ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર

by Investing A2Z

ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે.  ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે. આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધાજ ખેડૂતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ કોઇ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી આ યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો  છે.

મુખ્યપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે આ યોજનાનો લાભ રાજ્યના નાના મોટા સિમાંત બધાજ ખેડૂતોને આવરી લેવાયા છે. રાજ્યના અંદાજે પ૬ લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહિ આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ યોજના સરળ અને પારદર્શી છે તેની ભૂમિકા આપતાં મુખ્યપ્રધાને જણાવ્યું કે પાક વીમા યોજનામાં જે ખેડૂતોએ પ્રિમીયમ ભર્યુ હોય તેને જ લાભ મળતો હતો, હવે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કોઇ પ્રિમીયમ ભર્યા વગર સહાય મળતી થશે.એસ .ડી.આર.એફ.ના લાભો યથાવત રાખીને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે.

મુખ્યપ્રધાને આ યોજનાની વિસ્તૃત વિગતો મીડિયા સમક્ષ આપતા જણાવ્યું કે આ યોજના હેઠળના ત્રણ પ્રકારના જોખમોમાં સહાય આપવાનો અભિગમ છે. (૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ) (ર) અતિવૃષ્ટિ અને (૩) કમોસમી વરસાદ (માવઠું)

જોખમોથી થયેલ પાક નુકશાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણો અને અન્ય વિગતો તેમણે આપી.

(૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ)ના કિસ્સામાં:-

જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી તા. ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.

૨. અતિવૃષ્ટિ હોય તેવી સ્થિતીમાં :-

તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે

(૩) કમોસમી વરસાદ (માવઠું)ની સ્થિતી સજાર્ય ત્યારે:-

૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું)નું જોખમ ગણવામાં આવશે.

યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા  અંગે ની જાણકારી આપતાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડૂત લાભાર્થી ગણાશે. ખરીફ ૨૦૨૦માં યોજના અમલમાં મુકાશે. આ યોજનાના લાભ માટે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાયના ધોરણો અંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ % થી ૬૦ % માટે રૂ. ૨૦,૦૦૦/-(વીસ હજાર) પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ % થી વધુ નુકશાન માટે રૂ. ૨૫,૦૦૦/-(પચીસ હજાર) પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

  • રાજ્યના પ૬ લાખથી વધુ તમામ ખેડૂતોને ખરીફ ઋતુના તમામ પાકો માટે આવરી લેતી યોજના  
  • ખરીફ ર૦ર૦માં યોજના અમલી થશે
  • કોઇ પણ પ્રિમીયમ ભર્યા વિના રાજ્યના ધરતીપુત્રોને મળશે યોજનાકીય લાભ
  • અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું ત્રણ પ્રકારના જોખમો આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
  • એસ.ડી.આર.એફ.ના લાભ પણ મળવાપાત્ર રહેશે
  • રાજ્યના રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર
  • FRA હેઠળના સનદ ધારક ખેડૂત લાભાર્થી ગણાશે
  • ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાની ટકાવારી ૩૩ થી ૬૦ ટકા હોય તો પ્રતિ હેકટર રૂ. ર૦ હજારની સહાય વધુમાં વધુ ૪ હેકટરની મર્યાદામાં અપાશે
  • ૬૦ ટકાથી વધુ પાક નુકશાની હોય તો પ્રતિ હેકટર રૂ. રપ હજારની સહાય મહત્તમ ૪ હેકટરની મર્યાદામાં અપાશે

આ યોજનાની અન્ય અગત્યની જોગવાઈઓમાં આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.

  • ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે PORTAL તૈયાર કરાશે.
  • લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.
  • લાભાર્થી ખેડૂતોનાં પ્રશ્નોના ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે.
  • ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • વિજય રૂપાણીએ આ યોજના અન્વયે પાક નુકસાન અંતર્ગત ગામો/તાલુકા/વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયાની જે માહિતી આપી
  • અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું)ના કારણે પાકને નુકસાન થાય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવશે.
  • ઘટના બન્યાના સાત દિવસની અંદર કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની (મહેસુલ વિભાગની) મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે.
  • રાજ્ય સરકારની (મહેસુલ વિભાગ) દરખાસ્ત મળ્યાના ૭ દિવસમાં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર/ગામ/તાલુકાની યાદી મંજૂરીના હુકમો કરશે.
  • મુખ્યપ્રધાને પાક નુકશાનનાં સર્વેની કામગીરી અંગે જણાવ્યું કે…
  • રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે ટીમો બનાવી અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારના અસરગ્રસ્ત ખેતરોનો પંચનામા સહિતનો સર્વે ૧પ દિવસમાં કરાવશે.
  • સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહીવાળા હુકમથી જાહેર કરશે
  • આ યાદી ૩૩% થી ૬૦% અને ૬૦%થી વધુ નુકસાન એમ બે પ્રકારના નુકશાનની યાદી જાહેર થશે.

Related Posts

Leave a Comment