ગુજરાતમાં સીઝનનો 95.17 ટકા વરસાદ, અનેક વ્યક્તિઓનું સ્થળાંતર અને રેસ્ક્યૂ કરાયું

by Investing A2Z

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યના ગોધરા, શહેરા અને વિરપુરમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તલોદ, બાયડ, ધનસુરામાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે. અન્ય પાંચ તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 95.17 ટકા થયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 138.52 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતના તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર ‘ઝીરો હ્યુમન લાઇફ લોસ’ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે તેમ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે.  છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.

તેમણે કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 12,444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

રાજ્યભરમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અને વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા બચાવ-રાહત પગલાંઓની સર્વગ્રાહી સમીક્ષા અંગે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન અને નિગરાનીમાં સમગ્ર તંત્ર સતત એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જ છે. આ સંદર્ભમાં પ્રવક્તા અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સહભાગી થયાં હતાં. તેમજ નીચે મુજબની સમીક્ષા થઈ હતી.

હાઈલાઈટ્સ

  • રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે ભારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી.
  • અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, પાણીમાં ફસાયેલા લોકોને NDRF અને SDRFની મદદથી બહાર કાઢવા સહિતની વિગતો તેમણે સંબંધિત કલેક્ટરો પાસેથી જાણી હતી.
  • આ બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
  • બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે,અત્યાર સુધીમાં રાજ્યના 8 જિલ્લાઓના 12,644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
  • અસરગ્રસ્ત જિલ્લાઓમાં આશ્રય સ્થાનોમાં જે લોકો આશ્રય લઈ રહ્યા છે તેમના માટે ફૂડ પેકેટ, મેડિકલ ટીમ વગેરેની વ્યવસ્થાઓ પણ સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે તેની પણ વિગતો ઋષિકેશ પટેલે મેળવી હતી. આ અંગે જે તે જિલ્લાઓ માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવા પણ તેમણે કહ્યું હતું
  • ભારે વરસાદને કારણે રાજ્યમાં હાઇવે તથા પંચાયત માર્ગોને જે અસર પડી છે ત્યાં મરામત કામગીરી ત્વરાએ હાથ ધરી સ્થિતિ પૂર્વવત કરવામાં આવે તેવા સૂચનો કર્યાં હતાં.
  • તેમણે કેન્દ્રીય હવામાન વિભાગના ડિરેકટર પાસેથી રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના અને હવામાનની સંભવિત સ્થિતિ ની જાણકારી પણ લીધી હતી.
  • પ્રવકતા પ્રધાને અસર ગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો, પીવાના પાણી અને રોડ કનેક્ટિવિટી ને જ્યાં અસર પહોંચી છે તે ઝડપ ભેર પૂર્વવત કરવા બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ સચિવોને સૂચનો કર્યા હતા.

Related Posts

Leave a Comment