રશિયાના બંધારણમાં ફેરફાર ભારત માટે કેટલો ફાયદાકારક?

by Investing A2Z

શિયામાં બંધારણમાં ફેરફાર કરવા માટેની દરખાસ્ત થઈ છે. જે  પછી રશિયાના વડાપ્રધાન દમિત્રી મેદવેદેવે રાજીનામું આપી દીધું છે, અને તેમના સ્થાને મિખાઈલ મિશુસ્ટિનને નવા વડાપ્રધાન બનાવ્યાં છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના નામની જાહેરાત કરી હતી. રાતોરાત રશિયામાં સત્તા પરિવર્તન થયું, ત્યારે વિશ્વના લોકોએ આર્શ્ચય વ્યક્ત કર્યું હતું. સત્તા પરિવર્તનની ઘટના જ્યારે સામે આવી ત્યારે જ પુતિને બંધારણમાં સુધારા કરવાની રજૂઆત કરી હતી, જે પરથી સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રપતિ પુતિન લાંબા સમય સુધી સત્તામાં રહેવા માટે રસ્તો તૈયાર કરી રહ્યાં છે. શું ખરેખર આમ થશે, રશિયા પણ ચીનના રસ્તા પર ચાલશે. બંધારણમાં કેવા પ્રકારનો ફેરફાર ઈચ્છી રહ્યાં છે પુતિન. બંધારણના સુધારા પછી ભારતની દોસ્તી પર અસર કેવી પડશે. આ સમગ્ર સવાલના જવાબ તો સમય જ આપશે. પણ હાલ તો રશિયા બંધારણમાં ફેરફાર કરવા માટે પહેલી મેના રોજ જનમત લેશે, તેવી વાતો વહેતી થઈ છે.

દમિત્રી મેદવેદેનએ રાજીનામું આપ્યાં પછી કહ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દરખાસ્તમાં સત્તા સંતુલનમાં મહત્વનો ફેરફાર આવશે, તેમાં ફકત દેશના બંધારણના અનુચ્છેદમાં ફેરફાર નહી થાય, પણ પુરા બંધારણમાં જ ફેરફાર કરાશે. જેનાથી કાર્યપાલિકા, ન્યાયપાલિક અને ધારાસભ્યોની શક્તિઓમાં પણ ફેરફાર થશે. આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના દમિત્રી મેદવેદેવ જૂના મિત્ર છે. વર્ષ 2012થી મેદવેદેવ સતત વડાપ્રધાન પદ પર કાર્યરત રહ્યા છે. મેદવેદેવ 2008થી 2012 સુધી રાષ્ટ્રપતિ પદ પણ સંભાળી ચૂક્યાં છે. તેમ જ રશિયાના નવા વડાપ્રધાન બને તે પહેલાં મિખાઈલ મિશુસ્ટિને કહ્યું છે કે નવી સરકારમાં કેટલાક ફેરફારોની યોજના છે.

વ્લાદિમીર પુતિને ખૂબ જ લાંબા સમય સુધી રશિયાની કમાન સંભાળી છે. તેઓ રાષ્ટ્રપતિ તો ત્યારે કયારેક વડાપ્રધાન પદે પણ રહ્યાં છે. આ તેમનો ચોથો કાર્યકાળ છે. તેમણે માર્ચ 2018માં ચૂંટણીમા ચોથીવાર જીત મેળવી હતી, અને હવે તેઓ 2024 સુધી રશિયાના રાષ્ટ્રપતિ પદ પર રહેશે. રશિયાના હાલના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ પુતિન ચોથા કાર્યકાળ સમાપ્ત થાય પછી તેઓ પછીની ટર્મ માટે રાષ્ટ્રપતિ નહીં બની શકે. નિષ્ણાતો દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે બંધારણમાં ફેરફાર કર્યા પછી પુતિન સત્તામાં લાંબા સમય સુધી રહેવાનો રસ્તો ખુલી જશે.

વ્લાદિમીર પુતિનનો જન્મ 7 ઓકટોબર, 1952ના રોજ રશિયાના સેંટ પીટર્સબંર્ગમાં સોવિયત પરિવારમાં થયો હતો. તેમના પિતા સોવિયત નેવીનો હિસ્સો હતાં અને માતા એક ફેકટરીમાં કામદાર હતી. માતાપિતાની કમાણીથી ઘર જેમતેમ ચાલતું હતું. પુતિન રાષ્ટ્રપતિ બન્યાં પહેલાં તેઓ જાસૂસ હતાં. પુતિન રશિયાની જાસૂસી એન્જસી કેજીબીના વિદેશમાં જાસૂસના રૂપમા 15 વર્ષ સુધી કામ કર્યું હતું. તે દરમિયાન તેમણે 6 વર્ષ સુધી જર્મનીમાં જાસૂસી અધિકારી તરીકે કામ કર્યું હતું, અને 1990માં કેજીબીમાંથી લેફ્ટિનેંટ કર્નલ રૈન્ક બનીને રીટાયર થયાં હતાં અને પછી તેઓ રશિયા જતાં રહ્યાંં હતાં. તે પછી તેઓ લેનિનગ્રાડ સ્ટેટ યૂનિવર્સિટીના પ્રોક્ટર બન્યાં હતાં. તે પછી તેઓ એંતોલી સોબચાકના સલાહકાર બન્યાં હતાં. એંતોલી સોબચાક રાજનીતિ અને લોકતાંત્રિક તરીકે ચૂંટાયેલા સેન્ટ પીટરબર્ગના પહેલા મેયર હતાં. પુતિને તેમની કાબેલિયત દર્શાવીને એંતોલી સોબચાકનો વિશ્વાસ જીતી લીધો હતો. અને વર્ષ 1994માં તે સેન્ટ પીટરબર્ગના પહેલા ડેપ્યુચટી મેયર બન્યાં હતાં, મનાઈ રહ્યું છે કે પુતિનને રાજકારણમાં લાવવા માટેનો શ્રેય એંતોલી સોબચાકને જાય છે.

વર્ષ 1996માં વ્લાદિમીર પુતિન મોસ્કો આવી ગયાં અને રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિનના વહીવટી સ્ટાફ તરીકે જોડાયા હતાં. જુલાઈ 1998માં બોરિસ યેલ્તસિને પુતિનને ફેડરલ સિક્યુરિટી સર્વિસના ડાયરેક્ટર બનાવી દીધાં હતાં. પુતિન ઝડપથી પોતાની હોશિયારીથી આગળ વધ્યાં હતાં, અને તેમણે તેમનો પ્રભાવ પાડ્યો હતો. તે પછી 1999માં પુતિન રશિયાના વડાપ્રધાન બન્યાં બન્યાં હતાં, અને તે પછી સતત તેઓ તેમની લોકપ્રિયતાને પગલે ચૂંટણી જીતતા આવ્યાં છે.

પુતિન રશિયાના બંધારણમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે, ત્યારે તેઓ સ્ટેટ કાઉન્સિલને સરકારી એજન્સી તરીકે તેને માન્યતા આપવા માંગે છે. ત્યારે હવે સવાલ એ થાય છે તે સ્ટેટ કાઉન્સિલ સાથે પુતિનને શો સંબધ છે. આ સ્ટેટ કાઉન્સિલને પુતિન કેમ મજબૂત કરવા જઈ રહ્યાં છે, તેની પાછળ તેમનો શો ઈરાદો છે.

રશિયામાં સ્ટેટ કાઉન્સિલ એક સલાહકાર પરિષદ છે. જેમાં 85 સ્થાનિક ગવર્નર અને રાજનીતિક નેતા હોય છે. પુતિન સ્ટેટ કાઉન્સિલને વધુ શક્તિશાળી બનાવવા માંગે છે. તેમનો ઈરાદો એવો છે કે તેઓ આ સંસ્થાને શક્તિશાળી બનાવીને તેના નેતા બની જશે. તેની પાછળ પુતિનની એક મહત્વાકાંક્ષા પણ છે. રાષ્ટ્રપતિ પદનો ચોથો કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા તેઓ એક એવી જગ્યા શોધી રહ્યા છે કે જ્યાં તેઓ સત્તામાં રહી શકે.  અને તે સત્તા રાષ્ટ્રપતિ પદથી પણ વધારે શક્તિશાળી હોય. અને તેઓ આ પદ પર બિરાજીને સત્તાનું સુકાન સંભાળી શકે. જો આમ થશે તો પુતિન રાષ્ટ્રપતિ પદ પર રહ્યાં વગર દેશની સત્તા પર તેમનો કબજો રહેશે.

જો પુતિન સુરક્ષા કાઉન્સિલને વધુ મજબૂત કરવામાં સફળ રહ્યાં તો રશિયામાં સત્તાના ત્રણ કેન્દ્રો થઈ જશે. જેમાં રશિયાની સંસદ એટલે કે ડ્યૂમા થશે. તે પછી સ્ટેટ કાઉન્સિલ પણ શક્તિશાળી સંસ્થા બની જશે. તે પછી શક્તિશાળી કેન્દ્ર હશે રશિયાના રાષ્ટ્રપતિ. હવે જોવાનું એ રહે છે કે સ્ટેટ કાઉન્સિલને કેવા પ્રકારના અધિકાર આપવામાં આવે છે.

રશિયા ભારતનું સાચું મિત્ર રહ્યું છે. તમામ પરિસ્થિતિઓમાં પણ રશિયાએ ભારતને સાથ સહકાર આપ્યો છે. હવે રશિયામાં બંધારણનો ફેરફાર થશે તો પુતિન લાંબા સમય સુધી સત્તામાં રહેશે. ભારતના પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ખૂબ સારા સંબધો છે. જો પુતિન લાંબા સમય સુધી સત્તા પર રહેશે તો ભારતને ફાયદો થશે, અને તેમના કાર્યકાળ દરમિયાન ભારત સાથે થયેલા સમજૂતી કરારનો અમલ પણ ઝડપથી થશે. ભારતને પુતિનનો સાથ સહકાર મળી રહેશે, તેમાં કોઈ શંકા નથી. રશિયા સાથેના શસ્ત્રોના કરાર પણ થશે, અને અણુ કાર્યક્રમમાં તે મદદરૂપ થશે. રશિયાના બંધારણમાં ફેરફાર ભારત માટે પોઝિટિવ રહેશે.

Related Posts

Leave a Comment