
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીમાં(NFSU) આજે બુધવારે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી(Minister of State for Home Harsh Sanghvi) દ્વારા ઉચ્ચ સ્તરીય સાયબર ક્રાઇમ(Cyber Crime) વિરોધી ઝુંબેશ ‘હેક્ડ 2.0’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં AI-આધારિત છેતરપિંડી અને અત્યાધુનિક રેન્સમવેર જેવા વિકસતા ડિજિટલ જોખમો જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.
જાગૃતિ ખૂબ જરૂરી
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે જાગૃતિ.(Cyber Awareness) જે કોઈ સાયબર ક્રાઈમનો શિકાર બને તેણે તરત જ 1930 નંબર ડાયલ કરવો. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારના લોકો વધુ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યાં છે. ખાસ કરીને વડીલો ડિજિટલ એરેસ્ટના શિકાર બની રહ્યાં છે. આ સ્થિતિમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતિ અત્યંત જરૂરી છે.
હેક્ડ 2.0નો પ્રારંભ
આવા પડકારજનક સમયમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા સામાજિક જવાબદારીના કરેલા આ મહત્ત્વપૂર્ણ પ્રયાસને હર્ષ સંઘવીએ બિરદાવીને બંને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. “હેક્ડ 2.0” અભિયાન સમાજને સાયબર ક્રાઈમથી બચાવવા અને તેની જાળમાં લોકો ન ફસાય તે માટેના પ્રયાસ માટે મહત્વપૂર્ણ પગલું છે.
ગુજરાત પોલીસને 42 ટકા સફળતા
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સાયબર ક્રાઈમથી થતાં ગુનાઓમાં જતાં રહેલા રૂપિયાને અટકાવવાના કિસ્સાઓમાં ગુજરાત પોલીસને 42 ટકા સફળતા મળી છે. ગુજરાત પોલીસના કોન્સ્ટેબલને પણ ડાર્કવેબ, બ્લોકચેઈન, બીગ ડેટા, AI જેવા વિવિધ વિષયોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સુરક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે, જેનાથી આગામી વર્ષોમાં પડકારજનક ગુનાઓને અટકાવવામાં સફળતા પ્રાપ્ત થઈ શકે.

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSUના(National Forensic Sciences University) કુલપતિ ‘પદ્મશ્રી’ ડૉ. જે.એમ. વ્યાસે(NFSU Vice Chancellor Padma Shri J. M. Vyas) સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફોરેન્સિક્સ સહિતની માહિતી આપીને એક મહત્ત્વની બાબત જણાવી હતી કે, લોકોએ મોબાઈલ કે ઈમેલમાં આવતી કોઈ પણ અજાણી અથવા અપ્રમાણિત લિંક્સ (unknown or unverified links) પર ક્લિક ન કરવું જોઈએ, કારણ કે એક જ ક્લિકથી તેઓની મહેનતની કમાણી લૂંટાઈ શકે છે.
સાયબર એક્સપર્ટ તૈયાર થાય છે
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસના માર્ગદર્શનમાં સાયબર એક્સપર્ટ તૈયાર થઈ રહ્યાં છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના તંત્રી હરિતભાઈ મહેતા જાગૃત પ્રહરી તરીકે પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ જવાબદારી વહન કરી રહ્યાં છે. આ પ્રસંગે સીઆઈડી-ક્રાઈમ ડીજીપી કે.એલ.એન.રાવ, ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રેસિડેન્ટ એડિટર હરિત મહેતા સહિત વિષય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

