વિશ્વકર્મા સમાજના કવિ અને લેખકોનો પ્રથમવાર સ્નેહ મિલન સમારોહ યોજાયો

by Investing A2Z

‘રામ સેતુ એ નલ સેતુ’ કાવ્ય સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ વિતરણ કરાયા

અમદાવાદ- વિશ્વકર્મા સમાજના કવિઓ અને લેખકોનું સ્નેહમિલન અને કાવ્ય સ્પર્ધાના એવોર્ડ વિતરણ કાર્યક્રમ આજે બીજી ઓકટોબરને ગુરુવારે અમદાવાદમાં યોજાયો હતો. જેમાં ગુજરાતમાંથી વિશ્વકર્મા સમાજના કવિઓ અને લેખકો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા રામ સેતુ એ નલ સેતુ એ વિષય પર કાવ્ય સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 52 કવિઓએ પોતાના સ્વરચિત કાવ્યો રજૂ કર્યા હતા. જેમાંથી પાંચ પુરુષ કવિઓ અને પાંચ મહિલાઓને વિજેતા જાહેર કરાયા હતા અને તેમને એવોર્ડ અર્પણ કરાયા હતા.

પુરુષ વિજેતાઓના નામ

(1) મનોજકુમાર પંચાલ(ધોળકા)

(2) તૃષાંગ કવા(સુરત)

(3) તેજશ વિશ્વકર્મા(વસઇ ડાભલા)

(4) કેતન વાઘેલા(વિરમગામ)

(5) દેવલ બામરોલિયા(રાજકોટ)

મહિલા વિજેતાના નામ

(6) તેજલબહેન સુથાર(આણંદ)

(7) ભૂમિકાબહેન ડોડિયા(સાવરકુંડલા)

(8) હર્ષિદા કવા(વેરાવળ)

(9) કીર્તિ કવૈયા(વડોદરા)

(10) ઈલાબહેન મિસ્ત્રી(અમદાવાદ)

આ પ્રસંગે ગુજરાત સરકારના બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અધ્યક્ષ ધર્મિષ્ઠાબહેન ગજ્જરે કહ્યું હતું કે હું વિશ્વકર્મા સમાજના કવિઓ અને લેખકોને શુભેચ્છા આપું છું અને વિશ્વકર્મા ધર્મ પ્રસારનું કામ કરી રહેલાં શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રસાર સમિતિને અભિનંદન આપું છું કે તેઓ ધર્મ પ્રસારનું કામ કરી રહ્યા છે.

તેમજ ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિક કલેક્ટર શાંતિલાલ ડોડીયાએ જણાવ્યું હતું કે વિશ્વકર્મા સમાજના કવિઓ અને લેખકોનું કદાચ આ પહેલું સ્નેહમિલન સમારોહ હશે અને આ કાવ્ય સ્પર્ધાથી વિશ્વકર્મા દાદાના ધર્મના પ્રસારનું કામ સુપેરે થઈ શકે છે. આ કાવ્ય સ્પર્ધાના વિજેતાઓને અભિનંદન અને આ સ્નેહ મિલન સમારોહ યોજનાર સમિતિને પણ ધન્યવાદ આપું છું કે તેઓએ ખૂબ સરસ આયોજન કર્યું છે.

વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાંત ડૉ. સ્મિતાબહેન સુથારે 18 વખત કૈલાશ માનસરોવરની યાત્રા કરી છે, તેમણે ‘અદભૂત કૈલાશ’ પુસ્તક લખ્યું છે, તેઓએ સૌને આ પુસ્તકને પ્રસાદી સ્વરૂપે આપ્યું હતું. ડૉ. સ્મિતાબહેન સુથારે જણાવ્યું હતું કે દરેક વિશ્વકર્મા સમાજના લાકોએ પોતાની કાર કે સ્કુટર વિશ્વકર્મા દાદાનો ફોટો સ્ટીકર સ્વરૂપે લગાવવો જોઈએ અને વિશ્વકર્મા સમાજના હોવાનું ગૌરવ હોવું જોઈએ. દરેક વિશ્વકર્મા સમાજના લોકોના ઘરે વિશ્વકર્માનો ફોટો તો હોવો જ જોઈએ, તેવી અપીલ કરી હતી.

કોણાર્ક ઈન્ડસ્ટ્રીઝના માલિક તેમજ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ- અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ પીઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને શુભેચ્છા સાથે આર્શિવચન આપ્યા હતા.

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રસાર સમિતિના સંસ્થાપક મયુરભાઈ મિસ્ત્રીએ સૌને આવકારતાં કહ્યું હતું કે સ્પર્ધાના સફળ સંચાલન કરવા બદલ હું સમિતિના કારોબારી સભ્યો અને ટીમનો આભાર વ્યક્ત કરું છું. પહેલા અમે નિબંધ સ્પર્ધા કરી હતી અને તે પછી કાવ્ય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. વિશ્વકર્મા પુત્રોએ વિશ્વકર્મા ધર્મ પ્રસાર માટે થઈને કાવ્ય સ્પર્ધામાં હોંશે હોંશે ભાગ લીધો છે, તે જ અમારી સફળતા છે. તમારી કલમના મણકાઓએ શબ્દોને કવિતામાં પરોવીને સૌના હૃદયને સ્પર્શ્યા છે. આ વિજય માત્ર પુરસ્કાર નથી, પરંતુ સાહિત્યની સેવા માટેનું ગૌરવ છે.

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રસાર સમિતિના પ્રમુખ નિલેશભાઈ કનાડિયાએ જણાવ્યું હતું કે કાવ્ય સ્પર્ધાના 10 વિજેતા બનેલા તમામ પ્રતિભાશાળી કવિમિત્રોને દિલથી અભિનંદન પાઠવું છું. આ સ્પર્ધાની તમામ બાવન રચનાઓ અમારા માટે શ્રેષ્ઠ કાવ્ય રચના રહી છે. તે સાથે કાવ્યોનું નિષ્પક્ષ મુલ્યાંકન માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર હિતેન્દ્રભાઈ મેવાડા અને ડૉ.કુંતલભાઈ પંચાલ બન્ને નિર્ણાયકોનો વિશેષ આભાર.

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રસાર સમિતિના પ્રભારી પિન્ટુભાઈ રાઠોડે કહ્યું હતું કે આપે આપનો કિંમતી સમય ફાળવી કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈને વિશેષ સિદ્ધી મેળવી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રસાર સમિતિના નવા લોગોનું અનાવરણ કરાયું હતું, હવેથી આ સમિતિ નહી રહેતા પરિષદ બને છે. આજથી તે હવે શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રસાર પરિષદના નામે ઓળખાશે અને અખિલ ભારત ફલક પર ધર્મ પ્રચાર પ્રસારનું કામ કરશે. ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ વિશ્વકર્મા દાદાનું સાહિત્ય તૈયાર થાય તે દિશામાં કામ કરશે.

કાવ્ય સ્પર્ધાના નિર્ણાયકો ડૉ. કુંતલ પંચાલ અને હિતેન્દ્ર મેવાડાએ કહ્યું હતું કે માત્ર 10 કાવ્યોને જ વિજેતા તરીકે પસંદ કરવાની મર્યાદા હતી, તેમાં પણ પાંચ પુરુષ અને પાંચ મહિલા વિજેતાઓનો ગુણોત્તર સાચવવાનો હતો. એટલે કેટલાક સારા કાવ્યો પણ છોડવા પડ્યા છે એનું દુઃખ છે. કાવ્યોનું સ્તર એટલું ઊંચું હતું કે 52 પૈકી માત્ર 10 કાવ્યોની અંતિમ પસંદગી કરવી એ અમારા માટે પણ ખૂબ જ મુશ્કેલ કાર્ય રહ્યું.

આ કાવ્ય સ્પર્ધાના સંયોજક ડૉ. કોસ્મિકાબહેન પંચાલે(ભરૂચ) ખૂબ સરસ કામગીરી કરીને સંયોજકની ભૂમિકા નિભાવી હતી.

You will also like

Leave a Comment