ફાસ્ટેગ શું છે, કેવી રીતે મેળવશો?

by Investing A2Z

ફાસ્ટેગ હવે તમામ વાહનોમાં ફરજિયાત થઈ રહ્યું છે. હાઈવે પર ટોલ ભરવા માટે વાહનોની લાંબી કતારોમાંથી છુટકારો મેળવવા માટે સરકારે ફાસ્ટેગ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. જેને પગલે સરકારે જાહેરાત કરી હતી કે તમામ વાહનચાલકોએ 15 ડીસેમ્બર પહેલા ફાસ્ટટેગ લગાવી દેવું, તેમ છતાં લાખો વાહનો પર ફાસ્ટેગ લાગી નથી, જેથી સરકારે ફાસ્ટેગ લગાવવાની તારીખને વધુ એક મહિનો લંબાવીને 15 જાન્યુઆરી કરી છે. અત્યાર સુધીમાં અંદાજે એક કરોડથી વધુ ફાસ્ટેગ ઈસ્યૂ થઈ ગયા છે.

હજી ઘણા લાકોને ખબર નથી કે ફાસ્ટેગ શું છે?, તે કેવી રીતે મેળવાય છે?, તેને કેવી રીતે રિચાર્જ કરાય છે? અને તેનો કેવી રીતે ઉપયોગ થશે? આવા અનેક સવાલો છે.

ફાસ્ટેગ કેવી રીતે મળે છે?

ફાસ્ટેગ ઑનલાઈન મળે છે, બેંકની વેબસાઈટ, એમઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ પર મળે છે. ઓફલાઈન તે પોઈન્ટ ઓફ સેલ(પીઓએસ) પર મળે છે. ટોલની આસપાસ અને બેંકની તરફથી ઓફલાઈન સેન્ટર બનાવાયા છે, ત્યાં તે મળે છે. તે ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ઓફિસ, કેટલાક પેટ્રોલ પંપ પરથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.

ફાસ્ટેગ માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ?

ફાસ્ટેગ એક પ્રિપેડ રીચાર્જેબલ ટેગ હોય છે, જે એક એકાઉન્ટ સાથે લીંક હોય છે. તેના માટે કેવાયસીની જરૂર પડે છે. તેના માટે વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિક્ટ(આરસી), આઈડી પ્રૂફ અને ફાસ્ટેગ માટે અરજી ફોર્મ જમા કરાવવું પડે છે.

ફાસ્ટેગ લાવવાનો હેતુ એ છે કે વાહન ચાલકોને ટોલબુથ પર લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવવાનો છે. રોકડ ટોલ ભરવા બુથ પર લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહી રહે. પેમેન્ટ ઑનલાઈન રેડિયો ફ્રિકવન્સી આઈડેંટિફિકેશન( RFID )ની મદદથી થઈ જશે. દરેક ફાસ્ટેગનો એક યુનિક નંબર હોય છે. જેને આપ બેંક એકાઉન્ટ, મોબાઈલ વૉલેટ અને ક્રેડિટ કાર્ડ સાથે લીંક કરી શકો છો. ટોલ પરથી પસાર થતાં ટોલની રકમ તમારા એકાઉન્ટમાંથી કપાઈ જશે.

ફાસ્ટેગની કીમત કેટલી?

આમ જોવા જઈએ તો એક ફાસ્ટેગની કીમત 100 રૂપિયા છે, પણ હાલ તે મફત મળે છે. જો કે 200 રૂપિયા સિક્યુરિટી રૂપે જમા કરવવા પડે છે. ઓછામાં ઓછા તેમાં 200 રૂપિયા રીચાર્જ કરવાનું હોય છે.

કેવી રીતે રીચાર્જ થશે?

જે બેંકે ફાસ્ટેગ ઈસ્યૂ કર્યું છે, તેને રીચાર્જની સુવિધા આપી છે. પેમેન્ટ ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેફ્ટ, આરટીજીએસ અને યુપીઆઈની મદદથી કરાવી શકાશે. જો આપે નેશનલ હાઈવે ઓથોરિટીનું ફાસ્ટેગ લીધુ હશે તો માય ફાસ્ટેગ એપ ડાઉનલોડ કરી શકાશે. ત્યાં તમારુ ફાસ્ટેગને બેંક એકાઉન્ટ સાથે અથવા તો તમારા વૉલેટની સાથે લીંક કરી શકાય છે.

વેલિડિટી કેટલા સમયની હોય છે?

ફાસ્ટેગની વેલિડિટી અનલિમિટેડ છે, તેનું બેલેન્સ કયારેય લેપ્સ થતું જ નથી અને બચેલ બેલેન્સ આગામી નવા રીચાર્જ સાથે જોડાઈ જશે.

શું જૂના ફાસ્ટેગ પણ કામ કરશે?

2017 પછી તમામ નવા વાહનોમાં ફાસ્ટેગ પહેલેથી જ લગાવ્યા હતા. હાલમાં આ ફાસ્ટેગ કામ કરી રહ્યા છે. જો ટેગ તેના કરતાં જુના હોય તો તેને નવું રીપ્લેસ કરી શકાશે. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1022 પર કૉલ કરી શકાય છે.

ટોલ ટેક્સની જાણકારી કેવી રીતે મળશે?

હાઈવે પરના ટોલ પરથી પસાર થતાં રજિસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ આવી જશે, જેમાં ટોલની રકમ ડીડક્શનની જાણકારી હોય છે. લાંબા રૂટ પર જતાં પહેલા આપને ડર રહે છે કે આપના ટેગમાં પુરતું બેલેન્સ નથી તો ફાસ્ટેગ ઈસ્યૂ કરનાર બેંક અથવા નેશનલ હાઈવે ઓથોરિટીનો સંપર્ક કરી શકે છે, અને તેમની મદદ લઈ શકે છે.

બેંક પ્રોવાઈડર બદલી શકાય છે?

હાલમાં બેંક પ્રોવાઈડર બદલવાની કોઈ સુવિધા નથી. પણ જો આપ બેંક બદલવા માંગતા હોય તો અગાઉ લીધેલી ટેગ પાછી જમા કરાવવી પડે છે, અને નવી ટેગ ઈસ્યૂ કરાવવી પડે છે. કાર કે વાહન જો પત્નીની નામે હોય તો આરસી બુક પર તેમનું નામ હશે. વેરિફિકેશન કરાવ્યા પછી આપ આપનો નંબર રજિસ્ટર કરાવી શકો છો.

  • દેશમાં ફાસ્ટેગના વેચાણ માટે 28,376 કેન્દ્ર બનાવ્યા છે
  • 23 બેંકોને ફાસ્ટેગની સુવિધા સાથે જોડવામાં આવી છે
  • રાજ્યની આરટીઓ ઓફિસોમાંથી પણ ફાસ્ટેગ મળી શકશે
  • શોપિંગ સાઈટ્સમાંથી ઑનલાઈન ફાસ્ટેગ ખરીદી શકાય છે.
  • માય ફાસ્ટેગ એપમાંથી જાણકારી મળી શકે છે કે ફાસ્ટેગ કયાંથી મળશે
  • એપ દ્વારા ઑનલાઈન રીચાર્જ કરાવી શકાય છે
  • દેશમાં 537 ટોલ પ્લાઝા છે, જેમાંથી 412 ટોલ પ્લાઝામાં તમામ લેન ફાસ્ટેગ થઈ ગઈ છે.
  • 64 ટોલ પ્લાઝાઓ પર 2 લેન ફાસ્ટેગ થઈ છે

Related Posts

Leave a Comment