કોરોના વાયરસનો ચેપ વધુ ન ફેલાય તે માટે ભારતે એક દિવસના જનતા કરફ્યૂ પછી 44 દિવસનો લૉક ડાઉન જાહેર કર્યું. લૉક ડાઉન જાહેર કર્યા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતના વખાણ કર્યા, અને કહ્યું કોરોનાનો જંગ જીતવા માટે ચેપની ચેઈન તોડવા માટે લૉક ડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ એ જ ઉત્તમ ઉપાય છે, જેને કારણે ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા કાબૂમાં રહી છે. નવી દિલ્હીના તબલીગી જમાતીઓવાળી ઘટના પછી કોરોના વધુ સ્પ્રેડ થયો, ત્યાર પછી કેસો વધ્યાં અને લૉક ડાઉન પાર્ટ-2 કરવો પડ્યો. આજે આપણે વાત કરવી છે લૉક ડાઉનથી ઘણાં પાઠ શીખવા મળ્યાં હશે, પણ લૉક ડાઉન ખૂલી જશે પછી શું બદલાશે? તેના પર ચર્ચા કરવી ખૂબ મહત્વની છે, કારણ કે હવે ઘણાં બધાં ફેરફારો તમને જોવા મળશે.
વિશ્વના કેટલાક દેશોમાં તો લૉક ડાઉનનો વિરોધ કરવામાં આવ્યો હતો. પણ ભારતે લૉક ડાઉન કરીને કોરોના ચેપની ચેઈન તોડવામાં સફળતા મેળવી છે, ધારો કે ભારતે લૉક ડાઉન ન કર્યું હોત તો આજે કોરોના પોઝિટિવની સંખ્યાની કલ્પના કરો… કે શું હોત? વિશ્વના દેશોમાં વસ્તી ઓછી છે, અને કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જ્યારે ભારતમાં તો 125 કરોડથી વધુની વસ્તી છે, તેની સામે કેસોની સંખ્યા ઓછી છે, તે ભારત માટે ગૌરવ લેવા જેવી વાત છે.
લૉક ડાઉનમાં બધા ઘરે પરિવાર સાથે રહીને કંઈકને કંઈક નવું શીખ્યાં હશે, નવી ક્રિએટિવિટી કરી હશે, નવી વાનગીઓ બનાવીને આનંદ મેળવ્યો હશે, પરિવાર સાથે રહેવાની તક મળી, યોગ કર્યા હશે, નવીજૂની ફિલ્મો જોઈ હશે, નાટક પણ જોયાં હશે, કોઈ લેખકે નવા નાટક લખ્યાં હશે, કોઈએ વાર્તા લખી નાંખી હશે, કવિ હ્રદયે કવિતાઓ લખી હશે, કોઈએ બ્લોગ લખ્યાં હશે, કોઈએ નિરાંતની પળો માણી હશે, કોઈએ ધ્યાન કર્યું હશે, કોઈએ ભક્તિ કરી હશે, આ બધું જ પૈસાવાળાના ઘરમાં થાય. પણ સાહેબ ગરીબ પરિવારોનું શું? શ્રમિક, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર રોજનું કમાઈને રોજ ખાતો હોય અથવા મહિનાનું કમાઈને મહિનાનું અનાજકઠોળ રસોડામાં ભરતો હોય તેની સ્થિતિ વધુ કફોડી બની છે. તેને બિચારાંને રસોડાની જ ચિંતા હોય છે, તે શું નવું વિચારી શકે. નોકરિયાત વર્ગને ચિંતા એ વાતની સતાવી રહી છે કે લૉક ડાઉનના સમયનો પગાર મળશે કે નહી? જ્યારે ધંધાવાળા હશે તેના ખર્ચાના મીટર તો ચાલુ જ છે, અને વ્યાજના મીટર પણ ચાલુ જ રહેવાના છે, તે તેના ટેન્શનમાં દિવસો પસાર કરે છે. આ બધી વ્યથા પરથી હવે લૉક ડાઉન પૂર્ણ થયાં પછી ઘણો મોટો બદલાવ આવવાનો છે અને તેને સૌએ સ્વીકારવો પડશે. તો જ તે આગામી કપરાં દિવસોમાં જંગમાં જીત મેળવશે.
કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેમણે નવા ફેરફારોને અમલી બનાવવા પડશે. કોર્પોરેટ જગતે નવા સમીકરણોને અપનાવવાં પડશે. નાના ધંધા વેપારવાળાઓએ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખી જવું પડશે. હાલ બધુ ઑનલાઈન થવા જઈ રહ્યું છે, તેને અપનાવી લો.
સમય સાથે સ્વભાવ બદલો, લૉક ડાઉન બાદ આવું ઘણું બદલાશે
(1) વર્ક ફ્રોમ હોમ- આ નવો કન્સેપ્ટ તો નથી, પણ હજી કોઈ સ્વીકારવા તૈયાર નથી. લૉક ડાઉનમાં વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ બહુ ગળ્યો લાગ્યો હશે. હવે તમે નવું ઘર ખરીદો તો વર્ક ફ્રોમ હોમ કરી શકાય તેવો એક અલાયદો રૂમ જોજો, પછી જ નવું ઘર કે ફલેટ ખરીદજો. અથવા તો હાલના ઘરમાં કામ ક્યાંથી કરી શકાય છે તે રૂમ ફાળવી દેજો. હવે વર્ક ફ્રોમ હોમ ચાલશે. એના ફાયદા ઘણાં છે કે ઓફિસમાં જે વર્ક છે તે તમે ઘરે બેઠાં કરી શકો છો. આફિસે આવવાજવા માટે પેટ્રોલડીઝલની સીધી બચત, જવાઆવવાનો સમય બચી જશે. હા જે વેપારધંધામાં ઓફિસે જવું જ પડે તેવું ત્યાં તમને છૂટ છે, પણ જે વ્યવસાયમાં તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો તો તેને અપનાવી લો. કામ સિવાય બહાર ન નીકળો.
(2) ડિજિટલ સીસ્ટમ– ડિજિટલ સીસ્ટમને અપવાની લો. હવે બેંકમાં પૈસા જમા કરવા કે પેમેન્ટ કરવા માટે જવાની જરૂર નથી. ડિજિટલી બધું જ ટ્રાન્સફર થાય છે. દરેક બેંકોની એપ આવી ગઈ છે. આંગળીના ટેરવે બેંક આવી ગઈ છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો મહત્તમ ઉપયોગ કરતાં થાવ, રોકડની ચૂકવણી નાછૂટકે કરો. આટલી સરસ સગવડ હોવા છતાં ડિજિટલ બેંકિગનો ઉપયોગ કોઈ કરતું નથી, પણ હવે આ સમયની માગ છે. બિઝનેસ હોય કે જોબ… તેમાં આપ વર્ક ફ્રોમ હોમ કરો ત્યારે પેમેન્ટની બાબત આવે ત્યારે તમારી પાસે ડિજિટલ બેંકિંગ હોવું જોઈએ, તો વધુ સરળ બની જશે.
(3) વિડિયો કોન્ફરન્સ– તમામ કોર્પોરેટ ગૃહોએ વિડિયો કોન્ફરન્સ અપનાવી લીધી છે. કંપનીના વડા દેશના તમામ ખૂણેથી અધિકારી, કર્મચારી સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી શકે છે, મીટિંગ કરી શકે છે. કામનો ટાર્ગેટ આપી શકે છે. કામનો રીપોર્ટ પણ લઈ શકે છે. હાલ લૉક ડાઉનના સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા જ બધાંની સાથે વાત કરે છે, અને સૂચનો મેળવે છે. તેવી જ રીતે વિડિયો કોન્ફરન્સ કરો, તેનાથી પણ સમયની ઘણી બચત થઈ શકે છે, અને કન્વેયન્સ ખર્ચ પણ બચે છે. હજી કેટલીક કંપનીઓ રૂબરૂ મીટિંગ કરે છે, તેઓ વિડિયો કોન્ફરન્સ સ્વીકારતાં નથી. સ્ટાફને ખખડાવાનું રૂબરૂમાં જ વધારે અસરકારક હોય છે, તેવી માનસિકતા છે.
(4) આત્મનિર્ભર બનવું- તમે કોઈ બીજા પર આધાર ન રાખો. આવી મહામારી આવે ત્યારે આર્થિક રીતે તમને પરવડે તે રીતે વ્યવહાર કુશળ થઈને તમે સમગ્ર કામ કરી શકો, જરૂરિયાત પૂર્ણ કરી શકો. કોઈપણ કામ હોય ઓફિસનું કામ હોય કે ફેકટરીનું કામ અથવા તો આપણી જરૂરિયાતના સંદર્ભમાં આપણે આત્મનિર્ભર બનવું પડશે. કાલ સવારે મહામારીમાં તે ચીજવસ્તુ ન મળે તો પણ આપણે ચલાવી લઈશું, પણ આત્મનિર્ભર હોઈશું તો તે ચીજવસ્તુ આપણને મળશે. બીજું તમારે ઈન્કમના બે સોર્સ રાખવા પડશે, તેના પર વિચાર કરજો.
(5) બચત- બિઝનેસ કે કોર્પોરેટ કંપનીઓએ એક ઈમરજન્સી ફંડ અથવા તો જોગવાઈ કરવી જોઈએ. કોઈપણ આપત્તિ આવે ત્યારે તે ફંડ કે જોગવાઈનો ઉપયોગ કરીને આપણો બિઝનેસ કે કંપની ચાલુ રહી શકે. કર્મચારીઓનો સેલેરી પણ કરી શકીએ. હાલ છેલ્લાં મહિનાથી લૉકડાઉનમાં બધા વેપારધંધા બંધ છે, તો કર્મચારીઓને કંપની બંધ છતાં પગાર કરવાનો આવ્યો છે, ઘણીબધી કંપનીઓને તકલીફ પડશે. આવી તકલીફ ન પડે તે માટે આજ પછી ઈમરજન્સી માટે જોગવાઈ કરજો. કપરા સમયમાં તમારા કર્મચારીને પડખે તમે નહીં ઉભા રહો તો કોણ ઉભાં રહેશે?
બીજું જે નોકરી કરી રહ્યાં છે, સેલરી પર જ જેમનું ઘર ચાલે છે, તેમણે ત્રણ મહિનાની સેલરી બચત કરીને એકતરફ મૂકી દેવી જોઈએ, જેથી આવી આપત્તિજનક સ્થિતિમાં કામમાં આવશે. અથવા તો તમારી પાસે બેલેન્સ છે તો તમે કોઈને હેલ્પ પણ કરી શકો છો.
(6) બાર મહિનાનું અનાજકઠોળ ભરવું– ગુજરાતીઓ તો ખરા, ભારતમાં પણ કેટલાક ઘરોમાં બાર મહિનાનું અનાજકઠોળ ભરે છે. આવી કપરી સ્થિતિમાં બાર મહિનાનું અનાજકઠોળ ભરેલું હોય તો પછી દૂધ અને શાકભાજીની જ ચિંતા રહે છે. પાશ્ચાત દેશોમાં આવો કન્સેપ્ટ જ નથી. અઠવાડિયાનું લાવવાનું અને ખાવાનું અને મોજ કરવાની. વિશ્વના દેશોએ ભારતમાં બાર મહિના ચાલે તેટલા અનાજ-કઠોળ-મસાલા-તેલ ભરી લેવાનું સ્વીકારવું પડશે. લૉક ડાઉનમાં બધાંને તેનો અનુભવ થયો હશે.
(7) ખર્ચ ઘટાડો– જે જરૂરી હોય તેની ખરીદી કરો, વધારાનો કોઈ ખર્ચ હવે પછી ન કરો. વેપારધંધામાં તમે જેટલો ઓછો ખર્ચ કરશો તેટલો નફો વધશે. કોઈપણ નિર્ણય લેતાં પહેલા દસ વખત વિચારો, મનન કરો, તમારા પરિવાર સાથે ચર્ચા કરો, તમારી કંપનીના કર્મચારીઓના સૂચનો મેળવો, પછી તમારા નિર્ણયનો અમલ કરો અને પછી ખર્ચ કરો. વધુ પડતા ખર્ચ અને અવિચારી ખર્ચ તમને જોખમમાં મૂકી દે છે. માટે કોરોનાની મહામારી પછી આટલો ફેરફાર તો જરૂર કરજો અને તમારા સંતાનોને પણ ઉદાહરણ સાથે કહેજો. તેમને ચોક્કસ આ વાત ગળે ઉતરી જશે.
(8) મેડિકલ ક્ષેત્ર– મેડિકલ ક્ષેત્રમાં નવા ફેરફાર આવશે. રિસર્ચ સેન્ટરો વધુ સારી રીતે કામ કરી શકે તે માટે દરેક કંપનીઓ આર એન્ડ ડીને વધુ સ્ટ્રોંગ બનાવશે. કોરોના જેવી મહામારીની કોઈ દવા કે વેકસીન નથી, તેની શોધ ચાલી રહી છે. તેના જીનોમ્સ મળ્યાં છે. પણ હજી સુધી વિશ્વના દેશોના વૈજ્ઞાનિકોને તેની દવા કે વેકસીન શોધવામાં સફળતા મળી નથી. આ ક્ષેત્રે હજી વધુ ખેડાણ કરવું પડશે. કોરોના એક પડકાર સમજીને તેની વેકસીન શોધવી જ રહી.
(9) શિક્ષણ– હાલ ડિજિટલ ક્લાસનો કન્સેપ્ટ આવ્યો છે. ભણતરમાં પણ ડિજિટલ ક્લાસ આવી ગયાં છે. સ્કુલો કે કોલેજોએ ડિજિટલ ક્લાસ કરવા પડશે. સ્કુલ કે કોલેજમાં લેકચર માત્ર એક વાર સાંભળવા મળે છે, જ્યારે ડિજિટલ ક્લાસ તો તમે જ્યારે ચાહો ત્યારે સાંભળી શકો અને બેત્રણ વાર પર રીપીટ કરી શકો, જેથી રીવીઝન પણ થઈ શકે છે. સ્કૂલ અને કોલેજની તોતિંગ ફીનો વિકલ્પ તરીકે ડિજિટલ ક્લાસ ઉભરીને આવવાના છે.
(10) ઑનલાઈન ખરીદી– ઈ કોમર્સ કંપનીઓનો ટ્રેન્ડ હવે વધારે વધવાનો છે. કોરોના જેવી મહામારીમાં શોપિંગ મૉલમાં લોકો ખરીદી કરવા જવાનું ટાળશે. શોપિંગ મોલવાળાઓએ મોબાઈલ પર ઓર્ડર લઈને ફ્રી ડિલિવરી કરવી પડશે. આ દિશામાં જે વિચારશે તેના શોપિંગ મૉલ ચાલશે. બાકી હવે પછીના સમયગાળામાં શોપિંગ મૉલમાં ખરીદી કરવા જનારાની સંખ્યા ખૂબ ઘટી જવાની છે. ઑન લાઈન ખરીદી પર લોકો વધુ પસંદ કરશે.
(11) માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ વ્યાપક થશે. કોવિડ-19નો ઈલાજ નહી શોધાય ત્યાં સુધી દરેક માનવીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ફરજિયાત અમલ કરવો પડશે. તથા બહાર જતાં અને આવતાં સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરવો જ રહ્યો. જ્યાં વધુ ભીડ થાય છે, ત્યાં સેનિટાઈઝર મશીન મુકવા પડશે.
(12) પોલીસ અને મેડિકલ સ્ટાફ પ્રત્યે માનસમ્માન વધી જશે. હાલ મંદિરો બંધ છે, તો ડૉકટર અને મેડિકલ સ્ટાફ ભગવાનના સ્વરૂપમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. પોલીસ તમામને કોરોનાની ગંભીરતા સમજાવીને લૉક ડાઉનનું પાલન કરાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ રસ્તા પર ફરજ બજાવી રહ્યાં છે. પત્રકારો પણ કોરોના અને લૉક ડાઉનના સમાચાર તમારા સુધી પહોંચાડવા માટે જીવના જોખમે બહાર ફરીને રીપોર્ટિંગ કરી રહ્યાં છે. આવા કોરોના યોદ્ધાઓને સો સલામ કરીએ. આગામી દિવસોમાં પોલીસ, મેડિકલ સ્ટાફ અને પત્રકાર પર દેશ ગર્વ લેશે અને તેમના પર વિશ્વાસ અને સમ્માનમાં વધારો થશે.
(13) ક્રિકેટ– ક્રિકેટમાં બોલ ચમકાવવા માટે બોલર લાળનો ઉપયોગ કરતાં હતાં, પણ હવે તે લાળ લગાવી નહીં શકે. આઈસીસી બોલને ટેમ્પરિંગ કરવા માટે આર્ટિફિશયલ વસ્તુઓ જેવી કે લેધર મોઈસ્યૂરાઈઝર, મીણ કે શૂઝ પૉલીસના ઉપયોગને મંજૂરી આપશે, પણ તેના કેટલા ઉપયોગ અંગે નિર્ણય કરવો પડશે. બોલ ચમકે તો તેનાથી બોલરને સ્વીંગ મળી શકે છે માટે બોલર બોલ પર લાળ કે પરસેવો લગાવીને બોલ ચમકાવતાં હતાં.
(14) ધાર્મિક– ધર્મ આમ તો એકાંતિક પ્રવૃત્તિ છે પરંતુ આપણાં દેશમાં સામૂહિક ભક્તિ અને મંદિર દર્શને જવાનો અનોખો મહિમા છે. કોરોના લૉક ડાઉને આના પર અસર પાડી દીધી છે. ભક્તોએ હવે ઓનલાઇન દર્શનપૂજનની ગતિવિધિ વધારી છે તે આગામી સમયમાં જળવાઈ રહેવાની છે. જ્યાં જ્યાં ધાર્મિકસ્થાનો હશે ત્યાં ત્યાં સોશિઅલ ડિસ્ટ્ન્સિંગના પાલનને કારણે સંખ્યામાં બદલાવ જોવા મળશે. મંદિરમસ્જિદોમાં ભીડ ઓછી થશે. ચર્ચમાં પ્રાર્થનામાં પણ સંખ્યા ઘટી જશે.