છ મહાનગરપાલિકામાં ભાજપની જીતની સ્ટ્રેટેજી

by Investing A2Z

ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય છે. છયે છ મહાનગરપાલિકામાં ફરીથી ભાજપની સરકાર બની છે. આ ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ઉડીને આંખે વળગે તેવી વાત ત્રણ પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ થયો છે. સૂરતમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અને અમદાવાદમાં ઓવૈસીની AIMIM પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. જામગરમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે. તો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને ખૂબ જ મોટુ નુકસાન થયું છે, પણ તેની સામે ભાજપને વધુ ફાયદો થયો છે. આ ચૂંટણીને 2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સેમીફાઈનલ ગણાય છે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 48 વોર્ડની 192 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપનો 159 બેઠકો સાથે વિજય થયો છે. કોંગ્રેસને ફાળે 25 બેઠકો અને AIMIMને 7 બેઠકો મળી છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જોઈએ તો કુલ 76 બઠકોમાંથી ભાજપ 69 બેઠકો જીતી ગઈ છે અને 7 બેઠક કોંગ્રેસ જીતી છે.

સૂરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં કુલ 120 બેઠકમાંથી ભાજપને 93 બેઠક મળી છે, આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસ સૂરતમાં ખાતું પણ ખોલાવી શકી નથી.

રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 72 બેઠકોમાંથી ભાજપનો 68 બેઠક પર વિજય થયો છે અને 4 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે.

ભાવનગર મહાનગરપાલિકાના પરિણામ પર નજર કરીએ તો કુલ 52 બેઠકમાંથી ભાજપને 44 બેઠક મળી છે, કોંગ્રેસને 8 બેઠક મળી છે.

જામનગર મહાનગરપાલિકાના પરિણામમાં કુલ 64 બેઠકોમાંથી ભાજપને 50 બેઠકો મળી છે, અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે, તેમજ બીએસપીએ 3 બેઠકો પર જીત મેળવી છે.

તમામ છ મનપામાં ભાજપને વધુ બેઠકો મળી છે. અમદાવાદમાં ભાજપ 15 વર્ષથી સત્તામાં છે. વડોદરા, સૂરત, ભાવનગર અને જામનગરમાં ભાજપ 25 વર્ષથી સત્તામાં છે. રાજકોટમાં ભાજપ 15 વર્ષથી શાસનની ધુરા સંભાળે છે.

છ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપે સૌપ્રથમ પેજ કમિટી બનાવી, તેમાં પેજ પ્રમુખ બનાવ્યા, તેમને બુથ લેવલના મેનેજમેન્ટથી માંડીને મતદારોને મતદાન મથક સુધી લાવવાની જવાબદારી સોંપાઈ હતી. પેજ કમિટીનો સભ્ય હોય તેના ફેમીલી મેમ્બરના મત તો ભાજપને મળવાના છે, તે શ્યોર થઈ ગયું. કહેવાય શું કે ભાજપ પેજ કમિટીમાં છું. પણ ભાજપના કાર્યકરનું આ નવું સ્વરૂપ હતું. મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે પેજ કમિટી ખૂબ મોટો ફાળો આપશે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે પેજ કમિટી અણુ બોમ્બ બનશે. હકીકતમાં તે અણુ બોમ્બ બની રહ્યો અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા. જો કે મતદાનની ટકાવારી વધી શકી નહી, પણ જેટલા પણ મત પડ્યા તે ભાજપમાં મત પડ્યા. ભાજપની સૌથી મોટી જીતની સ્ટ્રેટેજી હતી તે પેજ કમિટીવાળી હતી. ભાજપ પેજ કમિટી દ્વારા જનસંપર્ક વધારે કરી શકી છે, અને તેના સહારે જ ચૂંટણી જીતી શકી તેમ કહી શકાય.

બીજુ ભાજપની જીતના કારણોની વાત કરીએ તો ભાજપની રાષ્ટ્રવાદી હિન્દુવાદી વિચારસરણી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બંધાવવાનું શરૂ થયું છે. કશ્મીરમાં કલમ 370 દૂર કરાઈ અને ત્યાં લોકશાહી ઢબે ચૂંટણી પણ યોજાશે. ક્શમીરએ ભારતનું અભિન્ન અંગ છે, ભાજપ તેના પ્રચારમાં કહેતું હતું તે મુજબ જ કશ્મીરને ભારતનું અંગ બનાવી દીધું છે. આ બે અતિમહત્વના નિર્ણયોને કારણે જનતાનો ભાજપ તરફી ઝોક વધ્યો છે.

ત્રીજુ ભાજપ દ્વારા વિકાસ યાત્રાને આગળ ધપાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસપુરષ તરીકે જાણીતા છે. વિકાસમાં નવું નવું કરવું, અને મોટુ કરવું તે તેમનો સ્વભાવ રહ્યો છે. વર્લ્ડ રેકોર્ડ કરવા માટે તેઓ કામ કરતા હોય તેવું લાગે. શહેરોના વિકાસમાં ભાજપનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. રોડરસ્તા, ગટરયોજના, નર્મદાનું પાણી, કેનાલો, બીઆરટીએસ, મેટ્રો ટ્રેન, પ્રવાસન સ્થળોને જોડતી ટ્રેન, કેવડિયા કોલોનીને નવું પ્રવાસન સ્થળ બનાવ્યું, વર્લ્ડનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં બન્યું છે. આ બધા મુદ્દા પ્રજા વચ્ચે લઈ જવાયા છે.

ચોથુ ભાજપે છ મહાનગરપાલિકાની ચૂંટણીપ્રચારમાં વિકાસની જ વાત કરી અને કેન્દ્ર સરકારની યોજનાઓને પ્રજા સુધી પહોંચાડી છે. જેને કારણે સ્થાનિક સમસ્યાઓ લોકો ભુલી ગયા. અને ભાજપને જ મત આપ્યા છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ પર જ ચૂંટણી લડાતી હોય છે. છ મનપામાં અનેક સ્થાનિક લેવલના પ્રશ્નો અને સમસ્યાઓ હોવા છતાં પ્રજાએ ભાજપ પર જ પસંદગી ઉતારી છે. એટલે કહી શકાય કે સ્થાનિક ચૂંટણીમાં પણ હિન્દુવાદી અને રાષ્ટ્રવાદનો મુદ્દો વધારે હાવી રહ્યો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પરિણામો જાહેર થઈ ગયા પછી શહેર ભાજપ કાર્યાલય ખાનપુરમાં વિજયોત્સવમાં કહ્યું હતું કે સુરતમાં આપ કેવી રીતે ઘુસી ગયું ખબર ના પડી, સોનાની થાળીમાં લોખંડનો ખીલો વાગ્યો છે, પણ તેનો રસ્તો કરીશું.

ભાજપે માઈક્રોલેવલે પ્લાનિંગ કર્યું હતું, જ્યારે બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ દયનીય રહી છે. ભાજપે ઉમેદવારોની પસંદગીના કડક વલણ અપનાવ્યું, નવા ચેહરાને સ્થાન આપ્યું હોવા છતાં ભાજપના જ નવા ઉમેદવારો જીત્યા છે. પાટીલે કહ્યું હતું કે આ મત તમને કમળ પર મળ્યા છે, યાદ રાખજો અને કામ કરજો નહી તો અમે યાદ રાખીશું. પાટીલે વધુમાં કહ્યું હતું કે અમદાવાદમાં 168 ટાર્ગેટ આપ્યો હતો, અને 159 બેઠકો આવી, પણ વસવસો રહી ગયો. આ સ્પીરીટથી પાટીલ કામ કરી રહ્યા છે.

ભાજપના રાજમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને એટલે ઑલ ટાઈમ હાઈ પર છે. રાંધણગેસના ભાવ રૂપિયા 300વાળા વધીને રૂપિયા 750 થઈ ગયા છે. કોરોનાકાળમાં મોંઘવારી વધી છે. બેરોજગારી પણ વધી છે. આવા હોટ ટોપીક હોવા છતાં પ્રજાએ ભાજપનો સાથ છોડ્યો નથી.

ભાજપે ત્રણ નિયમ બનાવ્યા, જેમાં 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહી, ત્રણ ટર્મથી કોર્પોરેટર હોય તેમને ટિકિટ નહી અને પરિવારમાં કોઈને ટિકિટ નહી. ભાજપે જ્યારે આ નિયમોને અનુસરીને ટિકિટ આપી ત્યારે ભારોભાર અંસતોષ હતો. ભાજપ કાર્યાલય પર ટોળેટોળા ઉમટ્યા હતા, ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભાજપ કાર્યાલયે આવીને લોકોનો રોષ ઓછો કર્યો હતો. જો કે નવા ચહેરાને ટિકિટ મળી, સીનીયરો ભાજપથી નારાજ થયા હતા. પણ છ મહાનગરપાલિકાના શહેરીજનોએ ભાજપના નવા ચહેરાઓને મત આપ્યો હતો. નવ ચહેરા વધુ સારુ કામ કરશે, તેવી આશા સાથે પ્રજા ભાજપ સાથે જ રહી. સીનીયરોના મનમાં હતું કે ભાજપને અમારા વગર નુકસાન થશે, પણ એવું થયું નથી. ભાજપ પાર્ટી કાર્યકરો સાથે હળીમળીને કામ કરે છે અને બુથ મેનેજમેન્ટ જોરદાર કરે છે. જેનાથી તે મતોને ભાજપ તરફ વાળી શકે છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ટાર્ગેટ આપીને તેને એચીવ કરવાના મુડના છે, અને છ મનપામાં ચૂંટણીમાં જીત મળ્યા પછી 2022 વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Related Posts

Leave a Comment