ઓરિસાના પુરી પછી અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બીજા નંબરે આવે છે. કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી આજે અષાઢી બીજના દિવસે નગરચર્ચાએ નીકળ્યા હતા, પણ જનતા કરફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથજીએ નગરની યાત્રા વચ્ચે ભક્તોને MISS મિસ કર્યા હતા.
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાએ 19 કિલોમીટરનો રૂટ કાપીને માત્ર સાડા ત્રણ કલાકમાં નિજ મંદિર પાછી ફરીથી છે, તે અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ બની ગયો છે. સામાન્ય દિવસોમાં રથયાત્રા સવારે 7 વાગ્યે નીકળીને સાંજે 8.30 વાગ્યે મંદિરે પરત ફરે છે. 144 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે રથાત્રાના તેના પરંપરાગત રૂટ પર ફરીને ખૂબ ઝડપથી માત્ર સાડા ત્રણ કલાકમાં નિજ મંદિરે પરત ફરી હતી. સીએમ કાર્યાલયથી માંડીને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદ પોલીસે રાહતનો દમ લીધો હતો. રાજ્ય સરકારના પ્લાન મુજબ અમદાવાદ પોલીસે તેનો અમલ કરી બતાવ્યો છે, અને અમદાવાદવાસીઓએ પણ વ્યવસ્થિત રીતે સંયમ રાખ્યો હતો. જનતા કરફ્યૂ પાળીને ભગવાન જગન્નાથજીની નગરચર્યા પૂર્ણ કરવામાં સંપૂર્ણ સહકાર આપ્યો છે.
જનતા કરફ્યૂ વચ્ચે નીકળેલા ભગવાન જગન્નાથજીએ પોતાના ભક્તોને મિસ કર્યા છે. અમદાવાદ નહી પુરા ગુજરાતમાંથી અને રાજ્ય બહારથી પણ સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવે છે, અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભક્તો બાર મહિના સુધી ભગવાનના દર્શન કરવા મંદિરમાં જાય છે, પણ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન અને મોટા ભાઈની સાથે ભક્તોને દર્શન દેવા નગરની યાત્રાએ નીકળે છે.
કોરોના વૈશ્વિક મહામારીએ દેશ અને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાએ ગુજરાતમાં પણ ખાનાખરાબી કરી છે, અનેક લોકો કોરોનાનો ભોગ બન્યા છે, અને કેટલાય લોકોના મોત થયા છે. બીજી લહેર પૂર્ણતાને આરે છે, ત્યારે હવે ત્રીજી લહેર આવવાની વૈજ્ઞાનિકો દ્વારા આગાહી કરાઈ છે. ત્યારે આપણે પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આ તમામ સંજોગો વચ્ચે ગુજરાત સરકારે વચલો રસ્તો કાઢીને રથયાત્રા માટે અલગથી પ્રોટોકોલ નક્કી કર્યો અને તે મુજબ રથયાત્રા કાઢવા મંજૂરી આપી હતી. રથયાત્રામાં ત્રણ રથ, મંદિરના મહંતનું વાહન અને ટ્રસ્ટીનું વાહન- કુલ પાંચ વાહનને મંજૂરી આપી હતી, તેમજ જનતા કરફ્યૂ વચ્ચે યાત્રા કાઢવી. 120 ખલાસીભાઈઓને પરવાનગી આપી હતી, તે તમામ વેક્સિન લીધેલા અને આરટીપીસીઆર રીપોર્ટ કરાવેલ ખલાસભાઈઓ હતા. પોલીસે સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરાવીને રથયાત્રા પરંપરાગત રૂટ પર ફેરવીને શાંતિપૂર્ણ માહોલમાં મંદિર ફરત ફરી તેનો શ્રેય ગુજરાત પોલીસને જાય છે. તેમ છતાં રથયાત્રા રંગેચંગે પણ સાદાઈથી પૂર્ણ થઈ તેનો રાજ્ય સરકાર, પોલીસ, મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને અમદાવાદવાસીઓને આંનદ છે. અને હોય જ ને… જગતનો નાથ આપણા ઘરના આંગણેથી પસાર થાય તો કોને આનંદ ન થાય.
જગતનું પાલન કરનાર ભગવાન જગન્નાથજીની કૃપા થશે અને આપણા દેશ અને દુનિયામાંથી કોરોના મહામારી જતી રહેશે. પણ એક વાત નક્કી છે કે ભગવાને આજે ભક્તોને મિસ કર્યા છે. કહેવાય છે ને ભકત વિના ભગવાન અઘુરો છે. એ ન્યાયે ભગવાન નગરચર્યાએ નીકળ્યા પણ ભક્તો વગર અને નહી ગમ્યું હોય.