વિઘાનસભાથી લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધત્વ મળે તે મોદીની ગેરંટી છે: નરેન્દ્ર મોદી

by Investing A2Z

ડાપ્રઘાન નરેન્દ્ર મોદી આજે 26 સપ્ટેમ્બર, 2023 ને શનિવારથી ગુજરાતના બે દિવસ પ્રવાસે છે. સંસદના વિશેષ સત્રમાં ઐતિહાસીક નારીશક્તિ વંદન અધિનીયમ 2023 બીલ સંસદમાં બહુમતી સાથે પસાર કરી નારીશક્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સાચા અર્થમાં સન્માન આપ્યું છે ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ ખાતે “નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન” કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારની યોજનાના મહિલા લાભાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એરપોર્ટથી કાર્યક્રમના સ્થળ સુધી રોડ શો થકી મહિલાઓનું અભિવાદન સ્વીકાર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ માતૃભૂમિ ને વંદન કરી સંબોધન કરતા જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત માતા અને બહેનોના ચહેરામાં એક અલગ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. આનંદ થાય તે સ્વભાવિક છે કારણકે તમે જે વિશ્વાસ સાથે મને દિલ્હી મોકલ્યો તે વિશ્વાસને વધારનારુ એક કામ મે દિલ્હીમાં કર્યુ છે. નારી શક્તિ વંદન અધિનીયમ એટલે વિઘાનસભાથી લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધત્વ મળે તે મોદીની ગેરંટી છે. મહિલા અનામતનું સ્વપ્ન વર્ષો પહેલા ગુજરાતની ધરતીથી આપણે સાથે મળી જોયુ હતું અને આજે આ સંકલ્પની સિદ્ધી સાથે તમારી સમક્ષ ઉપસ્થિત છું.

પીએમ મોદી એ રક્ષાબંધન તહેવારની વાત કરતા જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાતની બહેનોએ રક્ષાબંધન પર મને ખૂબ રાખડીઓ મોકલી હતી. રાખડી મળે એટલે ભાઇ તરફથી એક ભેટ આપવાનો પણ રિવાજ છે. મે આ વખતે બહેનો માટે ગીફટ પહેલાથી જ તૈયાર કરી રાખી હતી. આજે કહી શકું છું કે નારી શક્તિ અધિનીયમ દેશની બહેનો માટે ગીફટ છે. નારી શક્તિ વંદન અધિનિયમ બહેનોના અધિકારની ગેરંટી છે, બહેનોના સ્વપ્ન પુરા થશે તેની ગેરંટી છે, દેશની નારી શક્તિના સામર્થ્યનું સન્માન છે, વિકસીત ભારતની ગેરંટી છે. નારી શક્તિ અધિનીયમ પસાર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આઝાદીના વર્ષો વિત્યા તેમ છતા નારી શક્તિના સામર્થ્યને ન્યાય મળ્યો ન હતો. મહિલાઓની ભાગીદારી વગર દેશ ઝડપથી વિકાસ ન કરી શકે. ગુજરાતમાં પરિવાર,સમાજ અને સ્ટેટ એમ ત્રણેય સ્તર પર મહિલા સશક્તિકરણ પર ઘણા અભિયાન ચલાવ્યા હતા. દરેક સ્તર પર મહિલાઓનું પ્રતિનિધત્વ વધારવા સમરસ પંચાયતનો પ્રયોગ શરૂ કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ એક જવાબદાર રાજકીય પાર્ટી હોવાથી જનહિત માટે ઘણા નિર્ણયો કર્યા અને નવી રાજકીય પરંપરા શરૂ કરી. સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ચાર મહત્વના પદ મેયર, ડે.મયેર, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન અને પક્ષના નેતાનું પદ એક મહિલા રીઝર્વ રાખવાનો પ્રયાસ કર્યો. ગુજરાતમાં વર્ષો પહેલા જેન્ડર બજેટનો એક અનોખો પ્રયાસ કર્યો હતો. બહેનો અને મહિલાના સર્વસમાવેશી વિકાસ માટે સર્વગ્રાહી નારી ગૌરવ નીતી બનાવનાર ગુજરાત દેશનું પહેલુ રાજય હતું. ગુજરાતમાં પોલીસ સહિત સરકારી ભરતીઓમા મહિલાઓ માટે 33 ટકા અનામત છે. ગુજરાતમાં પશુપાલનમાં 65 ટકા ભાગીદારી મહિલાઓની છે અને એકલા ગુજરાતમાં ડેરી ક્ષેત્રમાં 35 લાખથી વઘુ મહિલાઓ સક્રિય ભાગીદારી કરી રહી છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આદિવાસી મહિલાઓને સશક્ત કરવા માટે વન વ્યસ્થાપક મંડળીઓમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં મહિલાઓને સ્વરોજગાર મળે તે માટે મહિલા આર્થિક વિકાસ નીગમની શરૂઆત કરવામાં આવી. મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે મિશન મંગલમની શરૂઆત કરવામાં આવી. મહિલા નેતૃત્વની શરૂઆત સૌ પ્રથમ ગુજરાતથી કરવામાં આવી. ગુજરાતમાં પાણી સમિતિની વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે. ગુજરાતને યુનાઇટેડ નેશન અને કોમન વેલ્થ એસોશિયેશ દ્વારા બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા. પાછલા નવ વર્ષોમાં મહિલાઓના વિકાસ માટે ખૂબ કામ કર્યુ. આજે દેશમાં ઇન્ડસ્ટ્રી હોય કે રમતનું મેદાન દિકરીઓ દેશનું ગૌરવ વધારી રહી છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, મહિલાઓની વધતી તાકાતનું પરિણામ છે કે નારી શક્તિ વંદન અધિનીયમ સંસદમાં બહુમતી સાથે પસાર થયું. જે લોકોએ વર્ષો સુધી બીલ લટકાવી રાખ્યુ તેમને પણ મહિલાઓના ડરથી બીલનું સમર્થન કરવામાં મજબુરીમાં મત આપવો પડયો. વિપક્ષોએ બહાના કરી મહિલાઓને અલગ અલગ વર્ગોમાં વહેંચી તાકાતને કમજોર કરવાનું ષડયંત્ર રચ્યું પરંતુ સરકારની તાકાત જોઇ તેમને સમર્થનમાં મત આપવો પડયો. આ બીલ પસાર થવાથી ટૂંક સમયમાં મહિલાઓ લોકસભા અને વિધાનસભામાં મોટી સંખ્યામાં પહોચશે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની નારી શક્તિને વધુ સશક્ત કરવાનું કામ કર્યુ છે. દેશની મહિલા શક્તિના આશિર્વાદ અને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ઐતિહાસીક નિર્ણય થયો છે. નારી શક્તિ બિલ દેશનું ભાગ્ય બદલશે. ત્રીપલ તલાક, કલમ 370 દુર કરવી અને નારી શક્તિ અધિનીયમ તેમના નેતૃત્વમાં અમલી થશે. નારી શક્તિ વંદન અધિનીયમ નવા ભારતની નવી લોકતાંત્રીક પ્રતિબદ્ધતાનો ઉદ્ઘોષ છે. આ સામાન્ય બીલ નથી. દેશમાં મહિલાઓનું જીવન સ્તર સુઘારવાની વુમન લેડ ડેવલોપમેન્ટનો યુગ લાવવાની નરેન્દ્રભાઇ મોદીની ગેરેંટીનું પ્રત્યેક્ષ પ્રમાણ છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ એ સંબોધન કરતા જણાવ્યું કે, કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા મહિલાઓની તાકાતને અવગણીને અન્યાય કરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક વખત મહિલા અનામત બિલ પરત કરી તેનું અપમાન કરી મહિલાઓને અન્યાય કર્યો હતો જેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દૂર કર્યો છે.  નવી સંસદમાં લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને અનામત મળે તે માટે બીલ પસાર કર્યુ. મહિલા અનામત બિલને વિરોધ પક્ષ જો સમર્થન ન આપે તો દેશની મહિલા સામે વિપક્ષ ગુનેગાર સાબિત થાય તેવુ વાતાવરણ બનાવ્યું હતુ. જેના કારણે તેમને સમર્થન આપ્યુ. આ દેશની મહિલાઓ વર્ષોથી લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત માટે પ્રયત્ન કરી રહી હતી પરંતુ તેમની આ ઇચ્છા આદરણીય વડાપ્રધાન મોદીએ પુરી કરી. સંસદમાં મહિલા અનામત બીલ બહુમત સાથે પસાર કરી પહેલી વખત ગુજરાત આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા આવ્યા છે.

આ કાર્યક્રમમાં રાજયના પ્રધાન ભાનુબેન બાબરીયા, અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન, જિલ્લા પંચાયચના પ્રમુખ કંચનબેન વાઘેલા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપિકાબેન સરડવા, મહિલા સાંસદો અને ધારાસભ્યો તેમજ ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

Leave a Comment