શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધનસંપદા
શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે….
આપ સૌને દિવાળીના પર્વની હાર્દિક શુભકામના
શેરબજારમાં પહેલી નવેમ્બર, 2024ને શુક્રવારે સાંજે 6થી 7 કલાકે મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાશે. હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવત 2081ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક કલાકની મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાશે. આ મુહૂર્ત ટ્રેડિંગ શેરબજારની ભાવી ચાલ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. કેવી રીતે આવો જૂની વાત જાણીએ.
શેરબજારના જૂનાજોગીઓ વર્ષોથી બે ‘કેન’ જોઈને શેરબજારની ભાવી ચાલ નક્કી કરતા હતા. આપને થશે કે આ ‘કેન’ એટલે શું? ‘કેન’ એટલે દિશાસૂચક… ‘કેન’ પડે તે દિવસના ઊંચાનીચા ભાવ ધ્યાનમાં રાખવાના અને પછી શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે તેની આગાહી કરવાની. આને ‘કેન’ કહેવાય છે. તો વર્ષમાં આવી મહત્વની બે ‘કેન’ પડે છે. એક મુહૂર્તની ‘કેન’ અને ઉત્તરાયણની ‘કેન’. સર્વસામાન્ય રીતે જોવાયું છે કે આ બન્ને કેન સચોટ પુરવાર થઈ છે, 10થી 20 ટકામાં જ આ ‘કેન’માં શેરબજારની આગાહી ખોટી પડે છે. અથવા માર્કેટ બે તરફી વધઘટમાં અથડાઈ જાય છે. પરંતુ મારા અનુભવ પ્રમાણે 80થી 90 ટકા ‘કેન’ પરફેક્ટ ચાલે છે, અને તેજીમંદીનો જનરલ ટ્રેન્ડ જાણીને આગાહી કરી શકાય છે. જો કે કોમ્પ્યુટરાઈઝ્ડ ટ્રેડિંગ થયા અને શેરબજારમાં નવયુવાન વર્ગ આવ્યો પછી આ મુહૂર્તની ‘કેન’ અને ઉત્તરાયણની ‘કેન’ ભૂલાઈ ગઈ છે.
સૌપ્રથમ આપણે મુહૂર્તની ‘કેન’ સમજીશું. શેરબજારમાં દિવાળીના દિવસે એક કલાકની મુહૂર્તની ટ્રેડિંગ સેશન હોય છે. આ દિવસના ઊંચાનીચા ભાવ કે ઈન્ડેક્સના લેવલ ધ્યાનમાં લેવાના છે. એટલે કે મુહૂર્તના ટ્રેડિંગના દિવસના ઊંચા નીચા લેવલ જે બાજુ કપાય તે બાજુ બજારની ચાલ જોવા મળે છે. મુહૂર્તની ટ્રેડિંગ સેશનમાં પડેલી ‘કેન’ 14 જાન્યુઆરીને ઉત્તરાયણ સુધી ચાલે છે. ઉત્તરાયણના દિવસે નવી ‘કેન’ પડે છે, જે નવી દિવાળી આવે ત્યાં સુધી ચાલે છે. સામાન્ય સમજ પ્રમાણે એમ કહી શકીએ કે મુહૂર્તની ‘કેન’ અને ઉત્તરાયણની ‘કેન’એ સ્ટોપલોસ કે સપોર્ટ લેવલ કે રેઝિસ્ટન્સ લેવલનું કામ કરે છે. જેને જે એપ્લાય કરવું હોય તે કરી શકે છે. તમે જાતે અનુભવ કરશો તો જ તમને ખબર પડશે. આપણે અહી ઉદાહરણ રજૂ કરીને સમજાવીએ.
ઉદાહરણ-
ગત વર્ષે વિક્રમ સંવત 2080ના મુહૂર્તના સોદા તારીખ 12-11-2023ના રોજ થયા હતા. તે દિવસે સેન્સેક્સ વધીને 65,418 અને ઘટીને 65,218 થયો અને 65,259 બંધ હતો. એટલે હવે આપણે સમજીએ કે સેન્સેક્સમાં 65,418 ઉપર તેજી કરવાની અને 65,218 નીચે જાય તો મંદી કરવાની. ગત વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ સેશન પછી બીજી જ ટ્રેડિંગ સેશનમાં 64,853ની લો બનાવીને બજાર ફરી ગયું હતું. અને સેન્સેક્સ 65,418 ઉપર બંધ આવતાં મુહૂર્તની કેન તેજીમાં પડી અને પછી સેન્સેક્સમાં સડસડાટ તેજી થઈ હતી. 14 જાન્યુઆરીની ઉત્તરાયણની કેન પડે તે પહેલા સેન્સેક્સ વધીને 72,720 થયો હતો.
તેવી જ રીતે મુહૂર્તના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી વધીને 19,547 અને ધટીને 19,510 થયો હતો. તે પછીની ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 19,547ની હાઈ ઉપર જતાં મુહૂર્તની કેન તેજીમાં પડી, અને નિફ્ટી 14 જાન્યુઆરી, 2024 સુધી સતત વધીને 21,928ની હાઈ બનાવી હતી.
દિવાળીના દિવસે સંધ્યા સમયે એક કલાકની મુહૂર્ત ટ્રેડિંગ સેશન “ટર્નિંગ”નું કામ કરે છે. તે શુભદિવસના ઊંચાનીચા લેવલ અને બંધ લેવલ ખુબ મહત્વના હોય છે. તમે મુહૂર્તની ટ્રેડિંગ સેશનના દિવસનો સેન્સેક્સ અને નિફટીના લેવલ લખી રાખવા અથવા તો તમે જે શેરમાં ટ્રેડિંગ કે રોકાણ કરવા માંગતા હોય અથવા તો તમારી પાસે જે શેરમાં ઈન્વેસ્ટમેન્ટ પડયું હોય તે શેરનો ભાવ લખી રાખવો. દિવાળી પછી આ ઈન્ડેક્સમાં કે શેરના ભાવમાં શુ વધઘટ આવે છે, તેના પર ટ્રેન્ડ નક્કી કરાય છે.
સામાન્ય રીતે મુહૂર્તની કેન શેરબજારમાં લાંબાગાળાની ચાલ દર્શાવે છે. એટલે કે 14 જાન્યુઆરી સુધી તેને ગણતરીમાં લેવાની હોય છે, ત્યાર પછી 14 જાન્યુઆરીને ઉત્તરાયણની કેન પડે છે. કેન શેરબજારની જનરલ લાઈન દર્શાવે છે.
તો આવો શેરબજારમાં વિક્રમ સંવત 2081ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં ભાગ લઈએ અને મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં મુહૂર્તનો એક સોદો કરીને નવું વર્ષ લાભ શુભ વાળું જાય તેવી કામના કરીએ. આપ સર્વેને હેપ્પી ન્યૂ યર… અને શેરબજારમાં આપનો જ એક્કો ચાલે અને તમે જે શેર ખરીદો તેમાં જ તેજી થાય તેવા મા લક્ષ્મી પાસે આશીર્વાદ મેળવીએ.
હેપ્પી દિવાલી હેપ્પી ન્યૂ યર…