ગાંધીનગર- પંદરમી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વિધાનસભા સત્રમાં કુલ પાંચ વિધેયક રજૂ કરાશે. શ્રમ, કૌશલ્ય વિકાસ-રોજગાર, નાણા, ઉદ્યોગ-ખાણ , આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિધેયક રજૂ કરાશે.
આગામી તા. 8 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન પંદરમી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરી સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, તારીખ 8 મીના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે.
તારીખ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત પાંચ વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.

રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારની વધુ તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે કામદારો માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આવશ્યક લાભો સુરક્ષાના પગલાંઓ સબંધી કાયદાકીય જોગવાઈઓ કરીને કામના કલાકોમાં સુધારા લાવવા માટે પગલાં લેવા જરૂરી હોઇ વટહુકમ લાવવામાં આવ્યો હતો. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’ રજૂ કરવામાં આવશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017 (GGST Act) ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા આ વિધેયક લાવવામાં આવશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યમાં આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરોની પ્રેક્ટિસ નોંધણીની નિયમનકારી સંસ્થાને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ ફોર આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવશે. જેથી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963માં “બોર્ડ” શબ્દને બદલે “કાઉન્સિલ” શબ્દનો ઉપયોગ કરીને યોગ્ય સુધારા લાવવા જરૂરી છે. જેના ભાગરૂપે ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક 2025’ લાવવામાં આવશે.
તદુપરાંત રાજ્ય સરકારે રાજ્યમાં ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી અને નિયમન માટે ગુજરાત ક્લિનિકલ સ્થાપના (નોંધણી અને નિયમન) અધિનિયમ 2021 લાગુ કર્યો છે. રાજ્યભરમાં આ કાયદાનો અસરકારક અમલ થાય તે માટે કાયદા દ્વારા ફરજિયાત નોંધણી માટે ક્લિનિકલ સંસ્થાઓને વધુ વ્યાજબી સમય પૂરો પાડવો જરૂરી માનવામાં આવે છે. જે અંતર્ગત ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક 2025’ રજૂ કરવામાં આવશે.