31 માર્ચ પહેલા કરી લેજો આ કામ

by Investing A2Z

ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. દરેક નાણાકીય વર્ષના આખરમાં કેટલાય નાણાકીય ડેડલાઈન નક્કી હોય છે, જે કામ બાકી હોય તેને નાણાકીય વર્ષના આખર સુધીમાં પુરા કરવા પડે છે. 31 માર્ચ, 2021નો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે પાછલા વર્ષે કોરોના મહામારી હતી એટલા માટે કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ અને કેટલાય નિયમોનું પાલનની સમયમર્યાદા 31 માર્ચ, 2021 સુધી વધારી દીધી હતી. તેમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવું. આવકવેરા રીટર્ન ફાઈલ કરવું અને ટેક્સમાં છૂટ પ્રાપર્ત કરવા માટેના રોકાણની સમયમર્યાદા સામેલ છે.

પાન- આધારને લીંક કરવું

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાની સમય મર્યાદા સરકાર અનેક વખત વધારી ચુકી છે. જેને આખરે 30 જૂન, 2020ના રોજ વધારીને 31 માર્ચ, 2021 કરી દેવાઈ હતી. જો આપ 31 માર્ચ, 2021 સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક નહી કરાવો તો આપનો પાન નંબર નિષ્ક્રિય થઈ જશે અને તમે કોઈ મોટી રકમની લેવડદેવડ નહી કરી શકો.

2019-20નું આઈટીઆર ભરવું

જો આપે હજી સુધી નાણાકીય વર્ષ 2019-20નું આવકવેરા રીટર્ન ન ભર્યું હોય તો તે ભરવાની સમય મર્યાદા 31 માર્ચ, 2021ના દિવસે સમાપ્ત થઈ રહી છે. માટે વહેલી તકે રીટર્ન ફાઈલ કરી દેવું. જો નહી ભરી શકો તો આપે રૂપિયા દસ હજારનો દંડ ભરવો પડશે. જો આપની આવક 5 લાખ સુધીની છે તો આપે રૂપિયા 1000 દંડ ભરવો પડશે.

2020-21 માટે રોકાણ

જો તમે જૂની ટેક્સ વ્યવસ્થા સાથે જોડાયેલા છો અથવા તો જૂની વ્યવસ્થાને પસંદ કરી છે તો 31, માર્ચ, 2021 સુધી ટેક્સ સેવિંગ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરી લેવું આવશ્યક છે. જો આપ રોકાણ નહી કરો તો તમારે તમારી કુલ આવક પર ટેક્સ ભરવો પડશે.

LTC કેશ વાઉચર યોજના અંતર્ગત બિલ જમા કરાવવા

એલટીસી કેશ વાઉચર યોજના અંતર્ગત ટેક્સનો લાભ લેવા માટે યોગ્ય ફોર્મેટમાં 31 માર્ચ, 2021 સુધીમાં બિલ જમા કરાવવા ફરજિયાત છે. જેમાં જીએસટીની રકમ અને નંબર હોવો જરૂરી છે. કેન્દ્ર સરકારે ઓકટોબર, 2020માં આ યોજનાની જાહેરાત કરી હતી. તેનો હેતુ માંગમાં વૃદ્ધિ કરવાનો હતો અને સાથે કર્મચારીઓ એવી એલટીએ રકમનું કલેઈમ કરવાનો ઓપ્શન આપવાનો હતો. જેનાથી કર્મચારી હજી સુધી કલેઈમ નહોતા કરી શક્યા. ત્યાર પછી આ યોજનાને વધારીને કેન્દ્રીય કર્મચારીઓ ઉપરાંત પીએસયુ અને ખાનગી સેકટરના કર્મચારીઓને પણ તેનો લાભ આપવાની જાહેરાત કરાઈ હતી.

સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ યોજના

સરકારી કર્મચારીઓ 31 માર્ચ, 2021 સુધી વ્યાજ મુક્ત 10,000 રૂપિયા સુધી વિશેષ એડવાન્સ લઈ શકે છે. સરકારે એલટીસી કેશ વાઉચર યોજનાની સાથે ઓકટોબર 2020માં આ યોજનાની જાહેરાત કરી હતી. સરકારી કર્મચારી જો આ એડવાન્સ લે તો તેને વધુમાં વધુ 10 હપ્તામાં આ રકમ પરત કરવાની છે.

વડાપ્રધાન આવાસ યોજના

જો આપ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજનાનો લાભ હાંસલ કરવા માંગો છો તો ધ્યાન રાખવાની વાત એ છે કે એમઆઈજી-1 અને એમઆઈજી-2 શ્રેણીઓ માટે સબસિડી માટેની અરજી કરવાની સમય મર્યાદા 31 માર્ચ, 2021નો રોજ સમાપ્ત થઈ રહી છે. એલઆઈજી અને ઈડબલ્યૂએસ શ્રેણી માટે સમય મર્યાદા વધારીને 31 માર્ચ, 2021 કરી દેવામાં આવી હતી.

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી યોજના

કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી, તે સમયે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અનુસાર સરકારે વેપારીઓ અને ખાસ કરીને નાના વેપારીઓને કોવિડ-19ના મુશ્કેલ સમયમાં વિના ગેરંટી લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. આ યોજનાનો અમલ કરવાની સમય મર્યાદા 31 માર્ચ, 2021 છે.

વિવાદ સે વિશ્વાસ યોજના

કેન્દ્ર સરકારે 26 ફેબ્રુઆરી, 2021ના રોજ એક જાહેરનામું બહાર પાડીને વિવાદ સમાધાન સાથે જોડાયેલ યોજના વિવાદ સે વિશ્વાસ યોજના અનુસાર અરજી દાખલ કરવાની સમય મર્યાદા 31 માર્ચ, 2021 સુધી કરી દીધી હતી. પહેલા તે સમય મર્યાદા 28 ફેબ્રુઆરી, 2021 સુધીની જ હતી.

Related Posts

Leave a Comment