દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે, ઉમેદવારીપત્ર પણ ભરાઈ ગયાં છે. તમામ ઉમેદવારો ગલીએ ગલીએ ફરીને પ્રચાર કરી રહ્યાં છે. બસ હવે 8 ફેબ્રુઆરીએ મતદાન થશે. જો કે હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો આવ્યો છે, અને રાજકીય વાતાવરણ પણ હોટ બન્યું છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર હેટ્રિક નોંધાવશે કે પછી ભાજપ કે કોંગ્રેસનો નંબર લાગશે… આ પ્રશ્નનો જવાબ 11 ફેબ્રુઆરી મળી જશે.
દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો પર ચૂંટણી લડાશે. તેના માટે 2,689 સ્થળો પર 13,757 પોલિંગ બૂથ બનાવ્યાં છે, જ્યાં 1 કરોડ 47 લાખ મતદારો 8 ફેબ્રુઆરીએ મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની કામગીરીમાં 90 હજાર કર્મચારીઓ તહેનાત રહેશે. દિલ્હીમાં 22 ફેબ્રુઆરી પહેલાં નવી સરકાર રચાઈ જશે.
દિલ્હીની ચૂંટણીનો ઈતિહાસ
1993થી દિલ્હીમાં અત્યાર સુધીમાં છ વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાંથી એકવાર ભાજપ, ત્રણ વાર કોંગ્રેસ અને બે વાર આમ આદમી પાર્ટી દિલ્હીની ગાદી પર બિરાજમાન રહી છે. દિલ્હીમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી 1993માં યોજાઈ હતી. તે પહેલાં દિલ્હી ચંદીગઢની જેમ કેન્દ્રશાસિત પ્રદેશ હતો. 1993માં પહેલી ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપનું કમળ ખીલ્યું હતું. વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપને 49 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 14 બેઠકો મળી હતી, તથા જનતા દળને 4 અને અપક્ષને 3 બેઠકો મળી હતી. ભાજપને પ્રચંડ જીત અપાવવાનો શ્રેય મદનલાલ ખુરાનાને જાય છે. ભારતીય જનતા પાર્ટીએ મદનલાલ ખુરાનાને મુખ્યપ્રધાન બનાવ્યાં હતાં, પણ 26 ફેબ્રુઆરી, 1996ના રોડ તેમણે રાજીનામું આપી દેવું પડ્યું હતું, અને તેમના સ્થાને સાહેબસિંહ વર્મા દિલ્હીના સીએમ બન્યાં હતાં. વિધાનસભાની ચૂંટણી આવી તે પહેલાં પાર્ટીએ સાહેબસિંહ વર્માને હટાવીને સુષ્મા સ્વરાજને સીએમ બનાવ્યાં હતાં. સુષંમા સ્વરાજના નેતૃત્વમાં ભાજપે 1998માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી, પણ પાર્ટી ફરીથી સત્તામાં ન આવી.
દિલ્હીમાં 1998માં બીજી વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપે સુષમા સ્વરાજને ચહેરો બનાવ્યો તો કોંગ્રેસે શીલા દીક્ષિતને ચહેરો બનાવ્યો હતો. 1998માં દિલ્હીની ચૂંટણી બે મહિલાઓ વચ્ચે ફાઈટ થઈ હતી, તે વખતે 70માંથી કોંગ્રેસને 52 બેઠકો મળી હતી, અને ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી, તથા 3 બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી.
2003માં વિધાનસભાની ત્રીજી ચૂંટણી થઈ, જેમાં ભાજપે શીલા દીક્ષિતની સામે મદનલાલ ખુરાનાને ઉભા રાખ્યાં, પણ તેમાં ભાજપ કોઈ કરિશ્મા બતાવી શક્યો નહીં. 2003માં કોંગ્રેસ 47 બેઠકો જીતી ફરીથી સત્તામાં આવી, તે વખતે ભાજપને 20 બેઠકો મળી હતી. અને શીલા દીક્ષિત ફરીથી મુખ્યપ્રધાન બન્યા.
2008માં વિધાનસભાની ચોથી ચૂંટણીમાં શીલા દીક્ષિત સામે ભાજપે વિજય કુમાર મલહોત્રા પર પસંદગી ઉતારી હતી. પણ શીલા દીક્ષિતની રાહબરી હેઠળની ચૂંટણીમાં કોગ્રેસની 43 બેઠકો પર જીત થઈ, ભાજપને 23 બેઠકો મળી. શીલા દીક્ષિતે વિજયની હેટ્રિક મારી હતી, અને તેઓ મુખ્યપ્રધાન બન્યાં.
2013માં વિધાનસભાની પાંચમી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી ઉતરી, અન્ના હજારેના આંદોલનમાંથી બહાર નીકળેલા અરવિંદ કેજરીવાલે આમ આદમી પક્ષ ઉભો કર્યો અને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું, જે ચૂંટણીમાં કુલ 70 બેઠકોમાંથી 31 બેઠકો પર ભાજપ, આમ આદમી પાર્ટીને 28 બેઠકો અને કોંગ્રેસને માત્ર 8 બેઠકો પર જીત મળી હતી. આમ દિલ્હીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. તે વખતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો હતો. અને કેજરીવાલ મુખ્યપ્રધાન બન્યાં. કેજરીવાલ 49 દિવસ સુધી મુખ્યપ્રધાન બની રહ્યાં, તે પછી 2014માં લોકસભાની ચૂંટણી પહેલાં સીએમ પદેથી રાજીનામુ આપી દીધું હતું.
2015માં દિલ્હીમાં છઠ્ઠી વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસને બરાબરના ભારે પડ્યાં હતાં. 70માંથી આમ આદમી પાર્ટીને 67 બેઠકો મળી, ભાજપને માત્ર 3 બેઠકો મળી. કોંગ્રેસ ખાતું જ ખોલાવી શકી. અરવિંદ કેજરીવાલની પ્રચંડ જીત પછી કેજરીવાલ જ મુખ્યપ્રધાન બન્યાં હતાં.
ચૂંટણી પ્રચારમાં ભારે ગરમાવો
હવે જ્યારે 2020માં વિધાનસભાની ચૂંટણી આવી છે, ત્યારે દિલ્હીનું રાજકારણ જોરદાર ગરમાયું છે. સીટિઝન એમેન્ડમેન્ટ એક્ટ(સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સીટિઝન(એનઆરસી) મામલો દિલ્હીમાં ખૂબ ચગ્યો છે. નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં દિલ્હીના શાહીનબાગમાં એક મહિનાથી વધારે સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેને પગલે ભાજપના કપિલ મિશ્રાએ કહ્યું છે. શાહીનબાગને પાકિસ્તાન સાથે સરખાવ્યું છે. દિલ્હીની ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાન વચ્ચે જંગ છે. આ નિવેદન સાથે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ, ચૂંટણી પંચે કપિલ મિશ્રા સામે 48 કલાકનો ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લગાવ્યો છે. બીજી તરફ ભાજપનો આક્ષેપ છે કે શાહીનબાગના આંદોલનમાં કેજરીવાલનો હાથ છે. કેજરીવાલ સીએએનું સમર્થન કરી રહ્યાં છે, જેથી બધાંએ ઓળખી લેવાની જરૂર છે. જ્યારે કેજરીવાલે અમિત શાહને અપીલ કરી છે કે તેઓ શાહીનબાગના લોકોને મળે અને તેમને કાયદા અંગે સમજાવે.
ભાજપની દિલ્હી કબજે કરવાની સ્ટ્રેટેજી
દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં કેન્દ્રની મોદી સરકારે દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને કાયદેસર કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ મુદ્દો ભાજપની તરફેણમાં જશે, પણ તેમાંય ભાગલા પડી ગયા છે. ચૂંટણી જાહેર થયા પછી ભાજપે દિલ્હીની જનતાને વચનો આપ્યાં છે કે કેજરીવાલ દિલ્હીથી જશે તો શું થશે… દરેક ઘરને યોગ્ય પીવાનું ચોખ્ખું પાણી મળશે, વધતાં જતાં પ્રદૂષણથી દિલ્હીને મુક્તિ મળશે અને દિલ્હીના દરેક રસ્તા ખાડામુક્ત બનશે. બદલા હૈ દેશ બદલેંગે દિલ્હી… બીજી તરફ ભાજપ ચૂંટણી પ્રચારમાં સીએએ, 370ના ફાયદા સમજાવે છે, પણ દિલ્હીની જનતા સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માંગે છે. કેન્દ્રમાં મોદીજી સારુ કામ કરે છે, પણ દિલ્હીના સ્થાનિક પ્રશ્નોને વાચા આપે તેની સરકાર બનશે. હિન્દુત્વવાદી વિચારસરણી ધરાવતી જનતા ભાજપને મત આપશે, તે નક્કી છે.
કોંગ્રેસ પણ ચૂંટણીપ્રચારમાં જોડાઈ ગઈ છે, પણ કોંગ્રેસ કોઈપણ મુદ્દા અને ચહેરા વગર ચૂંટણીપ્રચાર કરી રહી છે. મોદી સરકારની નીતિની ટીકા સિવાય તેમની પાસે કોઈ મુદ્દા નથી. જો કે હાલ તો દિલ્હીના જંગમાં આપ અને ભાજપ છે. નાગરિકતા કાયદો અને જેએનયુનો મુદ્દો ગરમ છે. જેએનયુમાં બનેલી હિંસક મારામારીની ઘટનાએ દિલ્હીને હચમચાવી નાંખી હતી. કોંગ્રેસે જેએનયુ મામલે સરકારની ટીકા કરી છે, પણ જોઈએ તેવો વિરોધ કરવામાં નિષ્ફળ ગઈ છે.
કેજરીવાલના કામની ગાથા
આ વખતે કેજરીવાલે કોઈ વિવાદીત નિવેદન કર્યું નથી. આપ પાર્ટીએ અત્યાર સુધી કરેલ પોતાની કામગીરીને લઈને પ્રજા પાસે ગઈ છે. મુખ્યપ્રધાન કેજરીવાલ જાહેર જનતા સામે તેમણે કરેલા કામો અને યોજનાઓની સફળતાની વાતો કરે છે. કરબોજ વગર વીજળી બિલમાં માફી, મહોલ્લા ક્લિનિક, સરકારી સ્કૂલોનું બદલાયેલું શિક્ષણ, મહિલાઓ માટે મફત ટ્રાન્સપોર્ટેશન જેવી વાતો કરીને પ્રચાર થઈ રહ્યો છે. ભાજપના કપિલ મિશ્રાએ 8 ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાન વચ્ચે જંગનું નિવેદન કર્યું તો પણ કેજરીવાલે ખૂબ જ શાંતિથી અને ડિપ્લોમેટિક રીતે જવાબ આપ્યો છે, જેનાથી તેમને કે તેમની પાર્ટીને નુકશાન ન થાય. કેજરીવાલ મુસ્લિમોના મત ખોવા માંગતા નથી, જેથી તેઓ હાલ સીએએની કોઈ જરૂર નથી એમ કહીને મુસ્લીમોને સાથ આપી રહ્યા છે.
દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલના કામથી ખૂબ સંતુષ્ઠ છે, અને દિલ્હીમાં કેજરીવાલ હીરો બની ગયાં છે, જેથી દિલ્હીમાં ફરીથી સત્તા પર કેજરીવાલ આવશે. પણ આ તો જનતા છે, તેમનો ઝોક કઈ તરફ છે, તે હાલ કહેવું અશક્ય છે. તેમ છતાં 11 ફેબ્રુઆરીના ચૂંટણી પરિણામો સ્પષ્ટ કરશે કે દિલ્હીમાં કોની સરકાર?