બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં કન્ઝરવેટિવ પાર્ટીએ ધમાકેદાર જીત મેળવી છે અને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. કન્ઝરવેટિવ પાર્ટીની સામે મુખ્ય વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. બ્રિટનની આ ચૂંટણીમાં ભારતીય મૂળના લોકોએ કન્ઝરવેટિવ પાર્ટીને સાથ આપ્યો હતો, જેથી કન્ઝરવેટિવ પાર્ટીની જીત ખૂબ ખાસ બની ગઈ છે. ભારતીય મૂળના 15 નેતાઓ બ્રિટિશ સંસદ પહોંચ્યાં છે, જેમાં પૂર્વ સાંસદોની સાથે ત્રણ નવા ચહેરા પણ છે. નવા ચહેરામાં ગગન મોહિન્દર, ક્લેયર કુટિન્હો અને નવેન્દુ મિશ્રા છે. આમ બ્રિટનની ચૂંટણીમાં ભારતીયોએ ડંકો વગાડ્યો છે.
બ્રિટનમાં 650 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ આજે શુક્રવારે જાહેર થયાં હતાં. કન્ઝરવેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી તેથી સ્પષ્ટ પણ થયું છે કે બોરિસ જોનસન સરકાર સત્તામાં પાછી ફરશે. આવેલા પરિણામો મુજબ કન્ઝરવેટિવ પાર્ટી બહુમતી માટેનો 326નો આંક પાર કરીને 364 બેઠકો મેળવી ચૂકી છે. મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીને 203 બેઠકો, સ્કોટિશ નેશનલ પાર્ટીને 48 બેઠકો અને લિબરલ ડેમોક્રેટિસ પાર્ટીને 11 બેઠકો પર જીત મળી છે. ભારતીય મૂળના પ્રીતિ પટેલ પણ જીતી ગયાં છે, તેમને કોઈ મહત્વનો હોદ્દો મળશે, પ્રીતિ પટેલ અગાઉની સરકારમાં ગૃહપ્રધાન રહ્યાં હતાં. આ પાર્ટીમાં ઈન્ફોસીસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનક અને આલોક શર્મા ફરીથી સાંસદ બન્યાં છે.
બ્રિટનની સામાન્ય ચૂંટણી એટલા માટે મહત્વની છે કે તેમાં પ્રવાસી ભારતીયો અને પાકિસ્તાની મૂળના લોકોની મોટી ભૂમિકા રહી છે. ભારતીય મૂળના લોકોએ આ વખતે કન્ઝરવેટિવ પાર્ટીને ટેકો આપ્યો હતો, અને પાકિસ્તાની મૂળના લોકોએ લેબર પાર્ટીને સમર્થન આપ્યું હતું. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને કશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદનો કર્યા હતાં. બ્રિટિશ ઈન્ડિયન મૂળના સમૂહે પ્રો ઈન્ડિયા મનાતાં 40 ઉમેદવારોના ટેકામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં સૌથી વધુ કન્ઝરવેટિવ પાર્ટીના હતાં.
ચૂંટણી પહેલાં વડાપ્રધાન બોરિસ જોનસન લંડનમાં સ્વામીનારાયણ મંદિરમાં ગયાં હતાં. ત્યાં શનિવારે સ્વામી નારાયણ સંપ્રદાયના પ્રમખ સ્વામી મહારાજનો 98મો જન્મદિવસનો ઉત્સવ હતો, જેમાં વડાપ્રધાન જોનસને કહ્યું હતું કે આ દેશ(બ્રિટન)માં નસ્લવાદ અને ભારત વિરોધી માહોલને કોઈ સ્થાન નથી. જોનસને હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ભાવનાઓનો ઉલ્લેખ કર્યો હતો, અને તેના પર ચિંતા પણ દર્શાવી હતી. બ્રિટનના 6.5 ટકા જીડીપીમાં ભારતીય સમુદાયની ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને જણાવ્યું હતું કે તેમાં 2 ટકા યોગદાન ભારતીયોનું છે.
બ્રિટનની ચૂંટણી આમ બીજી રીતે જોઈએ તો પણ ખૂબ મહત્વની હતી. યુરોપીય સંઘથી બહાર નીકળવા માટે અને ભવિષ્યને લઈને થનારી કાર્યવાહી માટે આ ચૂંટણી માધ્યમ બની છે, વડાપ્રધાન બોરિસ જોનસન બ્રેક્ઝિટના સમર્થક છે. અને તેઓ બ્રિટનને યુરોપીય યુનિયનથી અલગ કરવા માગે છે. બ્રિટન હવે યુરોપીય સંઘથી અલગ થવા ઈચ્છી રહ્યું છે, પણ આ મુદ્દે બ્રિટનની જનતા અને સંસદ બે અલગઅલગ હિસ્સામાં વહેંચાઈ ગઈ છે. યુરોપીય સંસદ પણ બ્રેક્ઝિટ મામલે નિર્ણય લેવામાં અસમર્થ રહી છે, પણ હવે કન્ઝરવેટિવ પાર્ટીના બોરિસ જોનસન સત્તામાં પાછા ફર્યા છે, અને તે પણ સ્પષ્ટ બહુમતી સાથે… જેથી હવે બ્રિટન યુરોપિયન સંઘથી બહાર થઈ જશે.
બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન+એક્ઝિટ… બ્રેક્ઝિટનો સીધો અર્થ થાય છે તે બ્રિટનનું યુરોપીયન યુનિયનમાંથી બહાર થવું. વિશ્વમાં આ વાતને અસમંજસ છે કે બ્રિટન હવે યુરોપીયન યુનિયનમાં રહેશે કે નહી. બોરિસ જોનસનને મળેલી સ્પષ્ટ બહુમતીથી હવે નક્કી થયું છે કે બ્રિટન હવે યુરોપીયન યુનિયનમાંથી બહાર નીકળી જશે.
અત્રે નોંધવું જોઈએ કે તેની શરૂઆત 2008માં થઈ, જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા મંદીમાં આવી ગઈ છે. મોંઘવારી વધી, બેરોજગારી વધી જેને ઠીક કરવા માટે અનેક પ્રયાસો થયાં હતાં.આ વચ્ચે યુનાઈટેડ કિંગડમ ઈન્ડિપેન્ડસ પાર્ટીએ 2015માં થયેલ ચૂંટણીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે યુરોપીયન યુનિયન બ્રિટનની આર્થિક મંદીને દૂર કરવા માટે કાંઈ કરતું નથી, ત્યારથી બ્રેકિઝટનો પાયો નંખાયો હતો. ફ્રી વીઝા પૉલીસીને કારણે બ્રિટનને ભારે નુકસાન થઈ રહ્યું હતું. તેનાથી વિરુદ્ધ બ્રિટનના કેટલાય લોકો યુરોપીયન યુનિયનથી થઈ રહેલા ફાયદા અંગે જાણતા હતાં અને બ્રેક્ઝિટના નિર્ણયને ખોટો ગણાવતાં હતાં. બ્રેક્ઝિટનો વિરોધ કરનારા લોકોની દલીલ હતી કે તેનાથી બીજા યુરોપિયન દેશોમાં બિઝનેસ પર વિપરીત અસર થઈ રહી છે. બ્રિટનની સિંગલ માર્કેટ સીસ્ટમ સમાપ્ત થઈ જશે અને બ્રિટનની જીડીપીને ભારે નુકસાન થઈ રહ્યું છે. ડેવિડ કેમરન પછી બન્ને પીએમ થેરેસા મે અને બોરિસ જોનસનએ બ્રેક્ઝિટને મુદ્દો બનાવ્યો હતો. તેને લાગુ કરવા માટે વડાપ્રધાન પદ ગ્રહણ કર્યું છે. પણ તેમાં થેરેસા મે બ્રેક્ઝિટ પર બહુમતી સાબિત ન કરી શકયા અને રાજીનામું આપવું પડ્યું હતું. તે પછી બોરિસ જોનસને વડાપ્રધાન પદના શપથ લીધાં હતાં. તે અગાઉ 2016માં બ્રિટનમાં બ્રેક્ઝિટ મામલે જનમત સંગ્રહ થયો હતો. જેમાં યુરોપિયન યુનિયનમાંથી અલગ થવા માટે બહુમતી મળી હતી.
બ્રિટનમાં ભારતીયોએ ડંકો વગાડીને સાબિત કરી આપ્યું છે કે ભારતીયો ટેલેન્ટેડ છે. ભારત છોડીને બીજા દેશમાં જઈને તેની પ્રજામાં વિશ્વાસ ઉભો કરવો એ કોઈ નાનીસૂની વાત નથી. બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં 1987 પછી આટલી જંગી બહુમતી મળી છે. 15 ભારતીયો બ્રિટનની સંસદમાં જઈને બ્રિટનમાં સત્તા મેળવશે, અને બ્રિટનના વિકાસને નવી રાહ બતાવશે. આર્થિક મંદી દૂર કરવાથી માંડીને બ્રેક્ઝિટ થવામાં ભારતીયો ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન બોરિસ જોનસનને પણ ભારત સાથે મળીને વધુ બિઝનેસ કરવો છે, સંબધો વધુ મજબૂત બનાવવા છે. ભારત અને બ્રિટન સાથે મળીને કામ કરશે તો બ્રિટન અને ભારતમાંથી મંદી ભાગી જશે.
1 comment
Excellant