પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે: ઋષિકેશ પટેલ
28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ 20 ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે
વર્ષ 2025-26 નું બજેટ ગુજરાતના વિકાસની નવી કેડી કંડારનાર હશેઃ પ્રવક્તા પ્રધાન
પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર અંગે પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે. 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે. નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે.
આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ 2025 ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે, એમ ઋષિકેશ પટેલે કહ્યું હતું.
આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.