ગુજરાતમાં ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થયા પછી ગુજરાત સરકારે 1 પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, તેમજ ધોરણ 9થી 12ના ટયૂશન કલાસ ચાલુ કરવા પરવાનગી આપી છે. તે માટે સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે આગામી 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગોનું શિક્ષણકાર્ય શરૂ કરાશે અને ધોરણ 9થી 12 પૂરતા ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરી શકાશે. ધોરણ 9 અને 11ના શાળાના વર્ગો તેમજ ધોરણ 9થી 12ના ટયૂશન કલાસીસ શરૂ કરનારી શાળા-સંસ્થાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા S.O.Pનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય અંગે વધુ માહિતી આપતાં ચૂડાસમાએ કહ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીના પરિણામે કોરોનાનું સંક્રમણ ઘટતું જાય છે અને કેસોની સંખ્યા પણ ઘટી રહી છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ બગડે નહીં એ માટે આ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ જણાવ્યું કે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ કલાસીસ પણ રાજ્યમાં પૂન: શરૂ કરી શકાશે. આવા કોચિંગ કલાસીસ માટે પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જારી કરેલી માર્ગદર્શિકા S.O.Pનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે.

ફાઈલ ફોટો
ગુજરાતમાં કાર્યરત સરકારી, ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં હવે તા.1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને તે જ રીતે ખાનગી ટ્યૂશન ક્લાસીસ પણ ધોરણ 9થી 12ના વર્ગનું સંચાલન શરૂ કરી શકશે, પરંતુ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈનની જે SOP અગાઉ ધો. 10 અને 12ના તેમજ ઉચ્ચશિક્ષણમાં કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરતાં પહેલાં તા.8 જાન્યુઆરીએ જાહેર કરેલી છે તે SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોલેજની હોસ્ટેલમાં covid-19 સંદર્ભે કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યા હતા, આ સેન્ટરો સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવ દ્વારા આવા કેર સેન્ટરની સંપૂર્ણ ચકાસણી કરીને, સેનિટાઈઝેશન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને રહેવાલાયક છે એવી ચકાસણી કર્યા પછી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરાશે.