ગુજરાતમાં 11 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા, સરકારની તૈયારીઓ કેવી છે?

by Investing A2Z

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10 અને 12ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલીત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

આગામી તા. 11 થી 22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે, જેમાં રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ ઉપરાંત તા. 31 માર્ચ 2024ના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં આગામી 11 માર્ચથી 31 માર્ચ સુધીમાં કુલ 16,76,739 વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપીને પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરશે તેમ, લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

હાઈલાઈટ્સ

  • તા. 31 માર્ચના રોજ 1.37 લાખ વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા આપશે
  • ધોરણ 10માં રાજ્યભરના 84 ઝોનમાં 981 કેન્દ્રો તેમજ ધોરણ 12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહમાં કુલ 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
  • તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ
  • PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીના ટ્રેકિંગની વ્યવસ્થા
  • પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પહોંચી શકાશે
  • પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળ ઉપર સમયસર પહોંચે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત જઈ શકે તે માટે એસ.ટીના વિશેષ રૂટની વ્યવસ્થા
  • પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત ઠરેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ। બે લાખ સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ

પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે એ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આગામી તા. 11 થી 22 માર્ચ 2024 દરમિયાન રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 981 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ ઉપરાંત રાજ્યના 34 ઝોનના 34 કેન્દ્રો પર આગામી તા. 31 માર્ચના રોજ સવારે 10 થી 04 દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની વિગતો જણાવતા કહ્યું હતું કે,પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહિ અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે જરૂરી છે. બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવે છે. પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોસિયલ મિડિયામાં ગેરમાર્ગે દેરવાના સમાચારો ફેલાવવામાં આવે છે તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી.

તેમણે કહ્યું હતું કે, મહાનગર પાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે.

પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ।.બે લાખ સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.

Related Posts

Leave a Comment