ગાંધીનગર– ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ભારત-પાકિસ્તાન (India Pakistan War) વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. (Gandhinagar Gujarat) ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ (Highalert in Gujarat) પર મૂકવામાં આવેલા છે. તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ (Gujarat Police) અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી. (Operation Sindoor)
મુખ્યપ્રધાન શુક્રવારે સવારે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (Gujarat State Emergency Operation Center) પહોંચ્યા હતા અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghavi) અને મુખ્યસચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં સરહદી વિસ્તારના કચ્છ અને બનાસકાંઠા તથા પાટણ અને જામનગર જિલ્લાઓ સહિત રાજ્યની એકંદર સ્થિતિની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.
તેમણે ખાસ કરીને પ્રવર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ (Control Room) અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (Emergency Operation Center) સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
મુખ્યપ્રધાને આપાતકાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી.
મુખ્યપ્રધાને હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થાનો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ સૂચનો કર્યા હતા. આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સજ્જ રહે તેવા નિર્દેશો આપ્યા છે.
સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબાઇલાઈઝેશન અને ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચનાઓ પણ મુખ્ય જિલ્લાના વડાઓને આપી હતી. તેમણે લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકાર ના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્ર એલર્ટ મોડ પર રહીને તત્કાલ કાર્યવાહી કરે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, BSF અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરતાં તેમને જરૂરીયાત મુજબની મદદ રાજ્ય સરકાર દ્વારા ત્વરાએ મળશે તેવી ખાતરી આપી હતી.
આ બેઠકમાં મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય ઉપરાંત મહેસુલ, ઊર્જાના અધિક મુખ્ય સચિવો, શહેરી વિકાસ, ઉદ્યોગ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા, શહેરી વિકાસ, વાહન વ્યવહાર અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના વિભાગોના અગ્ર સચિવો, મુખ્યપ્રધાનો સચિવ અવંતિકા સિંઘ અને કેન્દ્રીય એજન્સીઓ એરફોર્સ તેમજ લશ્કર અને BSF અધિકારીઓ જોડાયા હતા.