ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. ગુજરાતના ભાજપે દેશને દિશા બતાવી છે અને દેશમાં ભગવો લહેરાયો છે . ધીમેધીમે દક્ષિણના રાજ્યોમાં પણ ભાજપ પગપેસારો કરી રહ્યો છે, તેમાં સફળતા પણ મળી રહી છે. તો પણ ભાજપની લહેર છતાં પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું જોર રહ્યું છે એ ભૂલવું ન જોઇએ. મેમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજીવારની મોટી બહુમતી મળી અને એનડીએના સાથી પક્ષો સાથે મળીને જોઈએ તો તગડી બહુમતી મળી છે. બીજી ટર્મમાં મોદી સરકારની રચના થઈ છે, તે તો આપ સૌ જાણો છો, પણ હવે વાત એ કરવી છે કે ગુજરાતમાં ભાજપનો જાદુ ઓસરી રહ્યો છે કે શું? તેના અનેક કારણો છે. તાજેતરમાં જ ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ તેમાંથી 3 બેઠક ભાજપે ગુમાવી છે, અને સામે 3 બેઠક કોંગ્રેસ જીતી ગઈ છે. આ પરિણામ પછી સવાલ થાય કે ભાજપની લહેરમાં ઓછપ કેમ આવી રહી છે? પાર્ટીએ ચિંતન કરવાની જરૂર છે, નહી તો ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, માટે વધારે સચેત થવાની જરૂર છે.
ગુજરાતમાંથી ભાજપને અંશતઃ જાકારો એ પાર્ટી માટે ગંભીર વિચાર માગી લે તેવો છે. સમગ્ર દેશમાં ભાજપની લહેર હોય અને ગુજરાત વિધાનસભામાં ભાજપની બેઠકો ઘટી, તે ચિંતાજનક તો છે. તેની સીધી અસર હવે પછીની લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. ભાજપે વધુ સઘન લેશન કરવાની જરૂરિયાત ઉભી છે. જો ભાજપ લેશન નહી કરે તો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2018 કરતાં બેઠકની સંખ્યા ઘટશે. વડાપ્રધાન મોદીના ગઢમાં જો ગાબડુ પડશે તો તેની દેશના રાજકારણ પર નેગેટિવ અસર પડશે, તેમાં કોઈ બેમત નથી. આ વિચાર તો સૌ સ્વીકારશે. પણ રાજકારણના ચાણક્ય એવા અમિત શાહ અત્યારથી પ્લાનિંગ વિચારી રહ્યાં હશે. અને સોગઠાં પણ ગોઠવી રહ્યાં હશે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી કયા મુદ્દા પર લડવી, અને પ્રજાને કયો મુદ્દો વધુ ગમશે.
જો થોડું ચિંતન ગુજરાતની જનતાના માનસને સમજવાની દ્રષ્ટિએ કરાય તો ભાજપના મોવડીઓની આંખો ખુલી શકે છે. ગુજરાતી મતદાર અતિ શાણો મતદાર છે એ બૂમો પાડીને ખુલ્લંખુલ્લા નેતાઓને બોધપાઠ નહીં આપે, ઇવીએમની ચાંપો દબાવવાની આવશે ત્યારે સૂઝબૂઝથી કામ લેશે. ભાજપે ગુજરાતમાં સત્તા મેળવી ત્યારે જે નીતિરીતિની અને મોટા આદર્શવાદની, રાજકારણના શુદ્ધિકરણની હવા જમાવી હતી તેનો મોટો પરપોટો ફૂટી ગયો છે. ભાજપ પણ ખાઈબદેલી કોંગ્રેસ જેવો થઈ ગયો છે તેવી વણબોલાયેલી લાગણી ગુજરાતીઓના મનમાં હળવેકથી પેઠી છે. ભાજપના સત્તામાં મદમાતા નેતાઓ આ માનવાને પણ તૈયાર નથી ત્યાં આ મુદ્દે હકારાત્મક કામ કરવાની ભાજપની તૈયારી તો હોય જ શેની…પણ દિમાગને ધરાતલ પર રાખી એટલું યાદ કરવામાં આવે કે પ્રજા જો સદીથી વધુ સમયથી જનમાનસમાં હતી તેવી ઇતિહાસ સમૃદ્ધ કોંગ્રેસને ખસ્તાહાલતમાં મૂકી શકે છે તો ભાજપ તો શું લાવ્યો છે, તો કંઇકે પક્ષનું પલ્લુ ભારે રહી શકે છે.
ઊડીને આંખે વળગે તેવા કેટલાક મુદ્દા જનતાની આંખે ચડી ગયાં છે તે ભાજપની સામેના પલડાંમાં ઉમેરાતાં જઈ રહ્યાં છે. જો એ સમજે તો…
ગુજરાતમાં ભાજપ કેમ પાછળ જઈ રહ્યો છે?
- કોંગ્રેસના બળવાખોર અને સત્તાના લાલચુ કેટલાય નેતાઓ ભાજપમાં જોડાયાં
- કોંગ્રેસમુક્ત ભારત કે કોંગ્રેસયુક્ત ભાજપ તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે
- કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાય અને સીધું જ પ્રધાનપદું
- ભાજપના જ સીનિયર નેતાઓમાં ભારે અંસતોષ- અમને તક નહીં અને આયાતી નેતાઓને પદ અને સત્તા
- સીનિયર નેતાઓ નારાજ થયાં પછી તેમના વિસ્તારમાં તેઓ બિનસક્રિય થયાં છે
- નરેન્દ્ર મોદી વગરનું ગુજરાત- દિશાવિહીન બન્યું છે- તેવી ગુજરાતની પ્રજાની લાગણી છે
- ગુજરાતમાં વિદેશી રોકાણ ઘટતું જઈ રહ્યું છે- વિકાસલક્ષી નવી યોજનાઓનો અભાવ છે
- ગુજરાતમાં શહેરોનો વિકાસ થઈ રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારો હજી વિકાસથી વંચિત છે
- છેલ્લાં પાંચ વર્ષથી પ્રજાના કામ થતાં નથી, એવી લોકલાગણી ઉભી થઈ છે
- રાજ્ય સરકારમાં મનમાની ચાલી રહી છે, ભાજપ સત્તાના મદમાં છે-એવી વાતો ભાજપના કાર્યકરો કરી રહ્યાં છે
- ભાજપ સેલીબ્રિટીઝની પાર્ટી બની ગઈ છે- તેવી વાતો આમ પ્રજા કરી રહી છે
- ચૂંટાયેલા કેટલાક ધારાસભ્યો મતદારોને મળવા સમય આપતાં નથી, અથવા તો તેમની મુશ્કેલીઓને વિધાનસભામાં વાચા આપતાં નથી.
- ધારાસભ્યોની ગ્રાન્ટ જે વિકાસના કામોમાં વપરાવી જોઈએ તેનો યોગ્ય ઉપયોગ થતો નથી
- પાર્ટીમાં એવા કેટલાય સીનિયર નેતાઓ છે જેને કિનારે કરી દેવાયાં છે
- તો કેટલાક સીનિયર નેતાઓ છેલ્લા પંદર વર્ષથી પ્રથમ હરોળમાં જ સત્તા ભોગવી રહ્યાં છે
- પાર્ટીમાં નવયુવાન અને નવા વિચારનું સ્વાગત કરીને તેને તક આપવી જોઈએ
ગુજરાતમાં ભાજપના ઉદય સમયે પાયાના કાર્યકરોની સતત મહેનત રંગ લાવી હતી અને જનાક્રોશે પડઘો પાડ્યો ત્યારે સત્તા મળી હતી તે ભૂલવું ન જોઇએ. એવા પાયાના પથરાઓ આજે પણ આયાતીઓના માનપાનનો બધો નજારો જોઇને મોં બંધ રાખીને બેઠાં છે કારણ કે જિંદગીભરની નિષ્ઠાને ક્યાં ઝાંખપ લગાવવી એવું પણ હોય. સત્યના પગલાં ખૂબ ધીમાં પણ મક્કમ હોય છે એ સનાતન સત્ય છે અને તેનાથી ભલભલી મહાસત્તાઓ ધૂળ ચાટતી થઈ જાય છે. સો વાતની એક વાત કે ભાજપ આ માર્ગેથી ભટક્યો હોય તેવી જનલાગણી, વિરોધીઓને ફાવી જવા દે ત્યાં સુધી ન પહોંચે તે માટે સચેત થઈ જવાનું ટાણું થઈ ગયું છે ભાઈ! તેમજ આગામી દિવસોમાં ભાજપ સંગઠનમાં ધરમૂળથી ફેરફારો આવી રહ્યા છે, અને કરવા જ પડશે.