રાજ્યસભાની ચૂંટણીઃ કોંગ્રેસ પાર્ટી તૂટી… કોનો વાંક?

by Investing A2Z

રાજ્યસભાની ચૂંટણીએ ગુજરાત કોંગ્રેસનો પાયો હચમચાવી નાંખ્યો છે. ચાર બેઠકો માટે ભાજપના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા, બસ ત્યાર પછી શરૂ થયા રાજકીય ખેલ… કોંગ્રેસે તેમના ધારાસભ્યોને બચાવવા માટે જયપુરના રીસોર્ટમાં લઈ ગયા, તોય કોંગ્રેસના પાંચ ધારાસભ્યઓએ રાજીનામા ધરી દીધા છે. ભાજપે ઓપરેશન રાજ્યસભા કરી નાંખ્યું, અને કોંગ્રેસ ઊંઘતી રહી ગઈ, હવે કોંગ્રેસની સભ્ય સંખ્યા ઘટીને 63 થઈ ગઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ 3 બેઠક આસાનીથી જીતી  જશે. બીજી તરફ કોંગ્રેસ એક બેઠક હારી જશે. કોંગ્રેસ બેઠી થઈ રહી છે, કે પાછી તૂટી રહી છે, સત્તા વગર કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે કે પછી નેતાગીરીનો અભાવ છે. કોંગ્રેસનું મોવડીમંડળ ધારાસભ્યોને સાચવી નથી શકી, કે પછી યોગ્ય સમ્માન મળતું નથી. દિલ્હીથી કોંગ્રેસ દિશાવિહીન થઈ છે કે પછી કોંગ્રેસ પાસે કોઈ વીઝન નથી. ગુજરાત કોંગ્રેસે ખરેખર મનોમંથન કરવાની જરૂર છે.

ગુજરાત વિધાનસભાની 2017માં ચૂંટણી યોજાઈ હતી, તેના પરિણામ પર પહેલા એક નજર કરીએ તો ભાજપને 99 બેઠકો મળી, કોંગ્રેસને 77 બેઠકો મળી, એનસીપી એક બેઠક પર વિજેતા, ભારતીય ટ્રાયબલ પાર્ટી 2 બેઠક જીતી અને અપક્ષ 3 બેઠક પર જીત્યા હતા. ત્રણ વર્ષમાં કોંગ્રેસમાં ભારે ભંગાણ પડ્યું છે. 2018માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, અને હાલ તેઓ રૂપાણી સરકારમાં પ્રધાન છે. 2019માં જવાહર ચાવડા, ડૉ. આશાબહેન પટેલ, પુરુષોત્તમ સાબરિયા અને વલ્લભ ધારવિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, 2019માં રાજ્યસભાની ચૂંટણી હતી, ત્યારે અલ્પેશ ઠાકોર, ધવલ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા, અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા ભાજપની બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા અને હારી ગયા. 2020માં ફરીથી રાજ્યસભાની ચૂંટણી આવી છે, ત્યારે ભાજપ ત્રણ બેઠક જીતવા માટે ઓપરેશન પાર પાડ્યું, અને સોમાભાઈ પટેલ, પ્રવીણભાઈ મારૂ, જે.વી. કાકડિયા અને પ્રદ્યુમનસિંહ જાડેજા તથા મંગળભાઈ ગાવિતએ રાજીનામા ધરી દીધા છે. આમ કુલ પાંચ ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને રાજીનામા આપ્યા છે. સ્પીકરે વિધાનસભામાં સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી 12 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ચુક્યા છે. છેવટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પાંચ ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

વધુ ધારાસભ્યો કોંગ્રેસ ન છોડે કે ક્રોસ વોટિંગ ન કરે તે માટે તમામ ધારાસભ્યોને જયપુરના શિવવિલાસ રીસોર્ટમાં લઈ જવાયા છે.

મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની કમલનાથ સરકાર સંકટમાં છે. ડેપ્યૂટી સીએમ જ્યોતિરાદિત્ય સિંઘિયાએ રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની પાછળ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. આમ કોંગ્રેસની કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. 22 બળવાખોર ધારાસભ્યોમાંથી 6 બળવાખોર ધારાસભ્યના રાજીનામાં મંજૂર કરી દેવાયા છે. બે એમએલએનું નિધન થયું છે. જેથી હવે વિધાનસભાની પ્રભાવી સંખ્યા 222 થઈ ગઈ છે, જેમાંથી કોંગ્રેસ પાસે 92 સભ્યો છે, અને ભાજપ પાસે 107 સભ્યો છે. બહમતી સાબિત કરવા માટે 112 ધારાસભ્યોની જરૂર પડે છે. ભાજપને બહુમતી માટે હજી પાંચ ધારાસભ્યોની જરૂર છે.

આમ કોંગ્રેસમાં કટોકટી સર્જાઈ છે. કોંગ્રેસ કેમ તેમના પક્ષના નિશાન હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યો કોંગ્રેસને રામરામ કરી રહ્યા છે. ગુજરાતની કે દિલ્હીની કે મધ્યપ્રદેશની નેતાગીરી નબળી છે. શું ગણવું? ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ખબર જ નહોતી કે તેમના પક્ષના 4 ધારાસભ્યો રાજીનામું આપી આવ્યા હતા, તેઓ તો મીડિયા સમક્ષ ના પાડતા હતા, પણ સ્પીકરે સત્તાવાર રીતે 4 રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ત્યાર પછી કોંગ્રેસના હોંશ ઉડી ગયા હતા. વધુ ડેમેજ ન થાય માટે રાજીવ સાતવ અમદાવાદ દોડી આવ્યા હતા, પણ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો હતો. કોંગ્રેસમાં જ અંદરોઅંદર આંતરિક વિખવાદ વધુ દેખાઈ રહ્યો છે. પ્રદેશ નેતાગીરી દમ વગરની છે, વિપક્ષ જેવું દેખાતું ન નથી, એવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે દિલ્હીમાં પણ દમદાર નેતાગીરી રહી નથી. કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે, જો કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે એમ લાગતું હતું કે કોંગ્રેસ પક્ષ બેઠો થઈ રહ્યો છે, પણ રાજ્યસભાની ચૂંટણી આવી કે કોંગ્રેસમાંથી વિકટો ખરવી શરૂ થઈ.

મીડિયામાં રીપોર્ટ આવ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા લેવા માટે રૂપિયા 65 કરોડ ચુકવાયા છે. અમિત ચાવડાએ કહ્યું છે કે સીએમના ઘેરથી પૈસા ચુકવાયા છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ખરીદફરોત થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યો પૈસાથી કોંગ્રેસ છોડી છે, તેની પાછળ કારણો અનેક છે, પણ પૈસા મળે અને ભાજપમાં સ્થાન મળે… કોંગ્રેસ પાસે હાલ કોઈ એવી નેતાગીરી નથી કે તેમને સત્તામાં આવવાનો ચાન્સ મળે. અને કોઈ લાભ પણ મળવાનો નથી. કોંગ્રેસમાં માત્ર ધારાસભ્ય પદ સાચવી રાખવાનું રહે.

આ બધી રાજરમત અને પૈસાના ખેલથી ચૂંટણી જીતાશે. રાજકારણમાં કોઈ મોરલ જેવું કાંઈ હોતું નથી. કોઈ કોઈનો દોસ્ત કે દુશ્મન હોતો નથી. પણ એક વાત નક્કી છે કે કોંગ્રેસની ઢીલી નીતિ જવાબદાર રહી છે, અને કેન્દ્રીય લેવલે નેતાગીરી નબળી છે. જેથી મૂળ કોંગ્રેસીઓની પણ વિચારધારા બદલાઈ રહી છે.

Related Posts

Leave a Comment