FSSAI એ શું છે, અને તે કેવી રીતે કામ કરે છે, તે જાણીએ…

FSSAI એ એક એજન્સી છે, જે  દેશમાં તમામ વ્યક્તિઓની તંદુરસ્તી વધુ સારી રહે તે માટે આરોગ્યલક્ષી માપદંડોનું ધ્યાન રાખે છે.  FSSAI એ ભારતના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મંત્રાલયની સત્તા હેઠળ આવે છે. FSSAI ની સ્થાપના વેચાઈ રહેલા તમામ ખાદ્યપદાર્થોની ચકાસણી કરવાના ઉદેશ્યથી કરાઈ છે. જેને આપણે ફૂડ લાયસન્સ પણ કહી શકીએ. FSSAIએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પર નિયંત્રણ કરવાનું કામ કરે છે અને ખાદ્ય સુરક્ષા સુનિશ્રિત કરે છે. તેનું આખું નામ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા છે. ભારત સરકારે FSSAIની સ્થાપના 5 સપ્ટેમ્બર, 2008ના રોજ કરી હતી. તેની હેડ ઓફિસ દિલ્હીમાં છે. ભારતભરમાં તેના 8 કાર્યાલય શરૂ કરાયાં છે.

Related Posts

Leave a Comment