ગાંધીનગર– મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યપ્રધાનનો રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ અક્ષર: આ પ્રમાણે છે.

મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. આઝાદી સંગ્રામના શૌર્યભર્યા ઇતિહાસની ભૂમિ એટલે ગુજરાત. 1960માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વારસામાં દરેક ગુજરાતીનું યોગદાન છે. નામી-અનામી જેણે-જેણે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપ્યું છે તે સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે.
ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઇ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયુ છે. ‘ડગલું ભર્યું કે ના હટવું’ની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરીને ગુજરાતે વિકાસ માર્ગે મક્કમતાથી ડગ માંડયા છે. દેશ અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોના એક્સપર્ટ હોય કે અર્થશાસ્ત્રીઓ સૌ કોઇ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત છે.
આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. 2025થી 2035ના આ આખાય દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવવાનો રોડ મેપ આપણે તૈયાર કર્યો છે. આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જન ઉત્સવ બનાવવાની નેમ છે.

વડાપ્રધાન મોદી સાહેબના દિશાદર્શનમાં દેશના આ અમૃતકાળમાં હવે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આપણો નિર્ધાર છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત@2047ના નિર્માણમાં સુશાસનની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. આપણે સુશાસનની દિશા અને બંધારણના મૂલ્યોને સુપેરે જાળવી રાખીને રાષ્ટ્ર નેતાઓની પ્રેરણા તથા આશીર્વાદ સાથે વિકાસની યાત્રા અવિરત જારી રાખવી છે.
ડૉ. બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાનના 75 વર્ષની ગરિમામય ઉજવણી, સરદાર સાહેબની 150મી જન્મ જયંતી અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી, ગુડ ગવર્નન્સના પ્રણેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીનું જન્મ શતાબ્દી વર્ષ. આ બધી જ ઉજવણીઓથી રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જન જનમાં જગાવવો છે.
2047માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધીના 25 વર્ષનો કાલખંડ અમૃતકાળ સાથે કર્તવ્યકાળ પણ છે. આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારત@2047માં ગુજરાત અને ગુજરાતીઓ પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે.

ગરીબ, અન્નદાતા-ખેડૂત, યુવાશક્તિ અને મહિલા એમ ગ્યાનશક્તિ આધારિત વિકાસનો ધ્યેય સાકાર કરવાની દિશા લીધી છે. આદિજાતિ હોય કે ગરીબ, વંચિત, છેવાડાનો માનવી હોય, કલ્યાણકારી યોજનાઓના લાભ દરેક લાભાર્થીને 100 ટકા પહોંચે છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં આપણે સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે.
ઔદ્યોગિક-સાંસ્કૃતિક-સામાજિક વિકાસની સાથે આપણે વર્લ્ડ ક્લાસ અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. 2047 સુધીમાં 70 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે એવા અંદાજ સાથે અર્બન પ્લાનિંગ કર્યું છે.

ગુજરાત ગ્લોબલ ગેટ વે ટુ ધ ફ્યુચર બન્યું છે. હવેનો જમાનો સોલાર, વિન્ડ અને હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જીનો અને ગ્રીન હાઈડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનુંય આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15 ટકા થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે.
ગુજરાત વિકાસનું જે રોલ મોડલ બન્યું છે, તેને વિકસિત ગુજરાત @૨૦૪૭ દ્વારા આપણે વધુ નવી ઉંચાઈ આપવી છે. આ માટે વિકસિત ગુજરાત@2047 વિઝન ડોક્યુમેન્ટથી સંપૂર્ણ યોગદાન આપવા કમર કસી છે. દેશમાં આવું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ આપણે મેળવ્યું છે.

પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો છે. સેમિકન્ડક્ટર જેવા નવા ક્ષેત્રો માટે નીતિ નિર્માણના પરિણામે રાજ્યમાં ત્રણ-ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યા છે. AI આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે એ.આઈ. સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના કરી છે.
રાજ્યમાં હાઈ વેલ્યૂ જોબ ક્રિએશન માટે આપણે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી તાજેતરમાં જ જાહેર કરી છે. ગિફ્ટ સિટી ખાતે ઇન્ફીનિયન ટેકનોલોજીનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પણ કાર્યરત થયું છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે.
નીતિ આયોગની મદદથી સુરત અને તેની આસપાસના વિસ્તારના સ્ટ્રેટેજીક ડેવલોપમેન્ટ માટે સુરત ઈકોનોમીક રીજીયન ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પણ આવા માસ્ટર પ્લાન બનાવવાનું આપણું આયોજન છે. વિકાસની તકો વધારવાની સાથે સાથે લોકોનું જીવનધોરણ સરળ બને તે માટે આપણે લિવિંગ વેલ પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યાં છીએ. અર્નિંગ વેલ અને લિવિંગ વેલની વિભાવના સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણ અનુકૂળ વિકાસનું આપણું લક્ષ્ય છે.

સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે આપણે મેદસ્વિતા મુક્ત ગુજરાતનો સંકલ્પ કર્યો છે. આપણું અને ધરતી માતાનું બન્નેનું સ્વાસ્થ્ય સારું રાખવા રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી માટે વધુને વધુ ખેડૂતોને પ્રેરિત કરવા છે. આવા સામાજિક જાગૃતિના અભિયાનોને વેગવંતા બનાવીને દરેક નાગરિક માટે લિવિંગ વેલને વધુ સંગીન કરવાની નેમ રાખી છે.
ગુજરાતને અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે. આપણો તો એક જ સંકલ્પ છે-ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે રહે. આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ફરી એકવાર, સૌને ગુજરાત ગૌરવ દિવસની અનેક અનેક શુભેચ્છાઓ.