
આ બેઠકમાં તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં કોવિડ દર્દીઓમાં વધારો થવાની વાતને ધ્યાનમાં રાખીને સાધારણ જનતામાં કોવિડને અનુરૂપ અભિગમ જાળવવાના પડકાર વિશે પણ ચર્ચા થઈ હતી. મુખ્યપ્રધાનોએ વધારે સતર્કતાની જરૂરિયાત અને સ્થિતિ પર નજર રાખવાના મુદ્દે સંમત થયા હતા.
ગૃહપ્રધાનોએ એવા જિલ્લાઓની યાદી રજૂ કરી હતી, જેના પર મુખ્યપ્રધાનોએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેથી વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લઈ શકાય. કેન્દ્રીય આરોગ્ય સચિવે દેશમાં કોવિડની વર્તમાન સ્થિતિ અને રસીકરણની વ્યૂહરચના પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં 96 ટકાથી વધારે કેસમાં દર્દીઓ સાજાં થઈ ગયા છે અને ભારત દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં સામેલ છે. તેમણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઊંચા ટેસ્ટ પોઝિટિવિટી દર પર ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લાં થોડાં અઠવાડિયાઓમાં દેશના 70 જિલ્લાઓમાં 150 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તેમણે તાત્કાલિક ધોરણે કોરોનાની આ “બીજી પીક” (કેસોમાં વધારાની બીજી લહેર)ને આગળ વધતી અટકાવવા અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, જો આપણે આ રોગચાળાને આગળ વધતો નહીં અટકાવી શકીએ, તો રાષ્ટ્રીય સ્તરે રોગચાળો ફેલાઈ શકે છે.

વડાપ્રધાને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની જોગવાઈની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે “ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટ” (પરીક્ષણ, નજર રાખવી અને સારવાર)ની વ્યૂહરચનાનો અમલ ગંભીરતાપૂર્વક કરવાની સલાહ આપી છે, જેનો અમલ આપણે છેલ્લાં એક વર્ષથી કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે, દરેક દર્દીના સંપર્કો પર શક્ય એટલી ઝડપથી નજર રાખવી અને આરટી પીસીઆર ટેસ્ટનો દર 70 ટકાથી વધારે જાળવવો મહત્વપૂર્ણ છે. તેમણે કેરળ, ઓડિશા, છત્તિસગઢ અને ઉત્તરપ્રદેશ જેવા રેપિડ એન્ટિજન ટેસ્ટ પર વધારે ભાર મૂકતાં રાજ્યોમાં વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો આગ્રહ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ નાનાં શહેરોમાં પરીક્ષણ વધારવા તેમજ “રેફરલ સિસ્ટમ” અને “એમ્બ્યુલન્સ નેટવર્ક” પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી. સંપૂર્ણ દેશમાં પ્રવાસની છૂટ મળી ગઈ છે અને પ્રવાસ કરતાં લોકોની સંખ્યા પણ વધી રહી હોવાથી આ જરૂરી છે. એ જ રીતે વિદેશમાંથી આવતા પ્રવાસીઓના સંપર્કો પર નજર રાખવા એસઓપી અનુસરવાની જવાબદારીમાં વધારો થયો છે.
આપણે કોરોનાવાયરસના સ્વરૂપમાં પરિવર્તનને ઓળખવાની અને એની અસરોનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. તેમણે દેશમાં રસીકરણની સતત વધતી ઝડપની અને એક જ દિવસમાં 3 મિલિયનથી વધારે રસીકરણ સાથે રસીકરણના દરની પ્રશંસા કરી હતી. પણ સાથેસાથે તેમણે રસીના ડોઝના બગાડની સમસ્યાને અતિ ગંભીરતાપૂર્વક લેવા પર ધ્યાન દોર્યું હતું. તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રસીનો બગાડ 10 ટકા છે. તેમણે રસીનો બગાડ ઘટાડવા સ્થાનિક સ્તરે આયોજન અને સંચાલનની ખામીઓ તાત્કાલિક ધોરણે સુધારવાની અપીલ કરી હતી.
વડાપ્રધાને તેમની વાત પૂરી કરતાં આ સંક્રમણને નિવારવા ઉપરોક્ત પગલાં ઉપરાંત માસ્ક પહેરવું, શારીરિક અંતર જાળવવું, સ્વચ્છતા જાળવવી વગેરે જેવા મૂળભૂત પગલાનાં પાલનનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે આ પ્રકારનાં પગલાં લેવામાં બેદરકારી ન દાખવવા અને આ મુદ્દાઓ પર લોકો વચ્ચે જાગૃતિ લાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારવા અને રસીની એક્સપાઇરી તારીખને ધ્યાન લેવા જણાવ્યું હતું. વડાપ્રધાને “દવાઈ ભી કડાઈ ભી”નો આગ્રહ કર્યો હતો.