રાજકોટ- અમદાવાદમાં થયેલ દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં (Air India Plane Crash In Ahmedabad) અણધારી ચિરવિદાય લેનાર સરળ, સૌમ્ય અને નિખાલસ વ્યક્તિત્વના ધની, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની રાજકીય સન્માન સાથે રાજકોટ ખાતે અંતિમવિધિ કરાઇ હતી. (Gujarat Former CM Vijay Rupani)
DNA મેચ થયા બાદ આજે સોમવારે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી (Ahmedabad Civil Hospital) વિજયભાઈ રૂપાણીનો નશ્વર દેહ ગાર્ડ ઓફ ઓનર સાથે પરિવારને સોંપાયો હતો. ત્યારબાદ અંતિમક્રિયા માટે તેઓના પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લાવવામાં આવ્યો હતો.
એરપોર્ટથી નિવાસસ્થાન તેમજ નિવાસસ્થાનેથી રામનાથ પરા સ્મશાન સુધી અંતિમયાત્રાના સમગ્ર રૂટમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો વિજયભાઈ રૂપાણીને અશ્રુભીની આંખે આખરી વિદાય આપવા ઉમટ્યાં હતાં. અંતિમયાત્રામાં સમગ્ર રાજકોટ હિબકે ચડ્યું હતું અને લાગણીસભર દૃશ્યો સર્જાયા હતાં. (Vijaybhai Rupani’s last rites were performed in Rajkot)
વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેઓના રાજકોટ નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતો. વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિતભાઈ શાહ (Amit Shah) , રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvrat), મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel), ભાજપાના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (C R Patil), પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, બિહારના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગુજરાત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ પક્ષના સંગઠનના પદાધિકારીઓ અને સિનિયર આગેવાનો, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, સૌરાષ્ટ્રના વિવિધ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પદાધિકારીઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો-મહંતો તેમજ વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થના સભા
વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા રૂપાણી પરિવાર દ્વારા 17 જૂન, મંગળવારે રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે બપોરે 3 થી 6 કલાકે તેમજ 19 જૂન, રવિવારે એક્ઝીબિશન સેન્ટર હોલ-1, હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે સવારે 9 થી 12 કલાકે પ્રાર્થના સભા યોજાશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 20 જૂન, શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે.
વિજયભાઈ રૂપાણીના આત્માને પ્રભૂ સદગતિ આપે, તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાજંલિ….