રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2019-20 માટે જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડયું છે. આરબીઆઈએ જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડીને 5 ટકા મુક્યું છે. આ પહેલા ઓકટોબરમાં બેંકે આ અનુમાન 6.1 ટકા દર્શાવ્યું હતું. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની જાહેરાતમાં વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કર્યો નથી, મોંઘવારી દરમાં સતત વધારો અને જીડીપી ગ્રોથ સતત ઘટીને આવતો હોવાથી આરબીઆઈ સતત છઠ્ઠી વખત વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી ધારણા હતી, પણ વ્યાજ દર ઘટીને નહી આવતાં સ્ટોક માર્કેટ નિરાશ થયું હતું.
જીડીપી ગ્રોથ રેટ વધીને આવે તે માટે વ્યાજ દર ઘટાડવો જરૂરી છે. પણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 5.15 ટકા યથાવત રખાયો છે. આ અગાઉની ધીરાણ નીતિમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વર્ષમાં આરબીઆઈએ અત્યાર સુધીમાં પાંચ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. કુલ મળીને રેપો રેટમાં 1.35 ટકાનો ઘટાડો કર્યો છે.
- રેપો રેટ 5.15 ટકા યથાવત રખાયો છે
- જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ચાલુ નાણાકીય વર્ષ માટે 6.1 ટકાથી ઘટી 5 ટકા કર્યું
- વિવિધ હાઈ ફ્રીકવેન્સી ઈન્ડિકેટર્સની ભલામણ છે કે માંગની સ્થિતી ખુબ નબળી છે
- આગામી ધીરાણ નીતિમાં નવા નિર્ણયો લેવાશે
- રીટેઈલ મોંઘવારી દર બીજા છ માસિકગાળામાં 4.7-5.1 ટકા રખાયો છે.
- વિદેશી વિનિમય અનામત 3 ડીસેમ્બરે 451.70 અબજ ડૉલર રહ્યો છે, જેમાં માર્ચ -2019ની સરખામણીએ 38.8 અબજ ડૉલરનો વધારો થયો છે.
- મોનેટરી પૉલીસી કમિટીના તમામ સભ્યોએ વ્યાજ દર યથાવત રાખવા મતદાન કર્યું હતું.
- હવે પછીની આગામી ધીરાણ નીતિ 4-6 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે


