દિલ્હી પર ઝાડુએ ઝંડો ફરકાવ્યો, કેજરીવાલની હેટ્રિકના અર્થ ?

by Investing A2Z

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયાં છે. અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટીનું ઝાડુ ફરી વળ્યું છે, અને કેજરીવાલે હેટ્રિક લગાવી દીધી છે, હવે દિલ્હીનો તાજ કેજરીવાલના શિર પર છે. કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી નથી, તો ભાજપની દિલ્હી કબજે કરવાની અથાગ મહેનત અને પાણીની જેમ પૈસા વાપર્યા છતાં દિલ્હી દૂર જતી રહી છે. કેજરીવાલની જેમ ભાજપે પણ દિલ્હીવાસીઓને અનેક વાયદા કર્યા, પણ કોણ જાણે દિલ્હીવાસીઓએ ત્રીજી વખત કેજરીવાલ પર જ પસંદગી ઉતારી છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી(આપ)ને 62 બેઠક મળી છે, ગત વર્ષની તુલનાએ 5 બેઠકનું નુકસાન થયું છે, જ્યારે ભાજપને 8 બેઠક મળી છે, જેમાં ગત વર્ષની સરખામણીએ ભાજપને 5 બેઠકનો ફાયદો થયો છે. કોંગ્રેસ તો ખાતું જ ખોલાવી શકી નથી. આમ પણ દિલ્હીના ચૂંટણી જંગમાં કોંગ્રેસ હતી, પણ મેદાનમાં પહેલેથી જ હારી માની લીધી હોય તેવો વર્તાવ હતો. જે દિલ્હીની ગાદી પર કોંગ્રેસ પક્ષના જ શીલા દીક્ષિત ત્રણ ટર્મ સુધી સીએમ રહ્યાં હોય, તે કોંગ્રેસ પક્ષ ખાતું ન ખોલાવી શકે, તે ગજબ છે. પણ દિલ્હીનું રાજકારણ અલગ પ્રકારનું છે. દિલ્હીવાસીઓએ સ્થાનિક મુદ્દાને આધારે જ આમ આદમી પાર્ટીને મત આપ્યાં હોય તેવું ફલિત થાય છે.

અરવિંદ કેજરીવાલે જેમ મફત વીજળી અને પાણી આપવાનું કહ્યું હતું તેમ ભાજપે પણ 2 રૂપિયે કિલો ઘઉંનો લોટ, વિદ્યાર્થીઓને મફત સ્કૂટી, સાઈકલ જેવા વાયદા કર્યા હતાં. ચૂંટણી પ્રચારમાં ભાજપે કેન્દ્રીય પ્રધાનો, સાંસદો, અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનની પુરી ફોજ ઉતારી હતી. ચૂંટણી પ્રચારમાં ભાજપના ચાણક્ય કહેવાતાં અમિત શાહે આગેવાની સંભાળી હતી, અને તેમણે જાનની બાજી લગાવી હતી. ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ જેવા ફાયરબ્રાન્ડ નેતાઓ, ગુજરાતના સીએમ વિજય રૂપાણી, અને સપના ચૌધરી, નિરહુઆ જેવા સેલિબ્રિટી સ્ટાર પણ દિલ્હીના રસ્તાઓ પર પ્રચાર કરવા ઉતર્યાં હતા. તેમ છતાં ભાજપ ડબલ ડિજિટમાં પણ બેઠક મેળવી શકી નથી.

દિલ્હીમાં કેજરીવાલ સામે ટક્કર લઈ શકે તેવા ભાજપ પાસે કોઈ નેતા ન હતાં. ભાજપે સીએમ તરીકે કોણ તેનું નામ કે ચહેરો જાહેર કર્યો ન હતો. જેથી દિલ્હીવાસીઓને તે પસંદ નહી પડ્યું હોય તેવું એક કારણ ગણી શકીએ. કેજરીવાલ આમ આદમી પાર્ટીના તમામ બેનરો અને પોસ્ટરો પર છવાયેલાં રહ્યાં તેમ જ કેજરીવાલના વીતેલાં પાંચ વર્ષના કામનો ઈતિહાસ આંખે દેખાય તેવો હતો, જેથી આમ જનતાએ કેજરીવાલને જ ફરીથી સીએમ બનાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે. કેજરીવાલે ચૂંટણી પ્રચારમાં વારંવાર અમિત શાહને પડકાર ફેંકયો હતો, કે તમે સીએમ કેન્ડિડેટ તો જાહેર કરો. તેઓ એમ કહેતાં હતાં, કે સીએમ જનતા નક્કી કરે છે, અમિત શાહ નહી. ભાજપે સીએમના ઉમેદવાર જાહેર ન કરાતાં તેનો સીધો ફાયદો અરવિંદ કેજરીવાલ લઈ ગયાં છે.

દિલ્હીની ચૂંટણી પીએમ મોદી અને કેજરીવાલની રહી છે, તો કયાંક અમિત શાહ પણ રહ્યાં હતાં. સીધે સીધા આક્ષેપો આમનેસામને થતાં રહ્યાં, મનોજ તિવારી તેના જવાબો આપતાં હતાં. જો કે મનોજ તિવારીને ભાજપે આગળ કર્યા હતાં, પણ મનોજ તિવારી પૂર્વાંચલ મતદારો પર પ્રભાવ પાડી શક્યાં નથી. જો કે સવારે 11 વાગ્યે મનોજ તિવારીએ ચૂંટણી જગમાં હાર સ્વીકારીને જવાબદારી તેમના માથે લીધી હતી. દિલ્હીનો જંગ ભાજપ અને આપનો જ હતો, તેમ છતાં ભાજપ સફળ થયો નથી, જો કે ભાજપનો વોટ શેર વધ્યો છે.

ભાજપે કેજરીવાલ પર ચૂંટણીપ્રચારમાં સીધો હૂમલો જ કર્યો હતો. દિલ્હીમાં કેજરીવાલની લોકપ્રિયતા અકબંધ હતી, અને ભાજપના નેતાઓએ કેજરીવાલને આતંકવાદી, નકસલી અરાજકતાવાદી સુધીના આક્ષેપો કર્યાં હતાં. શાહીનબાગમાં પણ જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે, તેમાં પણ કેજરીવાલનો સપોર્ટ છે, તેમને પાણીથી માંડીને ખાવાનું સુદ્ધાં કેજરીવાલ તરફથી મળી રહ્યું છે, તેવા આક્ષેપો થયાં હતાં. મનોજ તિવારીએ તો છેલ્લે છેલ્લે કેજરીવાલ હનુમાન મંદિર ગયાં, તેને મજાક બનાવી હતી. તો સામે અરવિંદ કેજરીવાલે આ મજાકને તેનું હથિયાર બનાવી લીધું હતું.

દિલ્હીની ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય(રાષ્ટ્રીય) મુદ્દાને પ્રચારમાં ગણાવ્યાં હતાં, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્થાનિક મુદ્દાની ચર્ચા વધુ કરી હતી. જો કે પાછળથી ભાજપે ઝારખંડની ભૂલ સુધારી હતી, અને દિલ્હીમાં પણ સ્થાનિક મુદ્દા અંગે પ્રચાર કર્યો હતો. ગેરકાયદે કોલોનીઓને કાયદેસર કરવા જાહેરાત કરી હતી, દિલ્હીવાસીઓને ખૂબ મોટો ફાયદો કરાવી આપ્યો છે, તેમ છતાં દિલ્હીના મતદારોએ કેજરીવાલના કામને પસંદ કર્યું છે.

શાહીનબાગના વિરોધ પ્રદર્શન દિલ્હીની ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો રહ્યો હતો, ભાજપે શાહીનબાગને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, પણ શાહીનબાગ કરતાં સ્થાનિક મુદ્દા પર દિલ્હીની જનતાએ વધુ મહત્વ આપ્યું છે. સીએએના વિરોધી પ્રદર્શનોમાં શાહીનબાગને તૌહીનબાગ કહેવાયું હતું. અમિત શાહ પણ તમામ સભાઓમાં કહેતાં હતાં કે ઈવીએમનું બટન એટલું જોરથી દબાવજો કે કરંટ શાહીનબાગ સુધી પહોંચી જાય.

શરજિલ ઈમામના ભડકાઉ ભાષણો અને કેટલીક જગ્યાએ સીએએ વિરોધી પ્રદર્શનમાં ભારત વિરોધી નારાઓને કારણે ભાજપે શાહીનબાગને જ ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવી દીધો હતો. પણ ભાજપની આ બાજી ઉલટી પડી ગઈ છે. એમ પણ કહી શકાય કે કોંગ્રેસ વધુ સક્રિય નહી હોવાને કારણે સીધો ફાયદો આપ લઈ ગયું છે. જો કોંગ્રેસ વધુ સક્રિય હોત અને ચૂંટણી પ્રચારમાં જોરશોર અને જાહેરસભાઓ કરી હોત તો કદાચ ત્રિપાંખિયો જંગ ખેલાત અને તેનો ભાજપને ફાયદો થઈ શકત.

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પહેલી પરીક્ષામાં જ ફેઈલ થયાં છે. નડ્ડાએ દિલ્હીની ચૂંટણીના 20-22 દિવસ પહેલાં જ રાષ્ટ્રીય પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો, પણ તેઓ કાર્યકારી પ્રમુખ તો હતાં જ.

કેજરીવાલ ભાજપના વિવાદીત નિવેદનોથી બચતાં રહ્યાં હતાં, તેનો જવાબ પણ આપવાનું ટાળતાં હતાં, તેઓ માત્રને માત્ર વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને એક ફોક્સ સાથે પ્રચાર કર્યો હતો. સ્થાનિક મુદ્દા જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી જેવા મુદ્દા જનતા સમક્ષ રજૂ કર્યાં હતાં. ભાજપ દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય પક્ષ છે, તેણે એક જ રાજ્યના પક્ષના કેજરીવાલની હેટ્રિક પર અભ્યાસ કરવો જોઈએ, અને તેમની સફળતાના રહસ્યને જાણવું જોઈએ. દિલ્હીવાસીઓને શું જોઈએ છે, તેની જાણકારીનો સર્વે કરવો જોઈએ. આટલો મોટો પક્ષ દિલ્હીની ગાદી ન મેળવી શકે, આમ તો ભાજપ માટે આ કારમી હાર છે. ભલે તેને 5 બેઠકનો ફાયદો થયો હોય, પણ આટલી મહેનત અને અઢળક રૂપિયાનો ખર્ચ કર્યો હોય અને જીત ન મળે તો તે કારમી હાર જ કહેવાય.

Related Posts

Leave a Comment