જય અંબેના જય ધોષથી અંબાજીના રસ્તાઓ ગુંજી ઉઠ્યા


કલેકટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, આજથી સાત દિવસીય અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને ખુબ મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી આવવાની શરૂઆત થઈ ગઈ છે. મેળામાં આવતા માઈભક્તોની સેવામાં ખરા ઉતરવા અમને માતાજી શક્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે ભાદરવી પૂનમનો મેળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
મેળામાં આવતાં લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, સુરક્ષા, પરિવહન અને પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ હોવાનું કલેક્ટરે જણાવ્યુ હતું.

