કોરોના વાયરસના સંકટનો સામનો કરી રહેલ ભારતીયો માટે ખુશખબરી છે. દેશમાં ડિસેમ્બરના અંત સુધીમાં કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી જશે. દિલ્હીના એઈમ્સના ડીરેક્ટર ડૉકટર રણદીપ ગુલેરિયાએ એએનઆઈ સાથે વાત કરતા જાણકારી આપી હતી કે હાલ દેશમાં 6 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, અને તેમાં બે વેક્સિન અંતિમ ફેઝમાં છે. વેક્સિન આપતાં પહેલા કોલ્ડ ચેઈન બનાવવી, સ્ટોર્સ વેરહાઉસ ઉપલબ્ધ કરાવવું, રણનિતી બનાવવી અને તેની સાથે રસી આપવી અને સીરિંઝની ઉપલબ્ધતાના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે યુદ્ધના સ્તરે કામ શરૂ થઈ ગયું છે.
દેશમાં કોરોનાની બીજી લહેર ફેલાઈ છે. 3 ડીસેમ્બર, 2020ના છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના અંદાજે 35,000થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોના વાયરસના ફેલાવાની ઝડપ ઘટી છે એટલે કે કેસ ઓછા નોંધાયા છે, તે જોઈને દિલ્હી એઈમ્સના ડીરેક્ટર ડૉકટર રણદીપ ગુલેરિયાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે અમે કોરોનાનો ગ્રાફ નીચે જતો જોઈ રહ્યા છીએ. અને જો નિયમોનું પાલન કરીશું તો આ ઘટાડો આગળ વધશે.
ડૉકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે આગામી ત્રણ મહિના ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે સાવધાની રાખીશું તો કોરોના મહામારીના ભયને ટાળી શકીશું. કોરોના વેક્સીન પર ડૉકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં જે રસી બની રહી છે તેનું ફાઈનલ સ્ટેજમાં ટ્રાયલ ચાલી રહ્યું છે.
ડૉકટર રણદીપ ગુલેરિયાએ આશા જતાવી છે કે આ મહિનાના અંત સુધીમાં અથવા તો આગામી મહિનાની શરૂઆતમાં આપણે કોરોનાની વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી મળી જશે. આપણે વેક્સિનના ડિસ્ટ્રીબ્યૂશનને લઈને સખત પગલા ભરવાની જરૂરિયાત છે. જેનાથી જનતાને વેક્સિન આપવાનું શરૂ કરી શકાય.
ડૉકટર રણદીપ ગુલેરિયાનું કહેવું થે કોરોના વેક્સિનને લઈને સારા ડેટા ઉપલબ્ધ થયા છે, અને તે રસી વધુ સુરક્ષિત હોવાનું જણાય છે. વેક્સિનની સુરક્ષા અને તે પ્રભાવકારિતાના મુદ્દે કોઈ સમજૂતિ કરાઈ નથી. 70,000થી 80,000 સ્વયંસેવકોને વેક્સિન આપવામાં આવી છે. કોઈ મહત્વપૂર્ણ ગંભીર વિપરીત અસર દેખાઈ નથી. ડેટાથી જણાયું છે કે વેક્સિન સુરક્ષિત છે. ડૉકટરનું કહેવું છે કે જ્યારે આપણે મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપીશું ત્યારે તેઓમાં કોઈને કોઈ બીમારી હોઈ શકે છે. જે વેક્સિનના સંબધમાં નહી હોય.