જમ્મુ કશ્મીરને લઈને કેવી રીતે આગળ વધી શકાય, તે દિશામાં કેન્દ્ર સરકારે એક અતિમહત્વની પહેલ કરી છે. કેન્દ્રીય પ્રધાનોની અલગઅલગ ટીમ કશ્મીરના પ્રવાસે જશે. આ ટીમ જનતા સાથે વાત કરશે. પોતાની સરકાર દ્વારા લેવાયેલ પગલાની જાણકારી આપશે અને તેમનું મન જાણવાનો પ્રયાસ કરશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી પાકિસ્તાન આતંકી સંગઠનોને મજબૂતી મળશે, તેવી આશંકાઓ વચ્ચે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તાલિબાનના એક નેતાએ એક દિવસ પહેલા જ કહ્યું છે કે તેઓ કશ્મીરના મુસલમાનોનો અવાજ ઉઠાવશે. અહેવાલ અનુસાર 9 સપ્તાહ ચાલનાર આ કાર્યક્રમમાં અદાજે 70 પ્રધાનો ભાગ લેશે.
બંધારણની કલમ 370માં ફેરફાર કર્યા પછી કેન્દ્ર સરકારની અહીંયા બીજી કવાયત હશે. વીતેલા વર્ષ 18થી 24 જાન્યુઆરીની વચ્ચે 36 કેન્દ્રીય પ્રધાનોએ જમ્મુ કશ્મીરનો પ્રવાસ કર્યો હતો. સમાચાર એવા મળી રહ્યા છે કે 10 સપ્ટેમ્બરથી કેન્દ્રીય પ્રધાનોનો પ્રવાસ શરૂ થશે. જનતા સાથે મુલાકાત કરશે તે ઉપરાંત સ્થાનિક નેતાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓને મળશે. કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી કુલ 78 પ્રધાનો છે, તેમાંથી 70 પ્રધાનો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કશ્મીર જશે કે નહી તે બાબતે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.
દરેક સપ્તાહે 8 પ્રધાન જમ્મુ કશ્મીર જશે. ચાર જમ્મુમાં અને ચાર કશ્મીરમાં જશે. વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનો તેમાં ભાગ લશે. જે પ્રધાનો પાસે જે મંત્રાલય છે તે પોતાના મંત્રાલયની સાથે જોડાયેલી વાતોને રજૂ કરશે. પાછા આવીને તે ગૃહ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ને રીપોર્ટ આપશે. પીએમઓમાં કેન્દ્રીય પ્રધાન ડૉ. જીતેન્દ્રસિંહ આ પુતી કવાયતને લઈને કોઓર્ડિનેટ કરી રહ્યા છે.
2020માં જે કેન્દ્રીય પ્રધાન જમ્મુ કશ્મીરના પ્રવાસે ગયા હતા, તેમણે પરત આવીને રીપોર્ટ આપ્યો હતો. હવે ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં થનાર આ કવાયત પહેલા જુલાઈ અને ઓગસ્ટમાં થવાની હતી, પણ સંસદનું ચોમાસું સત્ર અને સ્વતંત્રતા દિવસ સમારોહને કારણે તેને ટાળવામાં આવી હતી.
ભારત માટે જમ્મુ કશ્મીરમાં અસ્થિરતાનો ખતરો પાકિસ્તાનની સાથેસાથે હવે અફઘાનિસ્તાનથી પણ વધી ગયો છે. તાલિબાને એક દિવસ પહેલા જ કહ્યું હતું કે તે કશ્મીરના મુસલમાનો માટે અવાજ ઉઠાવશે. અત્યાર સુધી તાલિબાન આ મામલે બચતું આવ્યું હતું. કેટલાય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તાલિબાનની સાથે મળીને પાકિસ્તાની આતંકી કશમીરમાં તબાહી મચાવી શકે છે. આવા સમયમાં કેન્દ્રીય પ્રધાનો જમ્મુ કશ્મીરમાં જઈને સ્થાનિક માહોલ અંગે જાણી શકશે. તાલિબાનોને લઈને કશ્મીરીઓ શુ વિચારી રહ્યા છે અને તેને કારણે સુરક્ષાને લઈને કઈ ચિંતાઓ ઉભી થઈ શકે છે. તમામ પ્રધાનો આના પર પોતાનો અહેવાલ આપશે.
લોકસભા સ્પીકર ઓમ બિરલા શુક્રવારે જ જમ્મુ કશ્મીરનો પ્રવાસ સમાપ્ત કરીને પરત ફર્યા છે. વીતેલા કેટલાક મહિનાઓમાં અનેક કેન્દ્રીય પ્રધાનોએ લેહનો પ્રવાસ કર્યો છે, તે ઉપરાંત સંસદના 13 સ્ટેન્ડિંગ સમિતીઓ પણ જમમુ કશ્મીર અને લદાખનો પ્રવાસ કરીને આવી છે. આ સમિતીઓમાં 300થી વધુ સાંસદ હતા. અંદાજે 6 સમિતીઓનો પ્રવાસ હવે આગામી દિવસોમાં છે.
અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું બુધવારે અવસાન થયું હતું, જે પછી કશ્મીરમાં મોબાઈલ ફોન પર વૉઈસ કોલ સેવાઓ અને ફિક્સ્ડ લાઈન કનેક્શન પર બ્રોડબેન્ડ સુવિધાઓ બંધ કરી દેવાઈ હતી. શુક્રવાર સાંજે બન્ને સેવાઓ હવે ચાલુ કરી દેવાઈ છે. અધિકારીઓના કહેવા મુજબ રવિવાર બપોર સુધીમાં મોબાઈલ ફોન પર ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરી દેવાશે. ગિલાની ઘાટીના સૌથી વરિષ્ઠ અલગાવવાદી નેતા હતા, જેમનો પાકિસ્તાન તરીફ પ્રેમ માટે જાણીતા હતા.