વિશ્વ આખું કોરોના વાયરસની ચપેટમાં આવી ગયું છે. ભારતમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચને રવિવારે એક દિવસનો જનતા કરફ્યૂ આપ્યાં પછી 24 માર્ચે જાહેર જનતાજોગ સંબોધનમાં 21 દિવસના સંપૂર્ણ લૉક ડાઉનની જાહેરાત કરી હતી. લૉક ડાઉન હોવા છતાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, અને ધારો કે લૉક ડાઉન ન કર્યું હોત તો શું થયું હોત? તેનું કલ્પના ચિત્ર રચી જૂઓ… અત્યારે ભારતની જનતાને લૉક ડાઉન ભારે લાગી રહ્યું છે તો કેટલાક લોકોને તેમાંથી ઘણું શીખવા મળ્યું છે.
વિશ્વના કેટલાક દેશોએ લૉક ડાઉન નથી આપ્યું તો તેમની દશા આપણી સામે છે. અમેરિકા, ફ્રાન્સ, સ્પેન, બ્રિટન જેવા મેડિકલના હાઈ ઈક્વિપમેન્ટ ધરાવતાં દેશો છે, ત્યાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા અને મોતનો આંકડો જુઓ, તો ખબર પડશે કે ભારતે લૉક ડાઉનને સમયસર અમલમાં મૂક્યું છે. તેમ છતાં હજી કેટલાક ભારતવાસીઓ તેનો અમલ નથી કરી રહ્યાં. કોરોનાની ગંભીરતા સમજતાં નથી. તબલીગી જમાતના લોકોએ કોરોનાને ખૂબ જ હળવાશથી લીધો હતો, જુઓ આજે તેનું પરિણામ જમાતના લોકો અને દેશની સામે છે. કોરોના વાયરસની કોઈ રસી કે દવા નથી, એટલે તેને ગંભીર લેવાની વાત છે. હજી ભારતીયોને તેની ગંભીરતા નહીં સમજે તો ચીન અને અમેરિકા કરતાં વધુ માઠાં પરિણામ આવશે. માટે સૌ કોઈ ઘરમાં રહો અને સુરક્ષિત રહો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ‘જાન હૈ… તો જહાન હૈ…ֹ’ આ વાકય ઘણું બધું કહી જાય છે. એટલે આપણે બધા લૉક ડાઉનમાં રહીએ, પોલીસને પૂરતો સહકાર આપીએ. આપણે સુરક્ષિત રહીએ અને આપણો પરિવાર પણ સુરક્ષિત રહે.
લૉક ડાઉનમાં રહ્યાં પછી બધાંને ઘણી બધી ખબર પડી છે. ન જોયેલું અને ન ધારેલું જાણવા મળ્યું છે. પરિવાર કોને કહેવાય તેની સાચી ખબર પડી, આમ તો સોશિયલ મીડિયામાં ઘણાં બધા જોક ફરે છે અને બધા તેની મઝા લઈ રહ્યાં છે. એવા કેટલાક પોઈન્ટ છે જે અમે તારવ્યાં છે, કે લૉક ડાઉન ઘણું બધું શીખવી ગયું છે, અને આ પાઠ આજીવન યાદ રહેશે.
કોરોના વાયરસથી શું ખબર પડી..?
- લોકોને 24 કલાક ઘરમાં કેવી રીતે રહેવાય તેની ખબર પડી
- સાધુસંતો તપ કેવી રીતે કરતાં હશે..? તેની ખબર પડી
- પતિને પત્નીના કામની ખબર પડી
- બાળકોને માતાપિતાના પ્રેમની ખબર પડી
- વિભક્ત કુટુંબને સંયુક્ત કુટુંબ શું કહેવાય? તેની ખબર પડી
- વડીલોની ઘરમાં શું જરૂરિયાત છે? તેની ખબર પડી
- કંપનીઓને તેના કારીગરની કીમત શું છે..? તેની ખબર પડી
- વિદેશમાં વસતાં લોકોને ભારત(વતન) શું છે..? તેની ખબર પડી
- ભારતના શહેરમાં વસતાં લોકોને ગામડું શું છે..? તેની ખબર પડી
- ગામડાના લોકોને વાડીની કીમત શું છે..? તેની ખબર પડી
- શાળાના શિક્ષકને બાળકની વેલ્યૂ સમજાઈ
- ધમધમતા શહેરને લોકો શું છે..? તેની કીમતની ખબર પડી
- જે લોકો કહેતાં હતાં કે મારી પાસે સમય નથી તેને સમય શું છે..? તેની ખબર પડી
- પ્રકૃતિ શું કહેવાય..? તેની ખબર પડી
- પ્રકૃતિને હાનિ પહોંચાડવાથી શું થાય છે? તેની ખબર પડી..
- લોકોને પોતાના સ્વાસ્થ્યની કીમત શું છે? તેની ખબર પડી
- દેશમાં દરેક લોકોને સરકારી કર્મચારી શું છે? એની ઉપયોગિતા શું છે? અને એની કામગીરી શું છે? એની ખબર પડી
લૉક ડાઉન છે, આપણે લૉક ડાઉનમાં રહેવાનું છે, પણ અમુક વસ્તુ લૉક ડાઉન નથી. એ પણ સમજી લેવા જેવું છે.
બધું જ લૉક ડાઉન નથી
સૂર્યોદય, સૂર્યાસ્ત અને પવન લૉક ડાઉન નથી
ચંદ્ર, તારા અને ગ્રહો લૉક ડાઉન નથી
પંખીનાં ટહૂકા અને ચકલીની ચીંચીં લૉક ડાઉન નથી
પ્રેમ, દયા અને સહાનુભૂતિ કશું જ લૉક ડાઉન નથી
પરિવાર અને સગાવ્હાલાંનો સ્નેહ લૉક ડાઉન નથી
વાતચીત અને સંવાદ લૉક ડાઉન નથી
સર્જન, અનુભૂતિ અને સંવેદના લૉક ડાઉન નથી
પ્રાર્થના, ધ્યાન અને સ્મરણ લૉક ડાઉન નથી
જોયું…
આપણી હાયહાયઅને ‘આંધળી દોટ’ સિવાય કશું જ લૉક ડાઉન નથી
જે છે તે જાણીએ, માણીએ ને વખાણીએ…
માત્ર મન ને હૃદય લૉક ડાઉન ન થવા દઈએ
વિશ્વ કલ્યાણની મંગલ કામનાઓ લૉક ડાઉન ન થવા દઈએ
કંઈક નવું, અનોખું કરવાની ઈચ્છાઓને લૉક ડાઉન ન થવા દઈએ
લૉક ડાઉનમાં 21 દિવસ રહેવાનું છે, કાઠું પડે છે ને? કેમ પડે છે?
તો આ રહ્યો જવાબ…
જાત સાથે જીવવાની આદત નથી, માટે કાઠું પડે છે,
કંઈ ચલાવી લેવાની ફાવટ નથી, માટે કાઠું પડે છે
કોઈ સર્જનની આવડત નથી, માટે કાઠું પડે છે,
કુદરતને પામવાની ચાહત નથી, માટે કાઠું પડે છે!
પુસ્તકો સાથે મિત્રતા નથી, માટે કાઠું પડે છે,
સૌને ફોન કરવાની નમ્રતા નથી, માટે કાઠું પડે છે!
જીવનમાં સુસંગતતા નથી, માટે કાઠું પડે છે,
પરિવાર સાથે અંગતતા નથી, માટે કાઠું પડે છે!
ખુદની કોઈ સજ્જતા નથી, માટે કાઠું પડે છે,
જીવનમાં સહજતા નથી, માટે કાઠું પડે છે!
સહજ પ્રગટતો આનંદ નથી, માટે કાઠું પડે છે,
ટહૂકા સંભાળવાનું સંવેદન નથી, માટે કાઠું પડે છે!
ભીતરે પ્રગટેલી પૂર્ણતા નથી, માટે કાઠું પડે છે,
ઈશ્વર પરત્વે શ્રદ્ધા નથી, માટે કાઠું પડે છે!
(વાઈરલ મેસેજમાંથી સાભાર)
અત્યારે બધાંના ઘરમાં આ જ વાત છે કે લૉક ડાઉનમાં ઘરે કંટાળી ગયાં. કેમય કરીને દિવસો જતાં નથી. લૉક ડાઉન લંબાશે? તે વાત ખૂબ ચર્ચાઈ રહી છે. કોઈને ઘરમાં રહેવું ગમતું નથી. પણ હવે થાય શું? કોરોના વાયરસનો કોઈ રસ્તો નથી, માટે ઘરમાં રહીને ગમતું કામ કરો, પુસ્તકને તમારો મિત્ર બનાવી દો. અથવા કંઈક નવું સર્જન કરો, વાર્તા લખો, ધ્યાન કરો, પ્રભુ સ્મરણ કરો, સેવા કરો, જે ભાગદોડભરી જિંદગીમાં નથી કરી શક્યાં તે સતકર્મ કરો.