મહારાષ્ટ્રમાં સત્તાના ખેલ પછી રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું છે. છેલ્લા 19 દિવસની રાજકીય ખેંચતાણ પછી કોઈપણ પક્ષ સરકાર રચવા માટે એક બીજાને ટેકો આપવા તૈયાર ન થઈ. ભાજપ, શિવસેના, એનસીપી, કોંગ્રેસ આ તમામ પાર્ટીઓની અનેક મીટીંગો થઈ, પણ બધાની વિચારધારા અલગઅલગ છે, તેઓ ભેગા ન થઈ શક્યા. હા એક માત્ર શિવસેનાએ પોતાની સરકાર રચવા માટે તમામ વિરોધીઓ સાથે જુના મતભેદ ભુલીને ટેકો મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ સફળતા ન મળી. ભાજપ સાથે દોસ્તી તૂટી, શિવસેના સાંસદે મોદી કેબિનટમાંથી રાજીનામું આપી દીધું, એનસીપી અને કોંગ્રેસે શિવસેનાને ટેકો ન આપ્યો, આ સંજોગોમાં શિવસેના માટે બાવાના બેય બગડ્યા જેવી સ્થિતી થઈ છે. ભાજપ માટે એવું બન્યું છે કે અમે સત્તામાં નહી તો કોઈ નહી… સત્તાની લાલસામાં કોણે શું ગુમાવ્યું, બધાએ ઘણું બધુ ગુમાવ્યું છે…
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 24 ઓકટોબરે આવ્યા પછી છેક સુધી સસ્પેન્સ યથાવત રહ્યું હતું, ભારે રસાકસીભર્યા ચૂંટણીના પરિણામો તેવી જ રીતે સરકાર બનાવવામાં સત્તાની ભારે ખેંચતાણ જોવા મળી છે. જો કે ચૂંટણી પરિણામ પછી સ્પષ્ટ થયું કે એનડીએના સાથી પક્ષો ભાજવ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચશે, પણ શિવસેનાએ સીએમ પદ માંગી લીધુ, અને ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટ કહી દીધું કે મુખ્યપ્રધાન પદ આપવું હોય તો જ મને ફોન કરજો. ભાજપ સૌથી સીંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી, જેથી ભાજપ નમતું જોખવા તૈયાર નહોતી. અને ભાજપના મોવડીમંડળે સ્પષ્ટ કરી દીધું છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યપ્રધાન બનશે. આમ સત્તાની ખેંચતાણ વચ્ચે ભાજપ અને શિવસેનાની દોસ્તીમાં તિરાડ પડી.
શિવસેનાએ દોસ્તી તોડી પછી શિવસેનાએ અન્ય વિકલ્પો પર ચર્ચા શરૂ કરી, જે પાર્ટીઓ સાથે વિચારભેદ છે, વિચારધારાનો ભેદ છે, એજન્ડા અલગઅલગ છે, તેમની સાથેનું ગઠબંધન થઈ રહ્યું છે, તેવા સમાચાર સોમવારે 11 નવેમ્બર, 2019ના રોજ જોવા મળ્યા, બધાને સત્તા પર આવવું છે, તે સ્પષ્ટ થયું. શિવસેના સત્તાના સમીકરણો ગોઠવીને કોંગ્રેસ અને એનસીપીનો ટેકો મેળવવામાં અશતઃ સફળ થયું છે. પણ આ સંઘ કાશીએ પહોંચશે ખરો તેવો સવાલ થાય…
મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ રીતે ભાજપ અને શિવસેનાના ગઠબંધનને જનાદેશ આપ્યો છે, ત્યારે મુખ્યપ્રધાન પદ તો શિવસેનાને જ જોઈએ, તેવી માંગ સાથે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત અડગ જ રહ્યા છે, તેમને એમ હતું કે ભાજપ ઝુકી જઈને અમને સીએમ પદ આપી દેશે, પણ ભાજપ નેશનલ લેવલની પાર્ટીને નાતે સીએમ પદ ન આપ્યું અને સરકાર રચવાની પણ ના પાડી દીધી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 105 બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી ભાજપ બની હતી, જ્યારે શિવસેનાને 56 બેઠક મળી છે, આ સંજોગોમાં શિવસેના સીએમ પદ માંગે તો ભાજપ કેવી રીતે આપે, તે પણ અતિમહત્વનો પ્રશ્ન છે. ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પરિણામ પછી સત્તાના સમીકરણો ગોઠવવા માટે એકબીજા પર ખુબ કાદવ ઉછાળ્યો, બન્ને વચ્ચે દોસ્તી તૂટી, પ્રજા બધુ જોઈ રહી છે, અને સત્તાની લાલચમાં કોણ શું નિવેદન કરે છે, પણ હાલ તો મહારાષ્ટ્રમાં રાજકીય રીતે જોઈ તો કોકડુ બરાબરનું ગુંચવાયેલું હતું, બધી પાર્ટીઓએ સત્તાની લાલચમાં અનેક મીટીંગો કરીને પ્રજાને ગુંચવી નાંખી હતી. બધા જ એક સવાલ કરતાં હતા કે મહારાષ્ટ્રમાં સરકાર કેટલા દિવસ ચાલશે?
નવી દિલ્હીથી માંડીને મુંબઈ સુધી અનેક મીટીંગો થઈ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સૌથી મોટી પાર્ટીના નાતે ભાજપને સરકાર રચવા આમંત્રણ દીધુ, શિવસેના સાથે સત્તાની ભાગીદારી અંગેની મંત્રણા પડી ભાંગી અને બહુમતીના અભાવે તેમણે સરકાર રચવાનું આમંત્રણ સ્વીકાર્યું નહી, તે પછી શિવસેના બીજી સૌથી મોટી પાર્ટી હતી, જેથી રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યું. શિવસેનાએ સોમવારે સવારથી તેમની જ વિરોધીઓ એનસીપી અને કોંગ્રેસ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો, શરદ પવારે કહી દીધું કે તમે મોદી સરકારમાંથી રાજીનામું આપો તો અમે તમને ટેકો આપીશું. શિવસેનાના સાંસદ અરવિંદ સાંવતે મોદી કેબિનેટમાંથી રાજીનામું પણ આપી દીધું. એનસીપીએ તો ટેકો જાહેર કર્યો, પણ કોંગ્રેસના ટેકા વગર સરકાર બને તેમ ન હતી. જેથી એનસીપીના શરદ પવારે સોનિયા ગાંધીએ ચર્ચા કરી, ખુદ ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધી સાથે વાત કરી, પણ કોંગ્રેસ સ્પષ્ટ ન થઈ શકયું. આદિત્ય ઠાકરે રાજ્યપાલને મળીને ત્રણ દિવસનો સમય માંગ્યો, અને કહ્યું કે તેમની વાત એનસીપી અને કોંગ્રેસ સાથે ચાલી રહી છે, તેઓ મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બનાવવા ઈચ્છી રહ્યા છે. તેમ છતાં રાજ્યપાલે સમય ન આપ્યો અને એનસીપીએ સરકાર રચવા આમંત્રણ પાઠવ્યું. એનસીપી સરકાર રચી શકે તેમ નથી.
અંત મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીઓ રાષ્ટ્રપતિ શાસનની ગૃહ મંત્રાલયને ભલામણ કરી, કેન્દ્રીય કેબિનેટની બેઠકે તેને લીલીઝંડી આપી દીધી.
આ રાજકીય સત્તાની ખેંચતાણનો નગ્ન નાચ આખા દેશે ટીવી સ્ક્રીન પર લાઈવ જોયો. સત્તાની લાલસા તો જુઓ કે ચૂંટણી લડતી વખતે જેઓ એકબીજાના ભયંકર વિરોધી હોય, અને પ્રજા(મતદારો) સામે જઈને જે મુદ્દા પર મત માંગ્યા હોય તે તમામ મુદ્દા બાજુ પર મુકીને વિરોધીઓ સાથે હાથ મિલાવો તો મતદારો તમને માફ કરે ખરા. અને બીજી વાર મત માંગવા જાવ તો આપેય ખરા…
મતદારોએ પણ શીખવા જેવું છે કે કોઈપણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપો, જેથી રાજ્ય અને દેશનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે. અધકચરી બહુમતીથી હોર્સ ટ્રેડિંગ થાય, વિરોધીઓ ભેગા થાય, ટેકો પાછો ખેંચે, સરકાર પડી જાય, ફરીથી ચૂંટણી આવે, દેશ અને રાજ્યને માથે ચૂંટણીનો ફેર ખર્ચ થાય, આ તમામ ખર્ચ મતદારોને માથે જ હોય છે, આવું થાય ત્યાં સુધીના સમયમાં દેશ હોય કે રાજ્ય તેના વિકાસના કોઈ કામ ન થઈ શકે. રાજ્યની પ્રગતિ અવરોધાય.
શિવસેના માટે ભાજપ સાથે મળીને સત્તાની ભાગીદારી માટે ઉત્તમ તક હતી. ભાજપના મોવડીમંડળ સાથે બેસીને શિવસેનાએ નક્કી કર્યું હોત તો આજે ભાજપ અને શિવસેનાની સરકાર રચાઈ ગઈ હોત. સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ આદિત્ય ઠાકરે હોત. કેબિનેટમાં ભાજપ અને શિવસેનાના ધારાસભ્યો હોત. કેન્દ્રમાં ભાજપની સરકાર છે, શિવસેના ભાજપ સાથે બેસીને સત્તામાં આવી હોત તો શિવસેના વધુ મજબૂત બની હોત. પણ શિવસેનાએ સત્તાની લાલસામાં બધુય ખોયું છે. બાવાના બેય બગડ્યા જેવી સ્થિતી સર્જાઈ છે. બીજી તરફ એવી વાત છે કે મહારાષ્ટ્રમાં 1966માં શિવસેનાની સ્થાપના થઈ, બાલા સાહેબની શિવસેના અને આજની શિવસેનામાં આસમાન જમીનનો ફરક છે. શિવસેનાનો રુતબો જે પહેલા હતો, તેવો હાલ નથી. ઉદ્ધવ ઠાકરે આ વાત સમજી લેવી જોઈએ કે મહારાષ્ટ્રની જનતાએ જ ભાજપને 105 બેઠકો આપી છે, અને શિવસેનાને 56 બેઠકો આપી છે. મહારાષ્ટ્રની જનતાએ હિન્દુવાદી વિચારધારા ધરાવતાં ભાજપ અને શિવસેનાને મત આપ્યો. તો આ બન્ને પાર્ટી સત્તા માટે લડી, અને તેમની દોસ્તી તૂટી. મહારાષ્ટ્રના મતદારો સાથે દગો થયો છે, તે તો સ્પષ્ટ થયું છે.
અંતે કોઈપણ પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર રચી શકી નથી. રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી દીધી, કેબિનેટને મંજૂરી આપી અને રાષ્ટ્રપતિએ કેન્દ્રની ભલામણ પર સહી કરી દીધી, અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું છે. શિવસેના માટે બન્ને બાજુનો લાડવો ઝુટવાઈ ગયો છે.