અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદમાં આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતાં 108 વ્યક્તિઓને ગૃહ રાજયકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં હતા. આ અવસરે ગૃહ રાજયકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીએ “કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, ‘મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.’ એટલુ જ નહિ આજે વસુધૈવ કુટુંબકમની ભાવના સાર્થક થઈ છે.
આ અવસરે ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને અભિનંદન પાઠવતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે.
આ સંદર્ભમાં ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે, આજે અમદાવાદમાં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા 108 પરિવારોના ઘરોમાં દિવાળી જેવો એક માહોલ છે કેમ કે આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે. ઘરમાં એક બાળકનો જન્મ થાય ત્યારે કેવો ખુશીનો માહોલ હોય છે તેઓ જ માહોલ આજે આપ સૌના પરિવારજનોમાં દેખાઈ રહ્યો છે.
ગૃહ રાજયકક્ષાના પ્રધાને વધુમાં કહ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ છે. સ્થળાંતરિત થયેલા લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે 108 નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહ્યા છે.
ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે એને પરિણામે જ આજે તમે ભારતના નાગરિક બની શક્યા છો. વડાપ્રધાનના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે, એ શક્ય બન્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભારતીય નાગરિકતા ધારણ કરનારા સૌનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. દર વર્ષે આ દિવસને તમે જન્મ દિવસની જેમ જ ઊજવશો, એવો વિશ્વાસ છે. આજથી તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ ઉઠાવી શકશો. ગુજરાતમાં તમે સૌ સલામતીનો અનુભવ કરી શકશો, એવી ખાતરી હર્ષ સંઘવીએ સૌને આપી હતી.
ગૃહ રાજ્યકક્ષાના પ્રઘાન હર્ષભાઈ સંઘવીએ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1149થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટર તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વહીવટી ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓના ચહેરા પર ભારતીય નાગરિકતા મળ્યાનો સંતોષ વર્તાતો હતો. લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરીક હૈ… :- ગૃહરાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી
પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણ પત્ર એનાયત કરાયા.@CMOGuj @sanghaviharsh pic.twitter.com/2c9QYNhTeK
— harshoza (@harshoza03) September 12, 2023
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરે ભારતનું નાગરિકત્વ મેળવનારા 108 હિંદુઓને અભિનંદન પાઠવ્યા હતા તથા પાકિસ્તાનના નિર્વાસિત હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવા સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 1149 પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
આ અવસરે અમદાવાદના કલેકટર પ્રવીણા ડી.કે, અમદાવાદના સર્વે ધારાસભ્યો, સિંધ માયનોરિટી માયગ્રન્ટ્સ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ કરનાર 108 લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.