
ખેલમહાકુંભ 2.0માં ભાગ લેવા ઇચ્છુક યુવાનો https://khelmahakumbh.Gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો મેળવી શકશે. આ ઉપરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે ‘ખેલે તે ખીલે’ ના ઉમદા વિચાર સાથે આરંભાયેલ ખેલમહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. રાજ્ય સરકાર રમતવીરો માટે તમામ પ્રકારની મદદ કરવા સંકલ્પબદ્ધ છે. પહેલાના સમયમાં ખેલકૂદ ક્ષેત્રે રાજ્યનું નામ નહોતું પરંતુ ખેલમહાકુંભના સફળ આયોજનોથી હવે રાજ્યના યુવાનો દેશ-વિદેશમાં ઝળક્યા છે. ગુજરાત આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વારાણસી ખાતે આશરે 30,000 જેટલા લોકો મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનું ખાતમુર્હુત કર્યું છે. રાજ્ય સરકારે 36મી નેશનલ ગેમ્સનું આયોજન 3 મહિનાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં કર્યું તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે.

હર્ષ સંઘવીએ ખેલમહાકુંભની સફળતા વર્ણવતા કહ્યું કે, 2010માં જ્યારે ખેલમહાકુંભની શરૂઆત થઈ ત્યારે 16 લાખ યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું જ્યારે ગયા વર્ષે 55 લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું એ ગૌરવની વાત છે. આ વખતે ખેલમહાકુંભમાં કરવામાં આવેલા બદલાવ વિશેની વાત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ખેલમહાકુંભ 2.0માં 35 રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી કુલ 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અંડર 9 વયજૂથનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે યુવાનોના હિતમાં નિર્ણય કર્યો કે, ખેલમહાકુંભ 2.0માં કોઈપણ ખેલાડી 2 રમતમાં ભાગ લઈ શકશે.

રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ખેલમહાકુંભ એ ગ્રાસરૂટ લેવલે યુવાનોનું ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કરી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું માધ્યમ છે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2010માં પ્રારંભ કરાવેલ ખેલમહાકુંભ આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સફર ખૂબ જ પ્રેરણાદાયક રહી છે. રમતગમત વિભાગનો પ્રયાસ છે કે રાજ્યના દરેક રમતવીરોને યોગ્ય તક પૂરી પાડવામાં આવે.
