નરસિંહ મહેતાએ ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ એમ ભલે કહ્યું હોય, આજની સ્થિતિમાં કોરોના એમ કહે છે કે ભૂતળ પર રહેવું હશે- આ લોકમાં રહેવું હશે તો લૉક ડાઉન થઈ જાઓ. નહીંતર ખેર નથી… એની વે, આતો જરાક હળવા મિજાજની વાત થઈ, પણ સચ્ચાઈ એ છે કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી ત્રણ સપ્તાહનું સંપૂર્ણ લોક ડાઉન જાહેર કર્યું છે. આ એક પ્રકારનો કરફ્યૂ જ છે, અને તેમણે જનતાને બે હાથ જોડીને પ્રાથના કરી હતી કે ઘરમાં જ રહો, ઘરમાં જ રહો, અને તમે અને તમારો પરિવાર ઘરમાં જ રહો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા જ કહ્યું હતું કે હું એક વડાપ્રધાન તરીકે નહી પણ એક પરિવારના સભ્ય તરીકે આપને વિનંતી કરવા આવ્યો છું. વડાપ્રધાન ખુબ જ દુખી થઈને આ વાત કરી છે, આપણે હવે સજાગ અને સાવચેત થવાની જરૂર છે. કોરોનાને સ્હેજ પણ હળવાશથી લેવાની ભુલ ન કરશો. માત્ર ત્રણ સપ્તાહનો સવાલ છે, ત્રણ સપ્તાહ સુધી તમે સેલ્ફ આઈસોલેશનમાં રહો. કોરોના એટલે ‘કોઈ… રોડ પર… ના નીકળો…’
સરહદો સીલ કરી છે. રાજ્યમાં જીવનજરૂરી આવશ્યક પરિવહન સિવાય તમામ બંધ કરાયું છે. માત્ર મેડિકલ, કરિયાણાં, દૂધ-શાકભાજી, વીમા કંપની, બેંક, મીડિયાની સેવા ચાલુ રહેશે. પણ મને અહીં લખતાં દુઃખ થાય છે કે લૉક ડાઉન નો અર્થ આમ જનતા હજી સુધી સમજી શકી નથી. લૉક ડાઉનના પ્રથમ દિવસે જ લોકો પોતાના વાહનો લઈને બહાર નીકળી પડ્યાં હતાં. પોલીસ બધાંને સતત સમજાવતી હતી, પણ લોકો બહાનાં બતાવીને આમતેમ ફરતાં હતાં. કેટલી દુઃખની વાત છે. તમારા સ્વાસ્થ્ય માટે સરકાર અગમચેતીના અને સાવચેતીના પગલાં ભરી રહી છે, પણ જનતા તેને અવગણી રહી છે. કોરોના વાયરસ પ્રત્યે સજાગ થવાની જરૂર છે, કોઈએ તેને હળવી રીતે લેવાની જરૂર નથી. સરકાર દ્વારા જાહેર કરાયેલ લૉક ડાઉનમાં સહકાર આપીએ, તો આપણે જ સ્વસ્થ રહેવાના છીએ. કોરોના સામેનો જંગ જીતવા સેલ્ફ આઈસોલેશન જ જરૂરી છે.
જનતા કરફ્યૂના દિવસે સાંજે પાંચ વાગ્યે થાળી વગાડવાની હતી, ત્યારે પણ અમદાવાદ સહિતના વિવિધ શહેરો અને ગામડામાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયાં હતાં. ગરબા પણ કર્યા, અરે ભાઈઓ, કોઈએ આવી રીતે એકઠાં થવાનું નથી. સરકારે ધારા 144 લાગુ કરી છે. ચાર કે તેથી વધુ લોકોએ ભેગાં થવાનું નથી. કોરોના વાયરસ ભીડભાડવાળી જગ્યાએથી વધુ ફેલાય છે, માટે વધુ ભીડ ભેગી કરવાની નથી. પણ થાળી, ઘંટ અને શંખનાદ કરવાના ઉન્માદમાં લોકો બહુ ઉત્સાહમાં આવી ગયાં હતાં, અને ટોળેટોળાં રોડ પર ભેગા થયાં હતાં. તેની સરકારે ટીકા કરી, અને જનતાને સમજાવ્યું છે. ટોળા સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે. કોઈએ ઉત્સાહનો અતિરેક ન કરવો જોઈએ. કોરોના સામેનો જંગ જીતવાનો છે. ભારત સરકારે અગમચેતીના પગલાં લીધાં છે, જેને કારણે અન્ય દેશો કરતાં ભારતમાં કોરોનાના કેસ ખૂબ ઓછાં નોંધાયાં છે. જે દેશોએ કોરોના વાયરસને હળવાશથી લીધો છે, તે દેશમાં કોરોના રાતે ન ફેલાય તેટલો દિવસે ફેલાયો છે અને દિવસે ન ફેલાય તેટલો રાત્રે ફેલાયો છે.
વિશ્વની મહાસત્તા કહેવાય છે, તેવા દેશો હાલ તો કોરોના વાયરસ સામે હારી ગયાં છે. જે આધુનિક દેશો પાસે આરોગ્યની સારામાં સારી અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલો ઉપલબ્ધ છે, ડૉકટરોની મોટી ફોજ છે, આ દેશો સ્વચ્છતામાં પણ પ્રથમ નંબરે છે, તેમની પાસે મેડિકલ ટ્રીટમેન્ટના આધુનિક સાધનો છે, તેમ છતાં આવા દેશો કોરોના સામે નતમસ્તક થઈ ગયાં છે, તેમનો વાંક એટલો હતો કે તેમણે કોરોનાને હળવાશથી લીધો હતો, સાવચેતીના પગલાં ખૂબ મોડા લીધાં છે, પણ તે પહેલાં તે ઝડપથી ફેલાઈ ચૂક્યો છે. ચીનમાં મૃત્યુઆંક 3270 પર પહોંચ્યો છે, ઈટાલીમાં 6078 મોત થયાં છે. (આ ઈટાલીમાં એક જ દિવસમાં 602 લોકોના મોત થયાં હતા), અમેરિકામાં 483 લોકોના મોત થયાં છે. જર્મનીમાં 115ના મોત થયાં છે. સ્પેનમાં 2206ના મોત થયાં છે. ઈરાનમાં 1850ના મોત થયાં છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3.66 લાખની વટાવી ગઈ છે, અને મૃત્યુઆંક 16,000ને પાર થઈ ગયો છે. મારે આ ભયાનક આંકડા એટલા માટે જણાવવા પડ્યાં છે કે કોરોનાની ગંભીરતાની આપને જાણ થાય.
લૉક ડાઉન એટલે શું ?
લૉક ડાઉન એક ઈમરજન્સી વ્યવસ્થા છે, જે વિસ્તારમાં લૉક ડાઉન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ હોય છે. જો કોઈને દવા કે અનાજની જરૂર હોય તો બહાર નીકળે શકે અથવા હૉસ્પિટલ અને બેંકના કામ માટે બહાર નીકળી શકે છે. બાળકો અને વૃદ્ધોની સારસંભાળ માટે પણ બહાર નીકળવાની મંજૂરી મળી શકે છે.
લૉક ડાઉન કેમ કરવામાં આવે છે ?
વ્યક્તિને કે વિસ્તારને કોઈપણ પ્રકારના ખતરાથી બચાવવા માટે લૉકડાઉન કરવામાં આવે છે. કોરોના સંક્રમણને ધ્યાને લઈ ઘણાં દેશોમાં લૉક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ન પ્રસરે તે માટે જરૂરી હોય છે કે લોકો ઘરની બહાર ઓછાં નીકળે. બહાર નીકળવાની સ્થિતિમાં સંક્રમણનું જોખમ વધી જાય છે. તેથી જ વિશ્વના દેશોમાં લૉક ડાઉનની સ્થિતિ છે.
ગુજરાતમાં લોક ડાઉન અંગે જાહેરનામું…
લોક ડાઉન માટે અધિકૃત જાહેરનામું ગુજરાતના ગૃહવિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
- આ લોક ડાઉનમાં રાજ્યની અન્ય રાજ્યો સાથેની તમામ આંતરરાજય બોર્ડર સીલ કરવામાં આવનાર છે.
- આવશ્યક બાબતો સિવાયની તમામ અવરજવર બંધ કરવામાં આવશે.
- તમામ પ્રકારના માલવાહક વાહનો Transport / Goods Vehicle ( કાર્ગો સહિત) રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી તમામ જીવન જરુરિયાતની વસ્તુઓની અછત ન પડે.
- જે સેવાઓ-વ્યક્તિઓને આ લૉક ડાઊન લાગુ નહીં પડે તે નીચે પ્રમાણે છે. મેડિકલ સ્ટોર, કરિયાણાંની દુકાનો, દૂધ, શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, જરૂરી સરકારી સેવાઓ વગેરે જેવી આવશ્યક સેવાઓ નિયમિત રીતે ચાલુ રહેશે.
- આ સેવાઓના કેન્દ્રો અથવા દુકાનોને કોઇ અસર નહીં થાય અને આ સેવાઓ માટે Transport ની વ્યવસ્થા પણ ચાલુ રહેશે. ટેક્સી, કેબ, રિક્ષા, લકઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોટેશન બંધ રહેશે.
- ખાનગી વાહનો ટુ વ્હીલર્સ – ફોર વ્હીલર્સ) ની અવરજવર ઓછી કરવાના હેતુથી ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં માત્ર બે વ્યકિત જ મુસાફરી કરી શકશે.
- આ નિર્ણય જનતાના હિતમાં લેવામાં આવેલ છે, જેથી આ નિર્ણયનો અમલ કરાવવા માટે પોલીસને તમામ પ્રકારે સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે.
- સ્થાનિક કક્ષાએથી દરેક પોલીસ સ્ટેશન દ્વારા પણ આ લૉક ડાઉનનો અમલ કરાવવા માટે પણ પગલાં લેવામાં આવશે.
- જે લોકો દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે અથવા પોલીસને સહયોગ કરવામાં નહીં આવે તેની સામે ગુનો દાખલ કરવા સહિતના કાયદેસરના પગલાં લેવામાં આવશે.
- લોકડાઉનના અસરકારક અમલીકરણ કરવા માટે અલગથી જે ફોર્સ ફાળવવામાં આવેલ છે, તે નીચે પ્રમાણે છે. રાજ્યભરમાં SRPFની કુલ 6 કંપનીઓ ફાળવવામાં આવી છે. ઉપરાંત RAF ની 4 કંપની ફાળવવા પણ આયોજન કરવામાં આવ્યું છે.
આખું ઈટાલી અને ફ્રાન્સ લોકડાઉન હેઠળ છે. ફ્રાન્સે તો લોકો ઘરમાં જ ભરાઈ રહે તે માટે જરૂરી નિયંત્રણો લાદ્યાં છે, તે નિયંત્રણોના અમલ માટે એક લાખથી વધુ પોલીસ અધિકારીઓને તહેનાત કર્યા છે. અમેરિકાની સરકારે દસ કે તેથી વધુ લોકોએ ભેગા થવા પર ચેતવણી આપી છે. યુએસ સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર બીજા આઠ સપ્તાહ સુધી આ નિયંત્રણો ચાલુ રહેશે. કોરોનાની રસી 2021માં વાસ્તવિક બનશે. કોરોના વાયરસએ માત્ર ફ્લૂ છે, એવું કહેનારાના મ્હોં સીવાઈ ગયાં છે.
આપણે ભારતવાસીઓ ઉપરની વાત પરથી શીખ લેવાની છે કે કોરોનાને સહજતાથી ન લો. તમને ચેપ લાગશે, તો તમે જેને સ્પર્શ કર્યો હશે તેને ચેપ લાગશે. કોરોના ચેપી રોગ છે, તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત સરકારે અને ગુજરાત સરકાર સર્તક છે, તેમણે સાવચેતીના પગલાં લીધાં છે, આપણે તેને ફોલો કરીએ. લૉક ડાઉનમાં સહકાર આપીએ. તમારા જીવ કરતાં કોઈ વસ્તુ મોંઘી નથી, એટલું સમજી લેજો. માટે આપણે પોતાની જાતને સાચવીએ અને બીજાઓને સાચવીએ. માટે જરુરી છે સેલ્ફ આઈસોલેશન… લૉક ડાઉન એટલે તમે તમારા ઘરમાં રહો, ત્યાં તમે વધુ સુરક્ષિત છો. તમે એકબીજા મિત્રોને સમજાવો. સોશિઅલ મીડિયામાં વ્હોટ્સઅપમાં કોરોનાના જોક ફરે છે, તેને ફોરવર્ડ ન કરો. માત્રને માત્ર કોરોના પ્રત્યે લોકોની જાગૃતિ વધે તેવા મેસેજ મોકલીએ. તમે સજાગ રહેશો તો તમે અને તમારો પરિવાર એટલો જ સ્વસ્થ રહી શકશે. ભારતવાસી નક્કી કરે કે કોરોનાને બસ હરાવવો છે, કોરોનાને એમ થવું જોઈએ કે હું ખોટી જગ્યાએ આવી ગયો છું, અને ભારતીયોમાં આ તાકાત છે. તમારી સતર્કતા અને સજાગતા તમને વધુ સુરક્ષિત રાખશે.