
ગુજરાતના તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર ‘ઝીરો હ્યુમન લાઇફ લોસ’ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે તેમ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.


રાજ્યભરમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અને વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા બચાવ-રાહત પગલાંઓની સર્વગ્રાહી સમીક્ષા અંગે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન અને નિગરાનીમાં સમગ્ર તંત્ર સતત એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જ છે. આ સંદર્ભમાં પ્રવક્તા અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સહભાગી થયાં હતાં. તેમજ નીચે મુજબની સમીક્ષા થઈ હતી.

- રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે ભારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી.
- અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, પાણીમાં ફસાયેલા લોકોને NDRF અને SDRFની મદદથી બહાર કાઢવા સહિતની વિગતો તેમણે સંબંધિત કલેક્ટરો પાસેથી જાણી હતી.
- આ બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
- બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે,અત્યાર સુધીમાં રાજ્યના 8 જિલ્લાઓના 12,644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
- અસરગ્રસ્ત જિલ્લાઓમાં આશ્રય સ્થાનોમાં જે લોકો આશ્રય લઈ રહ્યા છે તેમના માટે ફૂડ પેકેટ, મેડિકલ ટીમ વગેરેની વ્યવસ્થાઓ પણ સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે તેની પણ વિગતો ઋષિકેશ પટેલે મેળવી હતી. આ અંગે જે તે જિલ્લાઓ માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવા પણ તેમણે કહ્યું હતું
- ભારે વરસાદને કારણે રાજ્યમાં હાઇવે તથા પંચાયત માર્ગોને જે અસર પડી છે ત્યાં મરામત કામગીરી ત્વરાએ હાથ ધરી સ્થિતિ પૂર્વવત કરવામાં આવે તેવા સૂચનો કર્યાં હતાં.
- તેમણે કેન્દ્રીય હવામાન વિભાગના ડિરેકટર પાસેથી રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના અને હવામાનની સંભવિત સ્થિતિ ની જાણકારી પણ લીધી હતી.
- પ્રવકતા પ્રધાને અસર ગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો, પીવાના પાણી અને રોડ કનેક્ટિવિટી ને જ્યાં અસર પહોંચી છે તે ઝડપ ભેર પૂર્વવત કરવા બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ સચિવોને સૂચનો કર્યા હતા.
