
ગુજરાતમાં PMJAY અંતર્ગત એમ્પેનલ્ડ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વ્રારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા, ગુજરાત સરકાર દ્વારા “PMJAY” યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી PMJAY-મા યોજના હેઠળ એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે મુખ્ય ત્રણ પ્રોસિઝર કાર્ડિયાલોજી, નિઓનેટલ અને ઓન્કોલોજી(કેન્સર) માટે નવીન માર્ગદર્શિકા (SOP)જાહેર કરી હતી.
આ નવી માર્ગદર્શિકા જાહેર કરતા તેમણે કહ્યું હતુ કે, ગેરરીતિ કે ગુનાહિત પ્રવૃતિને કોઇપણ અવકાશ ન રહી જાય તે તમામ બાબતોનું ધ્યાન રાખીને નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. માનવતાને નેવે મૂકીને દર્દીઓના જીવ સાથે ચેડા કરતા લોકોની આ પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે જે માટે સરકાર હંમેશા થી પ્રતિબધ્ધ છે.
PMJAYની નવીન માર્ગદર્શિકા જાહેર કરતા આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, PMJAY યોજના હેઠળ મળતી વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૈકી મુખ્યત્વે કાર્ડિયોલોજી, રેડિયોલોજી, નિયોનેટલ સેવાઓ અને TKR/THR (Total Knee replacement/Total Hip replacement) જેવી સેવાઓ માટે નવીન SOP બનાવવામાં આવી છે. જેથી ભવિષ્યમાં કોઇપણ ખાનગી હોસ્પિટલ ગાઈડલાઈનનો ભંગ ન કરી શકે.
કાર્ડિયોલોજી સેવાઓ

જે અંતર્ગત દર્દીના હીતમાં શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઇમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય.
આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા પણ આવશ્યક રહેશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફ્ક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે.
હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિ-ઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં આ CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.
કેન્સર સારવાર

જેમાં કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરિકે નિર્ણય લઇને ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટમાં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરાશે. આ સાથે જ, ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું પણ ફરજીયાત રહેશે.
કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
તેમણે આ સંદર્ભે ઉમેર્યું કે, દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT એટલે કે, ઇમેજ ગાઇડેડ રેડિએશન થેરાપીમાં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ કિલો વોટમાં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે. સાથે જ, રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કંટ્રોલના માપદડનું પાલન કરી હોસ્પિટલે ફરજીયાતપણે રેકોર્ડ નિભાવવાનો રહેશે.
આ ઉપરાંત મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખનું કેન્સર, યોની માર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય છે. આવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં, તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
નિયોનેટલ કેર

આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સમયાંતરે નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટની મુલાકાત લઇ રિપોર્ટ સ્ટેટ હેલ્થ એજન્સીને રીપોર્ટ સબમિટ કરવાનો રહેશે. જેના માટે ઓનલાઈન વિઝિટ મોડ્યૂલ પોર્ટલ પણ ટૂંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનીટર કરી શકાય. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશ્યાલિટીમાં એમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઇમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવ્યા છે. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાનો રહેશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ઓર્થોપ્લાસ્ટી
નોંધનીય છે કે, અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજના હેઠળ TKR/THR (Total Knee Replacement/Total Hip Replacement) માટેની નવીન SOP બનાવવામાં આવી હતી. જેમાં TKR/THR માટેના ઓપરેશન કરતી હોસ્પિટલોએ “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા”ના કેસોની સારવાર પણ આપવાની હોવાથી “ઓર્થોપ્લાસ્ટી”નાં ઓછામાં ઓછા 30 ટકા કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. જેમાં આ રેશીયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી પણ કરવામાં આવે છે. સાથે જ, હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી આ રેશીયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને “ઓર્થોપ્લાસ્ટી” સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. PMJAY યોજના અંતર્ગત જોડાયેલી કુલ 75 હોસ્પિટલને રૂ. 3.51 કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવી છે.

અમુક કિસ્સાઓમાં ડોકટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કરવા ઉપરાંત મેડિકલ કાઉન્સિલ દ્વ્રારા પણ જરૂરી પગલા લેવામાં આવ્યા છે.