કોરાના વાયરસની મહામારી પછી દેશમાં લૉક ડાઉન 4.0 31 મે સુધી લંબાવી દીધું છે. ભારતમાં હજી કોરોના પોઝિટિવ કેસ આવવાની સંખ્યા ઘટતી નથી, તેમ છતાં નોન કેન્ટેનમેન્ટ ઝોન આકરી શરતોને આધીન ખોલી નાંખ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તમારી જરૂરિયાત અને સ્થિતિ પ્રમાણે તમે નિર્ણય લઈ શકો છો. આમ કુલ 69 દિવસના લૉક ડાઉનમાં કેન્દ્ર સરકારે દેશવાસીઓ માટે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ રજૂ કર્યું છે અને તે ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ કરશે, તેવો સરકારનો દાવો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને પાંચ દિવસ પ્રેસ કોન્ફરન્સ કરીને પાંચ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસના કહેવા પ્રમાણે આ આર્થિક પેકેજથી કોવિડ-19ની નકારાત્મક અસર સમાપ્ત થતી નથી. તેમજ અમેરિકાની બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં પાંચ ટકાનો ઘટાડો થશે. આ ભારતનું એક વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન હશે.
મૂડીઝના કહેવા પ્રમાણે સરકાર દ્વારા હાલમાં જાહેર કરાયેલ 20 લાખ કરોડના આર્થિક પેકેજથી નાણાંકીય સંસ્થાઓ માટે નાણાકીય જોખમ ઓછું રહેશે. પણ કોવિડ-19ની નકારાત્મક(નેગેટિવ) અસર પુરી રીતે સમાપ્ત થતી નથી અને તે પેકેજ નેગેટિવ અસરને પુરી રીતે દૂર કરવામાં સહાય નહી કરી શકે.
એમએસએમઈ પેકેજના સંદર્ભમાં રેટિંગ એજન્સીનું કહેવું છે કે કોરોના વાયરસના પ્રકોપ પહેલા આ સેકટર મંદીના પ્રેશરમાં હતું. આર્થિક વિકાસમાં મંદી છવાઈ હતી, અને સાથે રોકડની સમસ્યાની ચિંતા વધી હતી. જ્યારે નોન બેકિંગ કંપનીઓના ઉપાયના સંબધમાં ટિપ્પણીમાં મૂડીઝે કહ્યું હતું કે આ મદદ આવી કંપનીઓને તાત્કાલિક જરૂરિયાતોની સરખામણીએ બહુ ઓછી છે.
અમેરિકાની બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સના જણાવ્યા અનુસાર આર્થિક મોરચા પર ભારતનો દેખાવ એક વર્ષનો સૌથી ખરાબ હશે. પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં વીતેલા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકગાળામાં(જાન્યુઆરીથી માર્ચ)ની સરખામણીએ ભારતનો જીડીપીમાં 45 ટકાનું ગાબડુ પડી શકે છે. લૉક ડાઉનને કારણે આર્થિક ગતિવિધિ ટોટલ બંધ રહી છે, જેથી આવી સ્થિતિ સર્જાશે.
ગોલ્ડમેન સાક્સના કહેવા પ્રમાણે કામકાજ શરૂ થશે પછી જીડીપી સુધરશે. ગોલ્ડમેન સાક્સે આ પહેલા 4 ટકા ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું, પણ પછી તેને વધારીને 5 ટકા કરી નાંખ્યું છે. જાપાની બ્રોકરેજ કંપની નોમુરાએ પણ ભારતનો જીડીપી 5 ટકા ઘટીને આવવાની ધારણા રજૂ કરી છે.
બીજી તરફ રેટિંગ એજન્સી ફિચ સોલ્યુશને કહ્યું છે કે કોવિડ-19 સંકટમાંથી બહાર નીકળવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ રૂપિયા 20.97 લાખ કરોડનું આર્થિક પેકેજ તાત્કાલિક ચિંતાઓ દૂર કરવા માટે સક્ષમ નથી. ફિચ સોલ્યુશના કહેવા અનુસાર આ પેકેજ દ્વારા અપાયેલ રાજકોષીય પ્રોત્સાહન જીડીપીના ફકત એક ટકા જેટલું છે. જ્યારે દાવો કરાયો હતો કે તે જીડીપીના 10 ટકા છે. અત્રે નોંધનીય છે કે કેટલીય એજન્સીઓએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો થવાનું અનુમાન લગાવીને બેઠા છે. વડાપ્રધાને 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત પછી પણ જીડીપી ઘટીને આવવાની ધારણા છે.
કોરોનાને કારણે દેશની ઈકોનોમીને ખૂબ મોટો ઘક્કો વાગ્યો છે, તેની સામે થોડાક રાહતના સમાચાર છે. બ્રોકરેજ ફર્મ બાર્કલેઝનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષ (2020-21)માં વર્ષો પછી દેશની નિકાસ આયાત કરતાં વધારે છે. તેનો અર્થ એ થાય કે ચાલુ વર્ષે કરંટ એકાઉન્ટ સરપ્લસ થશે. આ વર્ષે અંદાજે 20 અબજ ડૉલર(જીડીપીના અંદાજે 0.70 ટકા) થઈ શકે છે.
જ્યારે કોઈ દેશની નિકાસ આયાત કરતાં વધારે થાય તો તેને કરંટ એકાઉન્ટ સરપ્લસ કહેવાય છે, જ્યારે નિકાસ આયાતની સરખામણીએ ઓછી હોય તો તેને કરંટ એકાઉન્ટની ડેફિસીટ કહે છે. કોરોનાને કારણે ભારતમાં 22 માર્ચ, 2020થી લૉક ડાઉન છે. જેને કારણે માંગમાં ભારે ઘટાડો થયો છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. તેલ(ક્રૂડ)ની કીમતો બે દશકાના નીચી સપાટીએ પહોંચી ગઈ છે. જેથી આયાત બિલ ઘટશે. જેને પગલે જ એપ્રિલમાં આયાત અને નિકાસ બન્ને ઑલટાઈમ લૉ પર પહોંચી ગયા છે.
એપ્રિલમાં ભારતની નિકાસ 60 ટકા ઘટી ગઈ છે તેવી જ રીતે આયાત પણ 59 ટકા ઘટી છે. બન્નેમાં ભારે ઘટાડો નોંધાયાતા એપ્રિલ મહિનાની ટ્રેડ ડેફિસીટ વીતેલા ચાર વર્ષની સામે સૌથી ઓછી રહી છે. બ્રાર્કલેઝના રીપોર્ટમાં કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આગામી દિવસોમાં ભારતનો મર્ચેડાઈઝ ટ્રેડ ડેફિસીટ સતત ઘટશે અને પુરા નાણાકીય વર્ષ માટે તે 103 અબજ ડૉલર રહેશે જે જીડીપીના અંદાજે 3.7 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2019-20માં તે જીડીપીના 5.3 ટકા હતો. ઈકોનોમીની સુસ્તીને કારણે કોરોના કાળ પહેલાથી નરમાઈની અસર છવાયેલી હતી. તેને કારણે આયાત સતત ઘટતી જઈ રહી હતી. આયાતમાં ઘટાડાથી કરંટ એકાઉન્ટની ડેફિસીટ ઘટી રહી હતી. નાણાકીય વર્ષ 2017-18માં સીએડી 66 અબજ ડૉલર હતી, જે 2018-19માં ઘટીને 27 અબજ ડૉલર પર પહોંચી ગઈ હતી. રીપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની કરંટ એકાઉન્ટની ડેફિસીટ 3 અબજ ડૉલર રહેશે. બીજા ત્રિમાસિક ગાળામાં કરંટ એકાઉન્ટ સરપ્લસ અંદાજે 8 અબજ ડૉલર રહેશે. જ્યારે પુરા નાણાકીય વર્ષમાં ભારતનું કરંટ એકાઉન્ટ સરપ્લસ 19.6 અબજ ડૉલર રહેવાનું અનુમાન છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમને પાંચ આર્થિક પેકેજ રજૂ કર્યા, તેનાથી આત્મનિર્ભર ભારત થશે કે કેમ તે સવાલ છે. પણ તેમાં લોન લેવાની વાત વધારે છે. ઔદ્યોગિક એકમોને, ગરીબોને કે મધ્યમવર્ગને સીધી આર્થિક સહાય નથી. 56 દિવસના લૉક ડાઉન પછી ગરીબ અને મધ્યમવર્ગ પાસે ખાવાનું નથી, તેમને સીધી નાણાકીય સહાયની જરૂર હતી. પણ કેન્દ્ર સરકાર તેમ કરી શકી નથી, જેની આર્થિક નિષ્ણાતોની ટીકા કરી છે. લૉક ડાઉન ખૂલ્યા પછી કેવી ડિમાન્ડ નિકળે છે, તેના પર આર્થિક આંકનો આધાર રહેશે. હાલ તો વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી રોકાણ પાછુ ખેંચી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદેશી રોકાણ આવશે કે કેમ? તે અંગે પણ અસમંજસ છે. 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત પછી લાંબા ગાળે ઈકોનોમીને બુસ્ટઅપ આપશે. પણ ટૂંકાગાળા માટે ઈકોનોમીની મંદી દૂર થાય તેમ નથી. તેના માટે સમય જ પસાર કરવો પડશે.