
આ પહેલા વડાપ્રધાને 24 માર્ચે દેશને સંબોધન કરતી વખતે 24 માર્ચે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસનું લૉક ડાઉન જાહેર કર્યું હતું, અને કહ્યું હતું કે એક પ્રકારનો કરફ્યૂ જ છે. આ 21 દિવસના લૉક ડાઉનની સમયમર્યાદા 14 એપ્રિલે પૂર્ણ થાય છે, તે જ દિવસે પીએમ મોદીએ 3 મે સુધીના લૉક ડાઉનની જાહેરાત કરી છે.

વડાપ્રધાને એવું સૂચન પણ કર્યું હતું કે, જે વિસ્તારોમાં અત્યંત ઓછું જોખમ છે, એ વિસ્તારોને 20 એપ્રિલ, 2020થી ચોક્કસ પ્રકારની કામગીરી માટે ખોલવાની મંજૂરી આપી શકાશે. “20 એપ્રિલ સુધી દરેક શહેર, દરેક પોલીસ સ્ટેશન, દરેક જિલ્લો, દરેક રાજ્યનું લૉકડાઉનનું કેટલું પાલન થાય છે એનું મૂલ્યાંકન થશે. આ લિટમસ ટેસ્ટમાં જે વિસ્તારો સફળ થશે, જે વિસ્તારો હોટ-સ્પોટની કેટેગરીમાં નહીં આવે અને જે વિસ્તારો હોટ-સ્પોટ બનવાની અત્યંત ઓછી શક્યતા છે, તેમને 20 એપ્રિલથી પસંદગ કરેલી જરૂરી કામગીરી કરવા માટે ખોલવાની મંજૂરી આપી શકાશે.” તેમણે ચેતવણી આપી હતી કે, “જોકે જો લૉકડાઉનનાં નિયમો તોડવામાં આવશે અને જો કોરોના વાયરસના પ્રસારનું જોખમ જણાશે, તો તાત્કાલિક ધોરણે મંજૂરી પાછી ખેંચવામાં આવશે.” આ સંબંધમાં સરકાર 15 એપ્રિલે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરશે.
ઓછું જોખમ ધરાવતા વિસ્તારોમાં નિયંત્રણોમાં છૂટછાટ ગરીબો અને રોજિંદા કામદારોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, “જે લોકો રોજિંદા કામદારો છે, રોજિંદી આવક પર ગુજરાન ચલાવે છે, તેઓ મારા પરિવારજનો છે. મારી એક સર્વોચ્ચ પ્રાથમિકતા આ લોકોનાં જીવનમાં મુશ્કેલીઓ ઘટાડવાની છે. સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા તેમને મદદ કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. જ્યારે નવી માર્ગદર્શિકા બનાવવામાં આવી છે, ત્યારે સરકાર તેમના હિતોને પણ ધ્યાન લઈ રહી છે.”
વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, દેશમાં કોવિડ-19ને એક પણ કેસ નોંધાયો નહોતો એ અગાઉ ભારત સક્રિયપણે કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની ચકાસણી, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને 14 દિવસનું ફરજિયાત આઇસોલેશન, મોલ, ક્લબ, જીમને બંધ કરવા જેવા પગલાં અતિ વહેલાસર લેવામાં આવ્યાં હતાં. ભારતે સક્રિયપણે રાષ્ટ્રીય સ્તરનું લૉકડાઉન લાગુ કર્યું હતું, જેનો અંત 14 એપ્રિલનાં રોજ આવ્યો છે. દુનિયાનાં અન્ય મોટા અને શક્તિશાળી દેશોમાં કોવિડની અસર સાથે સરખામણી કરીને તેમણે કહ્યું હતું કે, ભારતે સ્થિતિ પર અસરકારક નિયંત્રણ મેળવ્યું છે.

પીએમ મોદીએ દેશને ખાતરી આપી હતી કે, આપણી પાસે દવાઓ, ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુષ્કળ ભંડાર છે. આરોગ્યના માળખાને હજુ વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. જાન્યુઆરીમાં કોરોના વાયરસ માટે ટેસ્ટિંગ કરતી એક પ્રયોગશાળા હતી.અત્યારે 220થી વધારે પ્રયોગશાળાઓ કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય અનુભવ દર્શાવે છે કે, દર 10,000 દર્દી માટે 1,500થી 1,600 બેડની જરૂર છે. ભારતમાં અત્યારે આપણે 1 લાખથી વધારે બેડની વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં 600થી વધારે હોસ્પિટલો છે, જે કોવિડની સારવાર પ્રત્યે કટિબદ્ધ છે. આ સુવિધાઓમાં ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે.”
પ્રધાનમંત્રીએ રોગચાળા સામેની લડાઈમાં સાત પગલાં અનુસરવા નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા, જેને સપ્તપદી કહી છે.
- વયોવૃદ્ધોની ખાસ સારસંભાળ રાખવી, ખાસ કરીને લાંબી બિમારી ધરાવતા હોય એવા.
- લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની‘લક્ષ્મણરેખા’નું સંપૂર્ણ પાલન કરવું; ઘરમાં બનેલા માસ્ક ફેસ-કવરનો ઉપયોગ કરવો અને હંમેશા માસ્ક પહેરવા.
- રોગપ્રતિકાર ક્ષમતા વધારવા આયુષ મંત્રાલયે જાહેર કરેલી સૂચનાઓનું પાલન કરવું.
- કોરોના ઇન્ફેક્શનના પ્રસારને અટકાવવામાં મદદ કરવા આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલોડ કરવી. એપને ડાઉનલોડ કરવા અન્ય લોકોને પ્રેરિત કરવા.
- ગરીબ પરિવારોની કાળજી રાખવી, તેમની ભોજનની જરૂરિયાતો પૂર્ણ કરવી.
- દરેક વ્યવસાય અને ઉદ્યોગમાં કામ કરતા દરેક લોકો પ્રત્યે કરુણા દાખવવી. તેમની આજીવિકા છીનવવી નહીં.
- આપણા દેશનાં કોરોના વોરિયર્સ– આપણા ડૉક્ટરો અને નર્સો, સેનિટેશન વર્કર્સ અને પોલીસ ફોર્સને સન્માન આપવું.