ગાંધીનગર– ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1973થી શેરડી, કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર-ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે વિમાન દ્વારા ક્લાઉડ સીડિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આજે ‘નાગરિક ઉડ્ડયન’ વિભાગ તરીકે કાર્યરત છે. આ વિભાગ દ્વારા વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઈ મથકોથી અંદાજે 1.43 લાખ જેટલા વિમાનોએ આવન-જાવન કરી છે. આ સેવાઓ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર–2024 સુધીમાં કુલ 1.70 કરોડ કરતાં વધુ યાત્રિકોએ સફળ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે 109.9 હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરવામાં આવી હતી.
રાજ્યના નાગરિકોને આપાતકાલિન પરિસ્થિતિમાં ખૂબ ઝડપી તબીબી સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટર અને ICU સુવિધાઓ સાથે એર-એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. ડિસેમ્બર-2024 સુધીમાં કુલ 58 એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ કરવામાં આવી હતી, જેમાં 29 ઓર્ગન તથા 29 મેડિકલ ફ્લાઈટ ઓપરેટ કરવાનો સમાવેશ થાય છે.

- ગુજરાતમાં ચાર આંતરરાષ્ટ્રીય અને 15 ડોમેસ્ટિક એમ કુલ 19 એરપોર્ટ કાર્યરત
- રૂ. 3400 કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂ. 1405 કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
- તબીબી હેતુસર અત્યાર સુધીમાં 29 ઓર્ગન તથા 29 મેડિકલ ફ્લાઈટ એમ કુલ 58 એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ
- મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનમાં તાલીમ બાદ 155 યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું
- કેન્દ્ર સરકારની ‘ઉડાન યોજના’ અંતર્ગત રાજ્યમાં વિવિધ સાત ફ્લાઇટ સેવારત
દેશના મોટાભાગના રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નાગરિક ઉડ્ડયનનું માળખું ખૂબ મજબૂત છે. રાજ્યમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નવ એરપોર્ટ, ઇન્ડિયન એરફોર્સના ત્રણ, રાજ્ય સરકાર હસ્તક ચાર તથા ત્રણ ખાનગી એરપોર્ટ મળી ચાર આંતરરાષ્ટ્રીય અને 15 ડોમેસ્ટિક એરપોર્ટ એમ કુલ 19 એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ મહેસાણા, અમરેલી, અંકલેશ્વર અને માંડવી ખાતે કુલ ચાર એરસ્ટ્રીપ પણ ઉપલબ્ધ છે.
નાગરિક ઉડ્ડયનપ્રધાન બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યમાં અંબાજી, દ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમજ કેવડિયા, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, દાહોદ અને વડનગર ખાતે નવીન એરસ્ટ્રીપ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં એવિએશન સેક્ટરનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU પણ કરવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ- GUJSAIL
નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા નવી સુવિધાઓ અને સેવાઓમાં રોકાણને સરળ બનાવવા માટે વર્ષ 2010માં ‘ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ’- GUJSAIL ની રચના કરવામાં આવી હતી. જે ગુજરાતમાં ઉડ્ડયન અને સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકારની નોડલ એજન્સી છે. ગુજસેઇલ ગુજરાતમાં ઉડ્ડયન સંબંધિત પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર હેઠળ પરવાનગીઓ અને મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૂરું પાડે છે.

આ ઉપરાંત રાજ્ય સરકારની વાયબીલીટી ગેપ ફંડીંગ યોજના- VGF હેઠળ રાજ્યમાં સુરત-અમદાવાદ-સુરત, સુરત-અમરેલી-સુરત, સુરત-રાજકોટ-સુરત, સુરત-ભાવનગર-સુરત તેમજ અમદાવાદ-ભુજ-અમદાવાદ ખાતે આંતરિક હવાઈ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેનો બહોળો લાભ રાજ્યના નાગરિકો લઈ રહ્યા છે.