કોરોના મહામારી દરમિયાન આરોગ્ય માર્ગદર્શિકા જાણો…

by Investing A2Z

ખી દુનિયામાં કોરોના વાયરસ(નોવલ કોવિડ-19)ની મહામારીના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને કોરોનાના કેસની સંખ્યામાં સતત ખૂબ વધારો થઇ રહ્યો છે. કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી લૉક ડાઉન સહિત સંખ્યાબંધ કડક પગલાં લીધા હોવા છતાં, આપણે સૌ આ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરીએ અને આ બીમારીના સંક્રમણની સાંકળ તોડવા માટે જરૂરી પગલાં તેમજ સાવચેતી લઇએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વૃદ્ધ લોકોને કોવિડ-19નો ચેપ લાગવાનું જોખમ ઘણું વધારે હોય છે, કારણ કે તેમનામાં રોગ સામે લડવાની પ્રતિકારક શક્તિ અને શારીરિક તાકાત ઘણી ઓછી હોય છે. તેમજ તેઓ ડાયાબિટિસ, તણાવ, કિડનીની લાંબી બીમારી, ફેફસાને લગતી લાંબી બીમારી સહિત બહુવિધ રોગોથી પીડાતા હોય છે. ઉપરાંત, વૃદ્ધોમાં આ બીમારીનો ફેલાવો વધુ ગંભીર હોવાથી મૃત્યુદર ઘણો વધારે જોવા મળે છે.

નીચે દર્શાવેલા કેટલાક પગલાં અનુસરવાથી વૃદ્ધ લોકોમાં કોવિડ-19ના સંક્રમણને ઘટાડી શકાય છે:

આટલું કરવું

  1. ઘરમાં જ રહેવું, ઘરમાં મુલાકાતીઓને મળવાનું ટાળવું. જો મળવું આવશ્યક હોય તો ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું.
  2. નિયમિતપણે થોડાથોડા સમયના અંતરે તમારા હાથ અને મોં સાબુ તેમજ પાણીથી ધોવા.
  3. ઉધરસ અને છીંક ખાતી વખતે ખભો કે કોણીનો ભાગ આડો રાખવો અથવા ટીશ્યુ પેપર/હાથ રૂમાલ આડો રાખવો. ઉધરસ અથવા છીંક ખાધા પછી ટીશ્યુ પેપરનો નિકાલ કરવો/તમારો હાથરૂમાલ ધોઇ નાંખવો.
  4. ઘરે રાંધેલું તાજું અને ગરમ ભોજન લઇને શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષણ જાળવવું, વારંવાર પાણી પીવું અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફળોનો રસ પીવો.
  5. નિયમિતપણે કસરત અને ધ્યાન કરો.
  6. ડૉક્ટરે દરરોજ લેવા માટે સૂચવેલી દવા નિયમિત લેવી.
  7. તમારા પરિવારના સભ્યો (તમારી સાથે ન રહેતા હોય તેવા) સંબંધીઓ, મિત્રો સાથે કૉલ અથવા વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરો, જો જરૂર લાગે તો પરિવારના સભ્યોની મદદ લો.
  8. જો તમારે કોઇ વૈકલ્પિક સર્જરી કરાવવાની હોય જેમકે મોતિયાનું ઓપરેશન અથવા ઘુંટણની ફેરબદલી વગેરે તો હાલમાં મુલતવી રાખો.
  9. વારંવાર સ્પર્શ કરવામાં આવતી સપાટીને ડિસઇન્ફેક્ટન્ટથી નિયમિત સાફ કરો.
  10. તમારા સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખો. જો તાવ, ઉધરસ અને/અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય તો તાત્કાલિક નજીકમાં સ્વાસ્થ્ય સંભાળ સુવિધાની મુલાકાત લો અને તબીબી સલાહનું પાલન કરો.

આટલું ન કરવું

  1. ખુલ્લા હાથમાં અથવા તમારો ચહેરો ઢાંક્યા વગર ઉધરસ કે છીંક ખાશો નહીં.
  2. જો તમને તાવ કે ઉધરસ હોય તો તમારા પરિચિતોની નજીક જશો નહીં.
  3. તમારી આંખો, નાક અને જીભને સ્પર્શ કરશો નહીં.
  4. અસરગ્રસ્ત/બીમાર વ્યક્તિની નજીક જશો નહીં.
  5. જાતે કોઇ દવા લેવી નહીં.
  6. તમારા મિત્રો અને આપ્તજનો સાથે હાથ મિલાવશો નહીં તેમજ ભેટશો નહીં.
  7. નિયમિત તપાસ માટે અથવા ફોલોઅપ માટે હોસ્પિટલ જશો નહીં. શક્ય હોય ત્યાં સુધી તમારા સ્વાસ્થ્ય સંભાળ પ્રદાતા સાથે ટેલિફોનથી વાત કરીને તેમની સલાહ લેવી.
  8. પાર્ક, બજાર અને ધાર્મિક સ્થળો જેવી ભીડવાળી જગ્યાએ જવું નહીં.
  9. તદ્દન આવશ્યકતા ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં.

Related Posts

Leave a Comment