હેપી ન્યૂ યરઃ 2020 કેવું જશે?

by Investing A2Z

2019ની વિદાય અને 2020ને વેલકમ… 2019ની ખાટીમીઠી યાદ વાગોળીને હવે 2020 કેવું જશે, તે માટે નવા વર્ષના પ્રથમ દિવસે બધાં એકબીજાને શુભેચ્છા પાઠવે છે, અને કહે છે કે હે ન્યૂ યર… 2019માં અર્થતંત્ર કઠીન પરિસ્થિતિમાંથી પસાર થયું છે, એટલે હવે આપણે આશા રાખીએ કે અર્થતંત્રની ગાડી તેજીના પાટા પર ચડે, અને આપણાં બધાંની પ્રગતિ થાય. ભારતનો વિકાસ થાય અને દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન થાય, શેરબજાર ટોપ પર ચાલે, ખાદ્યખોરાકની ચીજવસ્તુઓના ભાવ ઘટે, આટલી અપેક્ષા તો રાખી શકીયે.

વિવિધ ક્ષેત્રે 2020 કેવું જશે?

રાજકીય

રાજકીય રીતે ઉથલપાથલનું વર્ષ રહેવાના પૂરા આસાર છે. કેન્દ્રમાં સત્તામાં રહેલ પક્ષ ભાજપ માટે અગ્નિપરીક્ષાનો સમય જોવા મળશે. કારણ કે ભાજપ પાસેથી અતિમહત્વના અનેક રાજ્યોમાંથી સત્તા જતી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડ જે ભાજપના ગઢ હતાં, તેમાં જ ભાજપની સત્તા જતી રહી છે. માટે ભાજપે 2020ના નવા વર્ષે ચિંતન કરવાની જરૂર છે. 2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જો કે નવી દિલ્હીના રામલીલા મેદાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારનું બ્યૂગલ વગાડી દીધું છે. પણ અરવિંદ કેજરીવાલ લોકપ્રિય નેતા સાબિત થયાં છે, જેથી દિલ્હી વિધાનસભાની ગાદી કબજે કરવી ભાજપ માટે કપરા ચઢાણ સમાન રહેશે. 2017ના વર્ષમાં 71 ટકા ભારત પર ભાજપની સત્તા હતી, જે 2019માં ઘટીને 35 ટકા પર આવી ગઈ છે. એટલે એનો અર્થ એવો થાય કે ભાજપના વળતાં પાણી થઈ રહ્યાં છે, લોકપ્રિયતા ઘટતી જઈ રહી છે.

બીજી તરફ કોંગ્રેસ માટે 2020નું રાજી થવા માટેનું વર્ષ છે. 2020માં કોંગ્રેસે વધુ મહેનત કરીને નવી સ્ટ્રેટેજી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની પૂર્વતૈયારીઓ કરી લીધી છે.. ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે, તેનો ફાયદો ઉઠાવવા કોંગ્રેસે નવા યુવા ચહેરાને સ્થાન આપવું, અને સીનીયર નેતાઓ પાસેથી સલાહ મેળવીને રાજકીય રીતે આગળ વધશે તો કોંગ્રેસ માટે 2020ના વર્ષમાં વધુ સારા દિવસો આવશે.

અયોધ્યામાં રામમંદિર

સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી હવે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે. જેનો પાયો 2020ના નવા વર્ષમાં નંખાશે. તેમ જ રામમંદિર માટે સોમનાથ ટ્રસ્ટની પેટર્નથી અલગથી ટ્રસ્ટ રચાશે, જે રામમંદિરનો વહીવટ કરશે. 2020માં અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિરનું ખાતમુહૂર્ત થશે.

આર્થિક દ્રષ્ટિએ

ભારતનું અર્થતંત્ર મંદીની ઝપટમાં આવ્યું છે. જીડીપી ગ્રોથ સતત ઘટીને 4.5 ટકાના નીચલા સ્તર પર આવી ગયો છે. મોંઘવારી દર સતત વધી રહ્યો છે. ડુંગળી, ટામેટા, બટાટા સહિત શાકભાજી અને અનાજના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. ઔદ્યોગિક ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, બેરોજગારીમાં પણ વધારો થયો છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આર્થિક મંદી દૂર કરવા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, વ્યાજ દરમાં ઘટાડો જેવા અનેક પગલા લીધાં છે, પણ તેની કોઈ અસર પડી નથી.

હવે 2020ના નવા વર્ષની પહેલી ફેબ્રુઆરીને શનિવારે બજેટ રજૂ થનાર છે, આ બજેટ આર્થિક મંદીને દૂર કરવા માટેના પગલાં લેવા માટે અતિમહત્વનું બની રહેશે. નાણાંપ્રધાન આર્થિક મંદીને નાથવા માટે ચોક્કસ પ્રકારનો રોડમેપ જાહેર કરશે. બૂસ્ટર પેકેજની જાહેરાત પણ કરી શકે છે. જીએસટીના ત્રણ સ્લેબ છે, તે ઘટાડીને બે જ સ્લેબ કરી નાંખે તો નવાઈ નહી. બેંક અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં વધુ નાણાંની ફાળવણી આવે તેવી શકયતા છે. બેંક વ્યાજ દર ઘટાડે તો તેનો સીધો લાભ ગ્રાહકો અને ઉદ્યોગોને મળે તે માટે ચોક્કસ ગાઈડલાઈન્સ આવશે. આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરે તેવી આશા છે. પણ ઈકોનોમી માટે 2020નું નવું વર્ષ અનેક પડકારોવાળું હશે.

નોસ્ત્રેડેમસની આગાહી

માઈકલ નાસ્ત્રેડેમસની અત્યાર સુધીની મોટાભાગની તમામ આગાહીઓ સાચી પડી છે. 2020ના વર્ષ માટે પણ તેમણે આગાહી કરી જણાવ્યું છે કે આ વર્ષ માનવતા માટે સારા સમાચાર લઈને આવ્યું નથી. તેમણે સદીઓ પહેલાં ભવિષ્યવાણીઓ કરી છે, તેમણે પોતાની ભવિષ્યવાણીમાં વિનાશના સંકેત આપ્યાં છે. નોસ્ત્રેડેમસ અનુસાર 2020માં એક નવા યુગની શરૂઆત થશે. તેમણે અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2020માં કેટલાક દેશોમાં એકબીજા સામે ટકરાવ વધી જશે. તેની સાથે 2020માં આ સદીનું સૌથી મોટુ આર્થિક સંકટ આવશે. ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે 2020 સુધીમાં લોકો પહેલેથી ખૂબ જ જાગૃત થઈ ચૂક્યાં હશે અને લોકોમાં એક નવા પ્રકારનો આધ્યાત્મિક ઝૂકાવ જોવા મળશે. નોસ્ત્રેડેમસની આગાહીમાં ત્રીજા વિશ્વ યુદ્ધની પણ આશંકા દર્શાવી છે. તેમ જ દુનિયાના મોટા દેશોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થશે અને લોકો રસ્તા પર ઉતરી આવશે.

ભારત પાકિસ્તાનના સંબંધો

હાલ તો ભારત પાકિસ્તાનના સંબંધોમાં ભારે તંગદિલી પ્રવર્તી રહી છે. સરહદ પર છમકલાં ચાલુ રહ્યાં છે. શાંતિવાર્તાને કોઈ સ્થાન રહ્યું નથી. પાકિસ્તાન પહેલાં સરહદ પર શાંતિ જાળવે અને આતંકીઓને મોકલવાનું બંધ કરે તો જ શાંતિ મંત્રણા શક્ય છે. 2020ના નવા વર્ષમાં પાકિસ્તાન સરહદ કોઈપણ દુઃસાહસ કરશે તો ભારત તેનો જોરદાર જવાબ આપશે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સાવ કથળેલી છે. વિદેશથી તમામ સહાય બંધ થઈ ગઈ છે, માટે પાકિસ્તાને તો ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવવો જોઈએ તે જ તેના માટે ડહાપણભર્યું પગલું લેખાશે.

નવા કશ્મીરનું નિર્માણ

ભારતીય સંસદે બહુમતી સાથે કશ્મીરમાંથી 370 કલમ હટાવી દીધી છે, હવે કેન્દ્ર સરકારની નવી જવાબદારી છે કે નવા કશ્મીરનું નિર્માણ કરવું. કશ્મીરવાસીઓના મનમાંથી જૂની કડવાહટ દૂર કરીને તેમને વિકાસના માર્ગે વાળવા. નવા ઉદ્યોગધંધા કશ્મીરમાં સ્થપાશે અને કશ્મીરને ભારતના વિકાસની રાહ પર વાળવામાં આવશે તો કશ્મીરવાસીઓનું જીવન ધોરણ ઊંચું આવશે. 2020ના વર્ષમાં કશ્મીરનો આર્થિક વિકાસ થાય તે માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરીને તેમની સમસ્યાઓને દૂર કરાશે. કેન્દ્ર સરકાર 100 ટકા આ બાબતે વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેશે.

વસતી ગણતરી

ભારતની વસતી ગણતરીનું નવું નામ છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. ભારતમાં દર દસ વર્ષે વસતી ગણતરી થાય છે. કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. પહેલી એપ્રિલ, 2020થી 30 સપ્ટેમ્બર સુધીમાં ભારતના તમામ નાગરિકોની ગણતરીનો ડેટા તૈયાર થઈ જશે. વસતી ગણતરી માટે રૂપિયા 3,941.35 કરોડ રૂપિયાના બજેટની ફાળવણીને મંજૂરી આપી દીધી છે.

બજારોનું ભાવિ

આર્થિક મંદીને કારણે બજારો ડામાડોળ છે, પણ 2020ના નવા વર્ષમાં કેન્દ્ર સરકાર અર્થતંત્રની મંદીને હટાવવા બૂસ્ટર ડોઝ આપશે, તો બજારોમાં નવી ઘરાકી નીકળશે, રોજગારીમાં વધારો થશે, નાણાં છૂટાં થશે અને બજારમાં ફરતાં થશે એટલે કે લિક્વિડિટી વધશે. આરબીઆઈ જીડીપી ગ્રોથને વધારવા માટે વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી પણ સંભાવના છે. વ્યાજ દર ઘટશે તો લિક્વિડિટીમાં ચોક્કસથી વધારો થશે. તમામ લોન સસ્તી થશે, જેને કારણે માર્કેટમાં નવી ડિમાન્ડ આવશે. હાઉસિંગ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવો વગેરે જેવા પગલાંથી ઈકોનોમીને ફાયદો થશે. કેન્દ્ર સરકાર 2020માં નવી છૂટછાટો કે રાહતો આપી શકે છે. જીએસટીમાં સરળીકરણ અને બે જ સ્લેબ કરી નાંખશે તો બજારના વેપારીઓને ખૂબ રાહત થઈ જશે. બધાં હોંશે હોંશે જીએસટી ભરશે. સરકારની ટેક્સની આવકમાં વધારો થશે.

શેરબજારની ચાલ

શેરબજારની વાત કરીએ તો આર્થિક મંદી વચ્ચે પણ શેરબજારમાં તેજી રહી છે. પણ હવે જો આર્થિક મંદી દૂર કરવાના પ્રયત્નો કરાશે તો 2020માં નવી તેજીનો સૂર્યોદય ઉગશે, વિદેશી રોકાણકારો નવું રોકાણ લાવશે. પણ હા… ભારત પાકિસ્તાનના સંબધો વણસેલા છે, સરહદ પર તંગદિલી છે, પાકિસ્તાન સહેજ પણ છમકલું કરશે તો ભારત તેનો આકરો જવાબ આપશે. સરહદ સળગતી હોય તો શેરબજારમાં તેજી થવી અશક્ય છે, માટે રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. નવા ઊંચા ભાવે કે નવા ઊંચા ઈન્ડેક્સના લેવલે નવું રોકાણ કરતાં પહેલાં 100 ટકા વિચારજો. સ્ટોક સ્પેસિફિક તેજીમાં શેરબજારમાં આપના રોકાણ પર નફો મળતો હોય તો નફો ગાંઠે બાંધજો. અને આપની બચતને બીજી અન્ય જગ્યાએ રોકાણ કરજો. 2020માં સલામત રોકાણનો વિકલ્પ પસંદ કરવો ખૂબ જરૂરી છે. ભારત પાક વચ્ચેની તંગદિલીને કારણે વિદેશી રોકાણકારો નવું ફંડ એલોકેશન ન પણ કરે, જેથી સાવચેત રહેવાની જરૂર છે.

વિદેશી સંબંધો

2020માં અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી આવી રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાય છે કે નહી તેના પર વિશ્વની નજર છે. બ્રિટનમાં નવા વડાપ્રધાન બોરીસ જોનસન બહુમતીથી ચૂંટાઈ આવ્યાં છે, જે પછી હવે બ્રેક્ઝિટનો રસ્તો ક્લીયર થયો છે. બ્રિટન અને ભારત સાથે વેપાર ધંધાની નવી સમજૂતી થાય તો નવાઈ નહી. પાકિસ્તાન સાથેના સંબધો તો બગડેલા છે જે. પાકિસ્તાનું મિત્ર એવા ચીન સાથે ભારત નવા સંબધો બાંધવા પ્રયત્નશીલ જ રહ્યું છે, પણ ચીન સાથ આપતું નથી. ચીનની પહેલેથી જ ઈમેજ સારી નથી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરનો આંશિક રીતે અંત આવ્યો છે, જે ભારત માટે ફાયદાકારક રહેશે.

ગુજરાતનું અર્થકારણ અને રાજકારણ

ગુજરાત અન્ય રાજ્યો માટે વિકાસનું રોલ મોડલ બન્યું છે, તે વાત હવે જૂની થઈ ગઈ છે. ગુડ ગવર્નન્સમાં ગુજરાત પાછળ ધકેલાયું છે. મોદીનું ગુજરાત હવે પાછળ પડ્યું છે. રાજકીય અને આર્થિક બન્ને રીતે… રાજકીય રીતે જોઈએ તો 2017ના વર્ષમાં 182 બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માંડમાંડ 99 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટતી જઈ રહી છે. ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભલે ટવેન્ટી ટવેન્ટી રમવા આવ્યાં હોય પણ પક્ષમાં જે અસરકારકતા ઉભી કરવી જોઈએ તે નથી કરી શક્યાં. નિર્ણયો લેવામાં તે ઝડપી છે, અને સંવેદનશીલ… પણ બિનસચિવાલય પરીક્ષાના પેપર ફૂટ્યાં, નવા ટ્રાફિક દંડનો અમલ કર્યો અને પછી ફેરવ્યું, ટ્રાફિકના દંડમાં ઘટાડો કર્યો, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજિયાત કરી, હવે ફરી પાછી 2020માં તે ફરજિયાત કરશે. વધુ પડતા વરસાદથી ચોમાસું પાક નિષ્ફળ ગયો, કમોસમી વરસાદ થયો, તીડનું આક્રમણ, શિયાળાની શરૂઆતે માવઠું થયું, છેલ્લું વર્ષ ખેડૂતોને ભારે નુકસાનીનું રહ્યું છે. રાજ્ય સરકારે સહાય આપી, તેમ છતાં તે ખેડૂતોના હમદર્દ નથી બની શક્યાં, મગફળી કાંડ, આરોગ્ય ક્ષેત્રે મા કાર્ડની નિષ્ફળતા, આવી તો અનેક બાબતોએ સરકારની પીછેહઠ થઈ છે.

વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ 3 બેઠક હારી ગયો, અને તે ત્રણેય બેઠક ભાજપનો ગઢ હતી. એટલે એમ કહેવાય કે ભાજપની મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને ઝારખંડ પછી ગુજરાતમાં પણ લોકપ્રિયતા ઘટી રહી છે. 2020ના વર્ષમાં ભાજપે ચિંતન કરીને ગુજરાત ન ગુમાવવું પડે તે માટે એક સંગઠનથી કામ કરવું પડશે. કોંગ્રેસ માટે 2020નું વર્ષ સત્તા મેળવવાનો પાયો નાંખવાનું વર્ષ છે. 2020ના નવા વર્ષમાં ગુજરાતમાં રાજકીય હલચલ વધુ તેજ રહેશે.

Related Posts

Leave a Comment